વેબ સરિતા: 2014
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Friday 19 December 2014

વિરોધાભાસી જીવનની વિડંબના - Pradipkumar R. Raol

સમયના વહેણ વણથંભ્યા વહેતા જાય છે. માનવજાતની વિકાસ યાત્રાના વખાણ કરતાં હર કોઈ થાકતું નથી. સત્તા પરની કોંગ્રેસ કહે છે કે ભારતે ઘણો પ્રોગ્રેસ કર્યો છે અને કરતું રહેશે. જ્યારે તેના વિરોધી પાર્ટીઓ પ્રચાર કરે છે કે દેશ અધોગતિના પંથે છે. તો ગુજરાતમાં સત્તાધારી ભાજપ વિકાસના જંડા ગલીએ ગલીએ લહેરાવતું જોવા મળે છે. તો ગુજરાતમા જ વિરોધી પાટલી પર બેસતું કોંગ્રેસ કહે છે કે મોદીનો પ્રચાર ખોટો છે. ભ્રામકતા ફેલાવાઈ રહી છે. કોણ સાચું ? આનો મતલબ એ થયો કે અમે એટલે કે બોલનારા સાચા. અને પરસ્પર વિરોધી વાતો આવે છે એટલે બધાજ ખોટા. હવે આ સાચા ખોટાની લપમાંથી બહાર નિકળીશું ? કારણકે આ રાજકારણીઓ “અમે સાચા અને સામેવાળા ખોટા” એવી જંજટમાંથી આપણને કોઈ દિવસ બહાર નીકળવા નહીં દે.
તો ચાલો આપણે જ તપાસી જોઈએ કે વિકાસની ગાથાની સપાટી ખોતરવાથી શું સચ્ચાઈ સામે આવે છે. પ્રગતિની આડમાં આપણે કેટલું બધુ ગુમાવી બેઠા છીએ..
ઊંચી ઊંચી ઇમારતો બનાવતા આવડી ગયું પણ ટેમ્પર શોર્ટ કરી નાખ્યો. પહોળી ફુટપાથો અને પહોળા રસ્તા બનાવી નાખ્યા પરંતુ વિચારસરણી સાવ સાંકડી કરી નાખી. પરચેસિંગ પાવર વધી ગયો, આથી ખરીદી ખૂબ કરીએ છીએ, વાર તહેવારે ટીવી, ફ્રિજ, ગાડી વગેરે વગેરે તો સામિ બાજુએ આનંદ આવતો નથી. આપણી અંદરની નગ્નતા ઢાંકવા ન જાણે કેટલું કેટલું વસાવીએ છીએ. પરંતુ સાચી ખુશી દૂર ને દૂર ભાગતિ જાય છે. વિશાળ બંગલાઓમાં, મોટા એપાર્ટમેન્ટોમાં, કુંટુંબો નાના થઈ ગયા. સુવિધાઓ ઘણી છે પણ કોઈ પાસે સમય નથી.
ડિગ્રીઓ વધારે છે પરંતુ સમજદારી ઓછી થઈ ગઈ. માહિતી જ્ઞાન ખૂબ ભેગું કરી લીધું સામે ડહાપણ કઈ નથી. અરે! દવાઓ બેસુમાર છે. પણ સામે તન્દુરસ્તી અલ્પ છે. આમ ભૌતિક સંપતિઓનો ગુણાકાર કરીને સદગુણોનો ભાગાકાર કરી નાખ્યો. વાતો કરવાનું એટલું બધુ સારી રીતે શીખી ગયા છીએ કે પૂછો ના, પણ પ્રેમ કરવાની આવડત ખોઈ નાખી, બસ આવડે છે તો ધિકકારતા અને નફરત કરતાં. પૈસા બનાવતા શીખી ગયા અને જિંદગી બનાવતા ભૂલી ગયા. ચંદ્ર પર પંહોચી જઇ પરત આવી ગયા પરંતુ નવા પડોશીને મળવા માટે આપણાં પગ ઉપડ્યા જ નહીં. બહારની દુનિયા જીતી લીધી અને અંદરની (અંતરની) દુનિયા હારી ગયા. રસ્તાઓ, ઘર અને આંગણા ચોખ્ખા કરી નાખ્યા પરંતુ આત્માને અને વાતવારણને પ્રદુષિત કરી નાખ્યા. અત્યારના સમયમાં જડપથી “ફાસ્ટ ફુડ” ખાઈ નાખવાનું પરંતુ પચાવવાના નામે મીંડું. મોટા માણસો , જેના  ભારેખમ નામ પણ ચારિત્ર્ય જોયું હોય તો સાવ હલકું. મજબૂત આર.સી.સી. બાંધકામો પરંતુ અંદર વસે છે ભાંગેલા પરિવારો. ઉછીના લેતા આવડી ગયું, પરત કરવાનું ભૂલી ગયા. ઘણી ભાષાઓ આવડી ગઈ પણ બોલાતા વાક્યો જુઠ્ઠા. સમયની આગળ દોડવું છે પણ “જિંદગી” નામની ચીજ પાછળ છુટતી જાય છે. દુનિયાભરનું એકઠું કરી લીધું પણ સંતોષ જરાય નથી.
[https://raol1810pr.wordpress.com/ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/ Friday 19 December 2014

Thursday 18 December 2014

'સંબંધોનું મેનેજમેન્ટ' - હેમલ દવે

 
એ આજે તમે બહારથી આવો તો શાક લેતા આવશો પ્લીઝ ..?? ‘ કીચનમાંથી ઊંડે ઊંડેથી ઉદાસ સ્વર બહાર આવ્યો ….વિચાર આવ્યો કે કોઈ દિવસ નહીં ને આજે કેમ આવો  ઑડર આવ્યો હશે !!! અરે , હશે કઇંક ચાલોને એક જ દિવસનો સવાલ છે ને ! ને મોઢેથી એમ જ હા નીકળી ગઈ. 
                  સાંજ પડી ને શાક પણ આવી ગયું ..હા એ સવાલ ત્યાંનો ત્યાં જ રહ્યો એનો જવાબ જાણવાની ન જીજ્ઞાસા થઈ ન સામેથી કારણ જાણવા મળ્યું . બસ અહી જ સંબંધની દોરીમાં નાનકડી ગાંઠ પડવાની શરૂઆત થઈ ચૂકી હતી.
                  છેલ્લા 3 વર્ષથી જીવતા સહજીવનનો એક અણધાર્યો સવાલ જેના જવાબ મેળવવાની તાલાવેલી એ પતિ મહાશયને નથી લાગતી. બસ અહિયાં જ સંબંધના સમીકરણ બદલાવાની શરૂઆત થઈ જાય છે.કોઈ બે વ્યક્તિનું જોડાણ જ્યારે થાય છે ત્યારે એ બંન્નેના વ્યક્તિત્વનો જો સહિયારો વિકાસ થાય તો ને તો જ સંસારનું ગાડું સુખરૂપ ચાલ્યા કરે પરંતુ થાય છે એવું કે એક પૈડું જોર કરે  છે ને બીજું તેની સાથે દોડતા હાંફી જાય છે ..કોઈને એ ખ્યાલ નથી આવતો કે દોટ થોડી ઓછી લગાવશુ તો કઈ બગડી નહીં જાય ને બીજું પૈડું જરા જોર લગાવશે તો સરખું ચાલશે. બસ આવી આંટીઘૂંટીમાં જીવનનૈયા હાલકડોલક થાય છે ને પછી એ નૈયામાં સવાર બધા જ લોકોને એનો ધક્કો પહોંચે છે.
                  હવે આવું બને જ નહીં એ શક્ય તો નથી કારણ કે બે જુદા વ્યક્તિત્વના માલિક છે સંવાદ સાધતાં વાર લાગવાની પણ જો એ વાર લંબાઈ જાય તો જીવનની ‘વાટ ‘ લાગી જાય છે એ નક્કી વાત છે. પરંતુ થોડો પ્રયત્ન ,થોડી આપસી સમજણ અને સૌથી મહત્વનું પાસું ‘પ્રેમ ‘ જો હોય તો આ અશક્ય નથી  નથી ને નથી જ . અહંકાર હોય ત્યાં અધિકાર ભળે છે ને અહમ અને સ્વાભિમાનની પાતળી ભેદરેખા પારખતા વાર લાગે છે ત્યારે સ્વમૂલ્યાંકન જરૂરી બને છે એના દ્વારા જ આપણે આપણી જાતને પારખી શકીશું ને સાથે બીજાને મૂલવી શકીશું .
                 બાકી લેખાજોખાં માંડવામાં જ  દિવસો પસાર થશે ને દિવસો ક્યારે મહિનાઓમાં ને પછી વર્ષોમાં પલટાઈ જશે તેનો ખ્યાલ આવશે ત્યારે બહુ મોડુ થઈ ગયું હશે ..ત્યારે જિંદગીના અમુલ્ય વર્ષો એળે ગયા હોય એવું લાગશે. બસ આ સમય ન આવે તે માટે જ સંબંધનું મેનેજમેંટ કરવું જરૂરી બને છે . આજના ફાસ્ટ યુગમાં જ્યારે સમય બહુ તેજીથી ચાલ્યો જાય છે ત્યારે તે સમયની એકાદ ક્ષણને પકડવાંમાં જો કામયાબ રહીએ તો આવી આંટીઘૂંટી પલકવારમાં ઉકેલી શકાય છે. દેહ છે ..દૈહિક જરૂરિયાતો છે ..તેમ જ મન છે તો માનસિક જરૂરિયાતો છે ..એમાં ખૂણે ખાંચરે ઘણું દફન કરીને જીવવું પડે છે એના હર્ષ શોક ન હોય ..એવું બધાના જીવનમાં હોય જ .એ ખૂણામાં ક્યારેક જઈને જોઈ લેવું પડે ..જીવી લેવું પડે ને પછી જીરવી લઈને આગળ વધવું જ પડે . જો એ ખૂણામાં પેલા પોપટની જેમ જીવ રાખીને જીવ્યે જઇયે તો એનો કોઈ ફાયદો નથી કારણ કે એ પોપટને ક્યારેય પાંખો આવવાની જ નથી. વળગણ છોડવાની વાત નથી વળગણને થોડો ક સમય અળગા મૂકવાની વાત છે.
               ભૂલ અહિયાં જ થાય છે વળગણો એટલા વળગે છે કે એ વળનાં સળ આખા જીવનમાં ઉપસી આવે છે ને પછી એ સળ પાકે છે ને એમાંથી નાની મોટી એષણા , આકાંક્ષા , લોભના પાકી ગયેલા ઝરણા ફૂટયા જ કરે છે ને વહ્યા કરે છે ચોતરફ દુર્ગંધ ફેલાવતા. પછી કોઈ ડોક્ટર એની દવા કરી નથી શકતો બસ દુઝ્યા કરે છે. હકીકત સમજવાની અહિયાં જ છે જે દર્દની દવા જ નથી એ દર્દને પ્રવેશ ન આપવો એમાં જ ખુદની ભલાઈ છે . એટલું  સ્વાર્થી તો બનવું જ પડે છે તો જ જીવન જીવવાનો ખરો અર્થ સમજવાની શરૂઆત કરી શકીએ. બાકી ઘણા બધા મગતરાની જેમ જીવન જીવે છે મિસમેનેજમેંટની સાથે તેમની જિંદગી કઈ રોકાઈ નથી જતી એ પણ જીવે છે પછી ભલેને એ જીવતરમાં બધાને નડયા જ કરતાં હોય જીવે જાય છે પરંતુ ‘પ્રાણ ‘ નથી હોતો. જીવનમાં પ્રાણ નથી હોતો ને ત્યારે જ એનું પરમ તત્વ પહોંચતું નથી ને સંબંધના સવળા અવળા અર્થ કાઢતા લોકો પોતાની મરજી મુજબ જીવવા હવાતિયાં માર્યા કરે છે.
           જ્યારે બે વ્યક્તિના વ્યક્તિત્વનું મિલન થાય છે ત્યારે દૈહિક મિલનની સાથોસાથ જો આત્માનું મિલન થાય તો ને તો જ આ સંબંધોના મેનેજમેંટને વેગ મળે છે બાકી અસ્તવ્યસ્ત જીવન જીવવાની જ જેને આદત પડી ગઈ છે એનું આપણે કઈ સુધારી ના શકીએ .
હેમનું હલકું ફૂલકું https://hemaldave.wordpress.com/ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/ Thursday 18 December 2014

Wednesday 10 December 2014

સમાઇ જાઇ છે... - અમૃત આહીર

કોઇક અમસ્તું જ આંખોમા સમાઇ જાય છે,
આમ જ મૌનમાં ઘણાં ઉત્તરો સમાઇ જાય છે.
ખિલ્યાં વગર કેટલાંય ફૂલો કરમાઇ જાય છે,
આયખું આખું વેદનાના ભારથી વલોવાઇ જાય છે.
મિલનનો કોલ આપીને ઘણાં દૂર ચાલ્યાં જાય છે,
એમની યાદોથી આખું જીવન આમ જ વહી જાય છે.
રમત રમતમાં જ આપણા વચ્ચે લડાઇ જેવું થઇ જાય છે,
પછી આખી જિંદગી લડવામાં જ પૂરી થઇ જાય છે.
નિષ્ફળતાઓ માંથી જ મોટી સફળતા હાથ લાગી જાય છે,
સતત કરતા રહીએ પ્રયાસ તો મોતી હાથ આવી જાય છે.
પોતાના જ માનવાની ભૂલો ઘણાંથી થઇ જાય છે,
ને કયારેક એ જ પાર વિનાની પીડા આપી જાય છે.
જિંદગીને સમજવાની ઘણાંથી ભૂલો થઇ જાય છે,
'અમૃત' જાણીને કેટલાંયે ઝેરના પારખા કરી જાય છે.
- અમૃત આહીર 
 મ. શિક્ષક, કે. એન્ડ એમ.પી. પટેલ સાર્વજનિક વિદ્યાલય, અમરોલી,સુરત.
 મો.નં.  9909163287

Posted By: http://web-sarita.blogspot.com/ Wednesday 10 December 2014

Sunday 23 November 2014

બાળકોમાં ખેંચની સમસ્યા અને હોમિયોપેથી … - ડૉ. ગ્રીવા છાયા માંકડ … M.D. (A.M.)BHMS; DNHE.

 

epilepsy
હમણા જ 16 તારીખે  world epilepsy awareness day ગયો. ઉપરાંત આ અખો નવેમ્બર મહિનો એ આવી સમસ્યા અંગે વધુને વધુ જાગૃતિ કેળવાય તે હેતુથી ‘એપીલેપ્સી અવેરનેસ્સ મંથ’ તરીકે યાદ રખાય છે. તો એ નિમિતે બાળકોમાં ખેંચની સમસ્યા અંગે જાણીએ તેમજ થોડા વધુ જાગૃત થઈએ સારવાર માટે.
ખેંચની સમસ્યા એ દરેક ઉમરની વ્યક્તિને હોઈ શકે. પણ જયારે એ સમસ્યા કુમળી વયમાં જ લાગુ પડી જાય ત્યારે એ બાળકની સાથે સાથે એના બાળપણને પણ અસર કરે છે. એટલે કે એ બાળકના સંપૂર્ણ વિકાસને થોડે ઘણે  અંશે રૂંધાવી શકે છે. 
ખેંચની સમસ્યા, જેને સીઝર ડિસોર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમસ્યામાં સામાન્ય રીતે બાળકમાં કોઈ કારણસર ગમે તે સમયે કે સ્થિતિમાં, ફરી ફરીને ખેંચ આવતી હોય છે. અહી, ખૂબ વધારે તાવને પરિણામે આવતી ખેંચની વાત નથી.એ તદન અલગ પ્રશ્ન છે
ખેંચની સમસ્યા લગભગ 5 થી નાની વયના બાળકોમાં વધુ જોવા મળે છે. એમાંથી કેટલાક બાળકોમાં જેમ ઉમર વધે ને બાળક પુખ્ત થાય એટલે આ સમસ્યા જાતે જ ઠીક અથવા તો કાબુમાં આવી શકે છે. ઘણાખરા કિસ્સામાં પુખ્તતા આવ્યા પછી પણ આ પ્રશ્ન ચાલુ જ રહેતો જોવા મળી શકે. ઘણા બાળ દરદીના કિસ્સામાં એમની માતાઓને કાયમ એવી ચિંતા રહ્યા કરતી હોય કે બાળકને સ્કૂલ, પ્રિ  સ્કૂલ કે નર્સરીમાં જ ક્યાંક ખેંચ તો નહિ આવે ને !!! અહી એ ખાસ સમજી લેવું કે થોડી સમયસુચકતા તેમજ જાગૃતિ રાખવાથી તેમજ જે તે સ્કૂલના ટીચરના સહયોગથી પરિસ્થિતિ આરામથી જાણે બાળકને કઈ થયું જ નથી એ રીતે સાંભળી શકાય છે. કેટલાક બાળકોમાં ખેંચની સમસ્યા એ તેમની કેળવણી તેમજ સ્વભાવગત બાબતો પર ઊંડી અસર પડી શકે છે.

ખેંચની સમસ્યા ના કારણો: 

આમ તો મોટાભાગના કિસ્સાઓમાં કોઈ નિશ્ચિત કારણ હોતું નથી. કે એ કોઈ પ્રકારના રીપોર્ટ કરાવવાથી પણ પકડાતું નથી.
સામાન્ય ભાષામાં સમજીએ તો મગજની સંવેદનાઓને એક્સાઈટ  કરતા તેમજ  કાબૂમાં રાખતી પ્રક્રિયાઓમાં થોડું નિયમન ખોરવાય છે. 

કન્જેનીટલ એપીલેપ્સી :

 એટલે કે ખેંચની સમસ્યાઆનુવાંશિક હોઈ શકે.
એટલે કે બાળક ખેંચની સમસ્યા થઇ શકવાની તાસીર કે જનીન લઈને જ  જન્મે છે.

એક્વાયર્ડ એપીલેપ્સી : 

જેમાં જન્મ સમયે કે ડીલીવરી સમયે મગજમાં કોઈ ડેમેજ કારણભૂત હોઈ શકે. જેમકે પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો અભાવ, મગજમાં બ્લીડીંગ થવું (જેમ પ્રી મેચ્યોર બાળકમાં જોવા મળે છે એમ ).
ઘણી વખત જન્મ પછી થતા અમુક જોખમી પ્રકારના ચેપને લીધે પણ મગજનો વિકાસ ખોરવાય છે. પરિણામે તે બાળકમાં ખેંચની સમસ્યા ઉદભવી શકે છે. ઉપરાંત, મગજને ઈજા કે મગજમાં ગાંઠ પ્રકારની સમસ્યા પણ કારણભૂત હોઈ શકે.

ખેંચની સમસ્યા(એપીલેપ્સી ) ના પ્રકાર  :

બાળકોમાં મુખ્યત્વે ત્રણ પ્રકારે આ સમસ્યાને સમજી શકાય …
૧]   જેમાં ખેંચ આવે એ માટે મગજનો આખો ભાગ શરૂઆત થી જ કાર્યરત હોય. જેને generalised seizure કહે છે.   આ પ્રકારની ખેંચમાં બાળક સભાનતા ગુમાવી શકે છે.    તેમજ તેમાં શરીરના મોટાભાગે દરેક સ્નાયુઓને અસર થાય છે. 
૨]   જેમાં ખેંચ શરુ થાય ત્યારે મગજનો કોઈ એક જ ભાગ કાર્યરત હોય. જેને focal /local  seizures કહે છે, જેમાં બાળક સભાનતા ગુમાવતું નથી.
૩]   જેમાં ખેંચ સમયે મગજનો કોઈ એક જ ભાગ કાર્યરત હોય અથવા બીજા ભાગો ને પણ સમાવેશ થયેલ હોય.  જેને  partial  seiizures  હે છે.   જેમાં બાળક સભાનતા ગુમાવતું નથી તેમજ શરીરના લોકલ ભાગ પર જ અસર થાય છે.   જે સિમ્પલ તેમજ કોમ્પ્લેક્સ પાર્શીયલ સીઝર એમ બે પ્રકારે વિભાજીત થાય છે. જેમાં  સિમ્પલ પાર્શીયલ સીઝરમાં તો બાળકમાં કોઈ કારણ વિના એકદમથી જ  ભયભીત થઇ જાય  એવા લક્ષણો ઉદ્ભવે છે તેમજ કોમ્પ્લેક્સ પાર્શીયલ સીઝરમાં તો બાળક પોતાની કોઈ પણ એક્શન પરનો કાબૂ ગુમાવી દઈ શકે છે.

ખેંચ આવે તે સમયે શું ધ્યાન રાખશો ?


epilepsy.1
  • બાળકને બિલકુલ શાંત કરવું અને એકદમ સુરક્ષિત જગ્યા એ લઇ જાઓ
  • તીક્ષ્ણ કે સખત હોય તેવી વસ્તુ થી બાળકને દૂર રાખશો
  • માથા નીચે કોઈ પોચી વસ્તુ કે કુશન રાખવું
  • બાળકને એની જમણી બાજુ એ સુવાડવું, જેથી મોમાં થી કઈ પ્રવાહી બહાર નીકળી શકે
  • બાળક શ્વાછોશ્વાસ  બરાબર લઇ રહ્યું જ છે ને એ ચેક કરી લેવું
  • ખેંચ સમયે બાળકના મો માં કોઈ જ પ્રકારની વસ્તુ, લીક્વીડ, ખોરાક કે કશું જ  મુકવાનો પ્રયાસ કરવો નહિ, પણ  હા, એવે સમયે બાળકની જીભને ઈજા ન થાય એ હેતુથી એક મોટું કાપડ કે રૂમાલ વડે મો બંધ કરી શકાય.
  • 30 સેકન્ડ્સ થી વધુ સમય ચાલતી ખેંચ પછી બાળક સાવ જ થાકી જાય  સુવાની ઈચ્છા કરે, થોડી હતાશા અનુભવે કે હેબતાઈ જાય, કે પછી અનિર્ણિત સ્થિતિમાં મૂકી શકે. આ તમામ લક્ષણો થોડો સમય રહે છે, હવે આ સમયે બાળકને એ પોતાની સ્વસ્થ અવસ્થામાં આવી શકે એવું યોગ્ય વાતાવરણ પૂરું પડવું આવશ્યક બની રહે છે.

સમાજમાં પ્રવર્તતી ખેંચ અંગેની કેટલીક ગેર માન્યતાઓ:

અહી સમાજ માં પ્રવર્તતી કેટલીક ગેર માન્યતાઓ સામે હું હસ્તક્ષેપ કરવાનું ચુકીશ નહિ.
૧]   ખેંચની સમસ્યાને વાઈ સાથે કોઈ સંબંધ નથી. ક્યારેક બાળક જીદ થી પ્રેરાઈને પોતાની વાત મનાવવાના બહાના હેઠળ જમીન પર આળોટીને શરીર ખેંચવાનું નાટક કરતુ હોય છે, જે સંપૂર્ણપણે વાઈ જ છે, ખેંચ નહિ
૨]   બીજું કે ખેંચની સમસ્યા એ સંપૂર્ણ પણે મેડીકલ સાયન્સ સંબંધિત રોગ જ છે, એને ક્યાય અંધશ્રદ્ધાનો સહારો આપીને ભગવાનની માનતાઓ રાખીને ભગવાનને ડીસ્ટર્બ ના કરશો એવી મારી મહેચ્છા છે.
 ખેંચની સમસ્યાના ઉપાય:
ખેંચની સમસ્યા એ બાળકને ફક્ત શારીરિક જ નહિ પણ તેના માનસપટ પર, મનઃશારીરિક વિકાસ પર, વર્તણૂક વગેરે પર પણ ઊંડી છાપ છોડી શકે છે. માટે સારવાર પણ એવી જ કરાવવી જોઈએ જે આ બધું જ સ્વસ્થ કરવા સક્ષમ હોય. હોમિયોપેથી એ આ ખેંચ પ્રકારની સમસ્યામાં એક અસરકારક સારવાર પધ્ધતિ સાબિત થાય છે. હોમિયોપેથીક દવાઓ કુદરતી તત્વોમાંથી બનતી હોવાથી એકદમ આડઅસર રહિત હોય છે, તેમજ તે મગજમાં સંવેદનાઓના નિયંત્રણ ને નિયમિત કરી આપે છે. કેટલાક મહિનાઓ માં જ નાની નાની લાગતી હોમિયોપેથીક દવાઓ બધા પ્રકારની ખેંચની સમસ્યામાં બહુ મોટું કામ કરી આપે છે.

કેટલીક નીચે મુજબની દવાઓ એકદમ અકસીર છે … 

Artemisa vulgaris
Arnica
Cicuta
absinthium
Calcarea carb
Stramonium
Belladonna
Cuprum met
Curare
Nux vom
Cina

ખિલખિલાટ:

અલાઈડ સાયન્સમાં ડોક્ટર્સ  વિવિધ પ્રકારની એન્ટીએપીલેપ્ટીક દવાઓ દ્વારા ખેંચની સમસ્યાને કાબુમાં રાખવા પ્રયત્નરત હોય છે.  પરંતુ એ બધી દવાઓથી થતી આડ અસરો અહી ચર્ચીશું તો લીસ્ટ લાંબું બનશે.   ટૂંકમાં કહું તો કુમળી વયમાં જ બાળકની સારવાર જો સંપૂર્ણ આડઅસરરહિત થેરેપી – હોમિયોપેથી થી થશે તો  બાળ શરીર મન રોગમુક્ત તો થશે જ, પણ એને ઇચ્છિતપણે  વિકસવાનો અવકાશ મળશે.
dr.greeva.newડૉ. ગ્રીવા છાયા માંકડ
M.D. (A.M.)BHMS; DNHE.
email : greeva.chhaya@gmail.com
(મો) +૯૧ – ૯૭૩૭૭ ૩૬૯૯૯
www.homeoeclinic.com
New Clinic :Dr Mankads ‘ Homeo clinic@E 702, Titanium City   Center, Near Sachin Tower, Beside IOC petrol pump, 100ft.   Anandnagar Road, Prahladagar, Satellite,  Ahmedabad -380 015
સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના પ્રતિભાવ  ડૉ.ગ્રીવા માંકડ – (લેખિકા) ની કલમને બળ પૂરે છે,  આપના પ્રતિભાવ જાણી અમોને  સ્વાસ્થ્ય અંગેના વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. આભાર ..! ‘દાદીમા ની પોટલી’
“સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપના સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પોસ્ટ પર લખી જણાવી શકો છો. આપને  રોગ બાબતે      Privacy  જાળવવી જરૂરી હોય તો આપની   વિગત –       dadimanipotli@gmail.com   /   greeva.chhaya@gmail.com            અથવા  drparthhomoeopath@gmail.com    ના ઈ મેઈલ દ્વારા મોકલી શકો છો. (આપે  અગાઉ  કોઈ ઉપચાર  કરાવેલ હોય તો તે વિગત – સાથે આપના રીપોર્ટ ની જાણકારી મોકલવી) આપને આપના  email ID દ્વારા યોગ્ય માર્ગદર્શન મોકલી આપવા જરૂર કોશિશ કરીશું. ”  ….આભાર !  ‘દાદીમા ની પોટલી’
[બ્લોગ લીંક: http://das.desais.net – ‘દાદીમા ની પોટલી’
email: dadimanipotli@gmail.com  માંથી સાભાર ]

Posted By: http://web-sarita.blogspot.com/ Sunday 23 November 2014

Sunday 9 November 2014

હીપ્નોટીઝમ દ્વારા આપણને બેવકુફ બનાવનારા લોકોની બહુ મોટી ફોજ છે - રોહીત શાહ


હીપ્નોટીઝમ બહુ પ્રચંડ શક્તી છે. એના દ્વારા વ્યક્તીને તેમ જ સમુહને વશ કરી શકાય છે. હીપ્નોટીઝમનો પૉઝીટીવ ઉપયોગ પણ થઈ શકે છે અને નેગેટીવ ઉપયોગ પણ થઈ શકે છે. એક વખત સામેની વ્યક્તીને કે સમુહને વશમાં કરી લીધા પછી તેની પાસે આપણે આપણું ધારેલું કાર્ય આસાનીથી કરાવી શકીએ છીએ.
હીપ્નોટીઝમ માત્ર એ જ નથી, જેના સ્ટેજ પર પ્રયોગો બતાવવામાં આવે છે. એમાં તો સામેની વ્યક્તી સભાન હોય છે. તેને સ્પષ્ટ ખ્યાલ હોય છે કે તેનો ઉપયોગ હીપ્નોટીઝમના પ્રયોગ માટે કરવામાં આવી રહ્યો છે. એ વખતે શરુશરુમાં વ્યક્તી આજ્ઞાંકીત બનીને હીપ્નોટીસ્ટની સુચનાઓ મુજબ વર્તન કરે તો જ તેને વશમાં કરી શકાય છે. જો કોઈ વ્યક્તી બહુ ચંચળ અને મેધાવી હોય તો તેના પર હીપ્નોટીઝમનો પ્રયોગ કરી શકાતો નથી અથવા તો અઘરો પડે છે.
સામાન્ય રીતે રોજીન્દા જીવનવ્યવહારમાં હીપ્નોટીઝમના જે પ્રયોગો થાય છે એ બધા વીચીત્ર હોય છે. પતી–પત્ની, મીત્ર–મીત્ર, નોકર અને માલીક, વેપારી અને ગ્રાહક, ગુરુ અને શીષ્ય, નેતા અને પ્રજા વચ્ચે હીપ્નોટીઝમનો વ્યવહાર સતત ચાલતો જ હોય છે. આપણે જાણીએ છીએ કે પેટ્રોલના ભાવ વધારવાના હોય એના થોડાક દીવસ અગાઉથી અખબારો અને ટીવી પર ન્યુઝ રજુ થતા રહે છે : ટુંક સમયમાં પેટ્રોલમાં લીટરે પાંચ રુપીયા વધશે. બીજા દીવસે વળી એવું સ્ટેટમેન્ટ છપાય છે કે હવે પેટ્રોલનો ભાવવધારો પાછો ઠેલાયો છે. ત્રીજા દીવસે એવા ન્યુઝ આવે કે ઑઈલ–એજન્સીઓ પેટ્રોલના ભાવવધારા માટે સરકાર પર બહારથી દબાણ કરી રહી છે. પ્રજા આવા સમાચારો રોજ–રોજ વાંચીને પેટ્રોલનો ભાવવધારો સ્વીકારી લેવા તૈયાર થઈ જાય છે. આ માસ હીપ્નોટીઝમ છે. પ્રજાના એક વીશાળ સમુહનું માનસ, અમુક ચોક્કસ હેતુ માટે ચોક્કસ દીશામાં વાળવામાં આવે છે.
વેપારીઓ અને બીઝનેસમેનો હીપ્નોટીઝમ દ્વારા પોતાનો વેપાર વધારતા રહે છે. અખબારમાં ઘણી વખત જાહેરાત આવે છે કે ‘લગ્નની મોસમ આવી રહી છે, સોનાના ભાવ વધે એ પહેલાં દાગીના ખરીદવાની આ છેલ્લી તક છે.’ આવી જાહેરાતથી ભોળા લોકો ભરમાય છે અને પછી સસ્તું મેળવવા લાઈનમાં ઉભા રહે છે. વેપારીઓ એનો લાભ લે છે. એક વખત ભીડ જમા થઈ જાય પછી તો ફાવે એમ લુંટ ચલાવી શકાય.
એક વખત અખબારમાં એવા ન્યુઝ છપાયા કે ગુજરાતમાં ફલાણા ગામ પાસે સચીન તેન્ડુલકરે પ્લૉટ ખરીદ્યો છે. વળી બે–ચાર દીવસ પછી ન્યુઝ છપાયા કે સચીન તેન્ડુલકરના પ્લૉટની થોડેક જ દુર અમીતાભ બચ્ચને વીશાળ પ્લૉટ ખરીદ્યો છે. આવા ન્યુઝ વાંચીને શ્રીમંતોને પેલી જગ્યાએ પ્લૉટ ખરીદવાની ચટપટી થાય છે. આટલી મોટી સેલીબ્રીટીઝ જે જગ્યાએ પ્લૉટ ખરીદે ત્યાં ટુંક સમયમાં જમીનના ભાવ વધી જશે એમ વીચારીને શ્રીમંતો મોંમાગી કીંમત ચુકવીને જમીન ખરીદી લે છે. પછી બે મહીના બાદ એવા ન્યુઝ આવે કે ગુજરાતમાં સચીન તેન્ડુલકરે કે અમીતાભ બચ્ચને કોઈ પ્લૉટ ખરીદ્યા નથી. આ તરકીબો હીપ્નોટીઝમનું જ એક સ્વરુપ છે.
ભુવા–બાવા અને તાંત્રીકો શું કરે છે ? તેમની પાસે કોઈ મંત્રતંત્ર કે વીશીષ્ટ મેલી વીદ્યાઓ હોતી જ નથી. તે લોકો ભોટ લોકો પર ખોટેખોટો પ્રભાવ પાડીને તેમના માનસને કન્ટ્રોલમાં લઈ લે છે, ગ્રાહકની માનસીકતા પ્રમાણે જુઠાણાંના ડોઝ પીવડાવવામાં આવે છે અને કેવી તથા કેટલી ગરજ છે એ જાણી લઈને ભુવા–તાંત્રીકો તેને રમાડે છે – ખંખેરે છે. એવા વખતે તમે પેલા ભોટ લોકોને સાચી વાત સમજાવવા જશો તો તેઓ તમારી વાત નહીં ગણકારે. તેના દીમાગમાં પેલા તાંત્રીકે વહેમ અને અંધશ્રદ્ધાનો એટલો બધો કીચડ ઠાંસી–ઠાંસીને ભરી દીધો હોય છે કે તમારી સાચી સલાહ માટે એમાં જરાય જગ્યા નથી હોતી.
મોક્ષનું માર્કેટીંગ :
બાળદીક્ષાની ફેવર કરનારાઓ વાત તો એવી કરે છે કે બાળકને નાની ઉંમરથી જ ધર્મના સંસ્કાર મળે તો મોક્ષમાં તેનું રીઝર્વેશન ફીક્સ થઈ જાય. હકીકતમાં બાળકોનું શોષણ કરવા માટેનું આ ભયંકર ષડ્યંત્ર છે. દીક્ષા પછી તેમના ગુરુએ અથવા તો વડીલ સાધુએ તેમની સાથે કેવા દુર્વ્યવહારો કર્યા હતા એની આપવીતી મેં પાંચેક યુવાન સાધુઓ પાસેથી સાંભળી છે અને તે તમામ સાધુઓ અત્યારે હયાત છે.બાળકને મોક્ષના નામની લાલચ આપીને, બાળકનાં મા–બાપને ક્યારેક મોટી રકમો ચુકવીને દીક્ષાઓ અપાય છે. પછી એ બાળક સાથે સેક્સથી લઈને નોકર જેવી વેઠ કરાવવાના ગોરખ–ધંધા ચાલે છે. જાહેરમાં ગુરુ પેલા બાળકને ‘બાળમુની’, ‘બાળમુની’ કહીને લાડ કરતા હોય અને ખાનગીમાં તેનું કલંકીત શોષણ કરતા હોય એવાં ઉદાહરણો ઓછાં નથી. સાધુઓએ મોક્ષનું માર્કેટીંગ કરવામાં હીપ્નોટીઝમનો જેટલો ઉપયોગ કર્યો છે એટલો તો કદાચ કોઈ મહાન મનોવૈજ્ઞાનીકે પણ નહીં કર્યો હોય. એક વીશાળ જનસમુહને ખોટા રવાડે ચડાવી દેવો એ હીપ્નોટીઝમને દુરુપયોગ જ છે.
કુનેહનો દુરુપયોગ :
આપણે કોઈ મોટા મૉલમાં જઈએ છીએ ત્યારે ત્યાં વ્યવસ્થીત અને સુંદર રીતે ગોઠવેલી ચીજો જોઈને ખરીદવા લલચાઈ ઉઠીએ છીએ અને જેની જરુર ન હોય એવી ચીજોના ઢગલા આપણે ઉપાડી લાવીએ છીએ. તમારી સાથે એક પણ શબ્દ બોલ્યા વગર, તમને કશી જ સુચના કે આદેશ આપ્યા વગર તમને ખંખેરી લેવાની આ કુનેહ હીપ્નોટીઝમનો જ એક પ્રકાર છે.
એક બદચલન સ્ત્રી તેના પતીને હંમેશાં ખુબ સાચવતી. પોતે પતીને ઉંડો પ્રેમ કરે છે એવું બતાવતી. એટલું જ નહીં; હંમેશાં તેના પતીને કહેતી : ‘તમે કેટલા સારા છો ! ઘણા પતીઓ તો તેમની પત્ની પર વહેમ રાખ્યા કરે છે, ચોકી–પહેરા ગોઠવે છે; પણ તમે મારા સાચા પ્રેમની કદર કરો છો, એટલે મને મારું જીવન હર્યું–ભર્યું લાગે છે. મને તો ભવોભવ તમારા જેવો પ્રેમાળ પતી મળે એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું !’ તે સ્ત્રીનો પતી સતત હીપ્નોટાઈઝ્ડ થતો રહ્યો… તેની પત્ની ખાનગીમાં રંગરેલીયાં મનાવતી રહી… છેવટે એક વખત પોલીસે રેઈડ પાડી એમાં તે પકડાઈ ગઈ ત્યારે તેના પતીને ભાન થયું કે તેની પત્ની કેવી બદચલન હતી અને પોતાને કેવો બેવકુફ બનાવતી હતી.
હકારાત્મક ઉપયોગ પણ છે :
હીપ્નોટીઝમ બહુ પ્રચંડ શક્તી છે અને એના દ્વારા ઘણાં ઉત્તમ પરીણામો લાવી શકાય છે. હતાશા હોય ત્યાં ઉત્સાહ છલકાવી શકાય છે, ગેરસમજ ટાળી શકાય છે, જીવવાનો નવો તરવરાટ પ્રગટાવી શકાય છે, પોતાના લક્ષ્ય અને મંઝીલ સુધી દોડવાનો થનગનાટ જગાડી શકાય છે, એક વીશાળ જનસમુહને દેશભક્તી, ઈમાનદારી વગેરે માટે મક્કમ બનાવી શકાય છે. હીપ્નોટીઝમનો રચનાત્મક ઉપયોગ થાય તો ઘણા લોકોના રોગો પણ દુર કરી શકાય છે; પરંતુ જો આ જ પ્રચંડ શક્તીનો દુરુપયોગ કરવામાં આવે તો અનેક વીનાશક અને ભયાનક અંજામ જોવા પડે છે અને વેઠવા પણ પડે છે. જેને કશી લાલચ નથી, જેને કોઈ સ્વાર્થ નથી, જેને કશું વધારાનું કે ઝડપથી મેળવી લેવાની વૃત્તી નથી એવી વ્યક્તી હીપ્નોટીઝમથી બચી શકે છે. બાકી તો બેવકુફ બનવા આપણી પ્રજા બાવરી છે.
 –રોહીત શાહ
લેખક સંપર્ક : શ્રી. રોહીત શાહ, ‘અનેકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ્સ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ–380 013 ફોન: 079-2747 3207 ઈ–મેઈલ: rohitshah.writer@gmail.com
[અભિવ્યક્તિ http://govindmaru.wordpress.com/ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/ Sunday 9 November 2014

Thursday 2 October 2014

વ્યક્તિનો દેખાવ નહીં, કર્મોનું મહત્ત્વ હોય છે...

socretis
વિશ્વવિખ્યાત ફિલોસોફર સોક્રેટીસ એક વખત તેમના રૂમમાં બેઠા હતા અને અરીસામાં પોતાનો ચહેરો જોઈ રહ્યા હતા. તેઓ અત્યંત ધ્યાનપૂર્વક અરીસામાં ચહેરો નિહાળી રહ્યા હતા. બરાબર એ જ સમયે તેમનો સૌથી પ્રિય શિષ્ય ત્યાં આવી પહોંચ્યો. ગુરુજીને આ રીતે અરીસામાં જોતા જોઈને તેને આશ્ચર્ય તો થયું, પરંતુ કશું બોલ્યો નહીં, માત્ર સ્મિત કર્યું. શિષ્યને સ્મિત કરતો જોઈએ સોક્રેટીસ તેની મુંઝવણ સમજી ગયા.

શિષ્ય કંઈ પૂછે તે પહેલા સોક્રેટીસે તેને કહ્યું કે મને ખ્યાલ છે કે શા માટે સ્મિત કરે છે? શિષ્ય ચૂપ રહ્યો. ગુરુજી સમજી ગયા હતા એ જાણીને તેણે થોડી શરમ અનુભવી અને નીચું જોઈને ઊભો રહ્યો.

સોક્રેટીસે કહ્યું, તને ખ્યાલ નથી કે હું શા માટે અરીસામાં જોઉં છું. વાસ્તવમાં હું અત્યંત કદરૂપો છું એટલે દરરોજ અરીસામાં જોઉં છું. શિષ્યને આ સાંભળી આશ્ચર્ય થયું. પણ એવું શા માટે? તેણે પૂછી લીધું. સોક્રેટીસે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, હું નિમયિત આવું કરું છું જેથી મને ખાતરી થઈ જાય કે હું કદરૂપો છું. હું મારા વાસ્તવિક સ્વરૂપને ઓળખું છું. આવું દરરોજ એટલા માટે કરું છું કે મને સારા કામ કરવાની પ્રેરણા મળે અને સાથે મારી કુરૂપતા ઢંકાઈ જાય.
તેમના આવા જવાબથી શિષ્યે કૂતુહલ સાથે પૂછ્યું, તો શું એનો અર્થ એ કે સારા દેખાતા લોકોએ અરીસામાં ન જોવું જોઈએ? તેના જવાબમાં સોક્રેટીસે કહ્યું, સુંદર લોકોએ પણ અરીસો તો જોતાં જ રહેવું જોઈએ જેથી તેમને યાદ રહે કે તેઓ જેટલા સુંદર દેખાય છે એટલાં જ સારા કામ પણ તેમણે કરવાના છે. સુંદર દેખાતા લોકો સાથેસાથે સારાં કામ પણ નહીં કરે તો તેમની એ સુંદરતાને લાંછન લાગી જશે.

સોક્રેટીસના કહેવાનું તાત્પર્ય એટલું જ હતું કે વાસ્તવમાં વ્યક્તિનો દેખાવ નહીં પરંતુ તેમના કામ મહત્ત્વના હોય છે. પોતે કેવાં કામ કરે છે તેના આધારે તેમની છબી ઘડાતી હોય છે.
[http://navgujaratsamay.indiatimes.com/ માંથી સાભાર ]

Posted By: http://web-sarita.blogspot.com/ Thursday 2 October 2014

શું માણસ ખરેખર સુસભ્ય (Civilised) થયો છે ખરો?


અરે સાંભળી સાંભળીને થાક્યા નથી, કે
જમાનો બદલાયો છે!

શું સૂરજ પૂર્વને બદલે પશ્ચિમ થી ઉગે છે?
શું નદી સમુદ્રને મળતી નથી?
શું વરસાદ ધરતી પર નથી વરસતો?

શું બીજમાંથી થતું છોડવું જમીન ઉપર નથી આવતું?
શું હર માતા બાળકને નવ મહિના ઉદરે નથી ધરતી?
ભરતી અને ઓટ સમુદ્રમાં જ ઉદભવે છે કે નહીં?
પિતા બાળકને દૂધ પિવડાવવા અસમર્થ જ છે.

Where do you find change?
ખરું જોતા વ્યક્તિની દૃષ્ટિ અને વિચારસરણી બદલાઈ  છે.
નૈતિક મૂલ્યો  હેમખેમ છે. સત્ય સનાતન સત્ય છે.


'માનવ આ એક બુદ્ધિશાળી પ્રાણી છે.' પોતાની બુદ્ધિના ઉપયોગથી માનવે આજે વિવિધ ક્ષેત્રોમાં ઘણી પ્રગતિ કરી છે. ઔદ્યોગિક ક્રાંતિ થઇ, વ્યાપારી ક્રાંતિ થઇ ગઈ, વિજ્ઞાન અતિશય આગળ વધ્યું છે. માણસ ચંદ્ર અને મંગળ સુધી પહોંચી ગયો છે પણ મોટો પ્રશ્ન એ છે કે શું માણસ સુસભ્ય (Civilised) થયો છે ખરો? જયારે આપણે એમ કહીએ કે ૨૧મી સદીમાં અમે સુધરેલા છીએ, ત્યારે પ્રશ્ન થાય છે કે ૨૦૦૦ વર્ષ પહેલાંના માનવ કરતાં આજનો માનવ સુધર્યો એટલે શું થયું છે?

આપણાં બાહ્ય સુખોપભોગ વધ્યાં છે, પણ શું આપણે નૈતિક દૃષ્ટિએ સુધર્યા છીએ ખરા? નૈતિકતા શબ્દનો અર્થ કેવળ સ્ત્રી-પુરુષના સંબંધ પૂરતો જ મર્યાદિત નથી. નૈતિકતાનો અર્થ થાય- અસ્મિતા જાગરણ. ઉપનિષદની વાર્તા પ્રમાણે જેમ ઘેટાના ટોળામાં જીવતું સિંહનું બચ્ચું પોતાની ઓળખ વિસરી ગયું હતું, તેવું આજે આપણું થયું છે. આપણે પ્રભુનાં સંતાન હોવાનું ગૌરવ ભૂલી ગયા છીએ. 'હું ભગવાનનો અંશ છું,' આ સ્વની ઓળખ અંદર ઊભી થઇ કે માણસ બદલાય છે. હું પ્રવાહપતિત નહીં થાઉં. મને કોઈ પણ વાસના ખેંચી નહીં શકે.

મારા જીવનની સ્વ-તંત્ર બેઠક છે, મારું સ્વ-ત્વ છે. એ સમજે તો માણસ ખરો નીતિમાન ! નીતિમત્તાની આ પહેલી કસોટી છે. હું કોઈને મારા સ્વાર્થ માટે વાપરીશ નહિ અને ખુદને કોઈના હાથમાં વપરાવા દઈશ નહીં. આવી સિમેન્ટ કોન્ક્રીટ જેવી બેઠક હશે તો માણસ વિકસિત ! બાકી એકાદી લીલી નોટ જો અમારી બેઠક હલાવતી હશે તો જીવનનું સ્થૈર્ય આવ્યું જ ક્યાં? આજે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. (Ph.d.) થયેલો વ્યક્તિ પણ લીલી નોટ દેખાડી તો ખેંચાઈ જાય છે, ખરીદાઈ જાય છે. ભલેને તે ઉચ્ચશિક્ષિત હશે, પણ વિકસિત કેવી રીતે ગણાય?

કોઇ વ્યક્તિ શિક્ષિત થયેલી હોય એટલે એ વિકસિત છે જ એવું માનવું ભૂલ ભરેલું છે. શિક્ષણ અને વિકાસ બંને એક સિક્કાની બે બાજુ જેવાં છે. વ્યકિત જેટલી શિક્ષિત અને જેટલી વિકસિત હોય એટલી જ મૂલ્યનિષ્ઠ અને એટલી જ પ્રામાણિક હોવી અનિવાર્ય છે. તમે જેટલા પ્રલોભનમુક્ત હશો, એટલા વધુ શિક્ષિત ગણાશો. એટલે જેટલા ઉન્નત બનો એટલા ગુણવાન, મૂલ્યવાન પણ હો એ અપેક્ષિત છે. નૈતિકતા તમામ સ્થિતિમાં સમાન રીતે જળવાય એ સાચો શિક્ષિત અને એ જ સાચો વિકસિત. વ્યક્તિ મૂલ્યનિષ્ઠ બનશે તો સમાજ પણ મૂલ્યનિષ્ઠ બની શકશે.

આજના સુધરેલા કાળમાં આગળનો પ્રશ્ન આવે છે કે સ્ત્રી તરફ જોવાનો આપણો દૃષ્ટિકોણ ઉન્નત થયો કે? સ્ત્રી એક ઉપભોગનું સાધન છે એ જ દૃષ્ટિ સમાજમાં વધી રહી છે. એટલે જ સિનેમા-જાહેરખબરોમાં સ્ત્રીના અંગ-ઉપાંગોનું પ્રદર્શન કરવામાં આવે છે. અત્યંત વેદનાની વાત છે કે એ માટે સમાજને હજી ચીડ આવતી નથી.

'સ્ત્રીને આત્મા છે, તે ભગવાનનું સર્જન છે, તેને મન છે,' તે વિચાર કરવો પડશે. 'સ્ત્રી એટલે માત્ર તેનું શરીર' આવી જ રીતે તેના તરફ જોવાય છે. આ નર્યા ભોગની જ દૃષ્ટિ છે, આ શું પ્રગતિ ગણાય? શું આપણે સ્ત્રીને એક માનવ તરીકે જોઈએ છીએ ખરાં? પછી આપણે શાના સુધરેલાં ગણાઈએ? 
(પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીનાં પ્રવચનોનાં આધારે)
[http://navgujaratsamay.indiatimes.com/ માંથી સાભાર ]

Posted By: http://web-sarita.blogspot.com/

ગાંધી જયંતી - વિશ્વ અહિંસા દિવસ (2જી ઓક્ટોબર)

 

"Be the change you want to see in the world" - Mahatma Gandhi
[People of gujarat facebook.com માંથી સાભાર]
ગાંધી જયંતી - વિશ્વ અહિંસા દિવસ (૨ ઓક્ટોબર)

મિત્રો અહિયાં ગાંધીજીની જીવન યાત્રા વિશે વર્ણવેલું છે...

મને ખબર છે તમને આટલું બધું વાંચવામાં કંટાળો આવશે પણ ભારતને આઝાદી આપવા પોતાનું આખું જીવન આપનાર વિશે થોડો સમય તો તમે કાઢીને વાંચો એવું હું ઈચ્છું છું...

જન્મ - ૨ ઓક્ટોબર, ૧૮૬૯, ભાદરવા વદ બારસ, વિ.સં - ૧૯૨૫, પોરબંદર, ગુજરાત, ભારત

મૃત્યુ - ૩૦ જાન્યુઆરી,૧૯૪૮, નવી દિલ્હી, ભારત

હુલામણું નામ:- દ.આફ્રિકામાં-ભાઇ
ભારત આવ્યા બાદ-બાપુ

અભ્યાસ - કાયદાની ઉપાધી વ્યવસાય વકીલાત,સમાજસેવા

વતન - પોરબંદર

ખિતાબ - "રાષ્ટ્રપિતા"

જીવનસાથી - કસ્તુરબા

સંતાનો:- હરીલાલ-મણીલાલ-રામદાસ-દેવદા
દત્તક દીકરી:- લક્ષ્મીબહેન દુદાભાઈ દાફડા

માતા-પિતા - પૂતળીબાઇ-કરમચંદ ગાંધી

ગાંધીજીની આત્મકથા - સત્યનાં પ્રયોગો

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી, વિશ્વ માનવ હતા. મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા ભારતની આઝાદીની ચળવળના નેતા હતા અને રાષ્ટ્રપિતા છે. તેમણે બ્રીટીશ રાજમાંથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નક્શા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યાછે.

મોહનદાસ કરમચંદ ગાંધી (ઓકટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮) , મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો; અને આખરે તેમણે સફળતા મેળવી એ સાબિત કરી બતાવ્યું.

અહિંસક સવિનય કાનૂનભંગનો જે ખ્યાલ તેમણે લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો, તેના ઉપયોગ દ્વારા તેમણે બ્રિટીશ રાજ્યની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું. આમાંથી પ્રેરણા લઇ ઘણાં પ્રદેશના લોકોએ પોતાના દેશની સ્વતંત્રતા માટે બ્રિટીશરો સામે લડાઇ આદરી અને ક્રમશઃ બ્રિટીશ સામ્રાજ્યનો વિસ્તાર ઘટીને ફક્ત તેમના પોતાના દેશ બ્રિટન (અને સ્કોટલેન્ડ) સુધી સીમિત થઇ ગયો. આમ ગાંધીજીની પ્રેરણાદાયી લડતને કારણે ફક્ત ભારત પર બ્રિટીશ શાસન જ નહીં પણ જેનાં રાજ્યમાં કદી સૂરજ આથમતો નહોતો તેવી બ્રિટીશ સલ્તનત ખુદ આથમી ગઇ અને કોમનવેલ્થ દેશોનું અસ્તિત્વ ઊભું થયું. ગાંધીના સત્યાગ્રહનો આદર્શ માર્ટીન લ્યૂથર કિંગ જુનિયર જેવા લોકશાહીના પ્રખર હિમાયતી અનેક આંદોલનકારીઓ માટે નવો રસ્તો ઊભો કર્યો. માર્ટીન ઘણી વખત કહેતા કે ગાંધીજીના આદર્શો સરળ હતા તેમજ તે પારંપરીક રીતે હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી સત્ય અને અહિંસા જેવી માન્યતામાંથી તારવેલા હતા.

મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદર (ગુજરાત, ભારત)માં એક હિંદુ (વૈષ્ણવ વણિક) પરિવારમાં થયો હતો. તેમના વડવાઓ વ્યવસાયે ગાંધી (કરિયાણાનો ધંધો કરતા) હતા, પરંતુ તેમની પહેલાની ત્રણ પેઢીમાં કોઈએ ગાધીનો વ્યવસાય કરેલો નહી, અને તેઓ કોઈકને કોઈક રજવાડાના દિવાન પદે રહેલા. મોહનદાસ ગાંધીના પિતા કરમચંદ ગાંધી પણ પોરબંદર સ્ટેટના દિવાન હતા, આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દિવાન રહ્યા હતા. જૈન સંપ્રદાયમાં અતિસુક્ષ્મ સ્તરની અહિંસાના પ્રભાવને કારણે ગાંધી કુટુંબ એકદમ ચુસ્ત શાકાહારી હતું. હિંદુઓમાં પ્રચલિત બાળવિવાહની પ્રથાને કારણે મોહનનાં લગ્ન ફક્ત ૧૩ વર્ષની વયે કસ્તૂરબા સાથે થયાં હતા. મોહનદાસ ગાંધીને ચાર પુત્રો હતા—સૌથી મોટા પુત્ર હરીલાલ (જન્મ સન ૧૮૮૮), ત્યાર બાદ મણીલાલ (જન્મ સન ૧૮૯૨), ત્યારબાદ રામદાસ (જન્મ સન ૧૮૯૭) અને સૌથી નાના પુત્ર દેવદાસ (જન્મ સન ૧૯૦૦).

દત્તક દીકરી:- લક્ષ્મીબહેન દુદાભાઈ દાફડા

ગાંધીજીને ચાર દીકરા હતા એ જાણીતી વાત છે અને તેમના પરિવારજનો પણ આજે દુનિયાભરમાં ફેલાયેલા છે. પણ ગાંધીજીએ એક દલિત બાળકીને ૧૯૨૦ના અરસામાં દત્તક લીધેલી. એ બાળકી એટલે લક્ષ્મીબહેન દુદાભાઈ દાફડા. દુદાભાઈ કોચરબ આશ્રમમાં રહેતા તેનાથી કસ્તુરબાને થોડો અણગમો હતો. ગાંધીજીએ કસ્તુરબાનો અણગમો દૂર કરવા દુદાભાઈની પાંચ-સાત વર્ષની દીકરી લક્ષ્મીને દત્તક લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. એ લક્ષ્મીબહેનને એક દીકરો અને એક દીકરી હતા. તેમના પરિવારજનો આજે પણ હયાત છે અને ગાંધી ફેમિલીના વારસદાર હોવાની ઓળખ વગર પ્રસિદ્ધીથી દૂર રહી જીવે છે. દુદાભાઈ દાફડા મુંબઈથી આવીને આશ્રમમાં વસ્યા હતા. એ પરિવાર દલિત હતો એટલે કસ્તુરબા સહિત ઘણાને તેમના પ્રત્યે થોડો અણગમો હતો. ગાંધીજીએ આ અણગમો દૂર કરવા પોતાની સ્ટાઈલમાં ચોટડૂક ઉપાય શોધી કાઢયો. તેમણે દુદાભાઈની દીકરી લક્ષ્મીને દત્તક લેવાનું નક્કી કર્યું જેથી એ આપોઆપ કસ્તુરબાની પણ દીકરી બને અને કસ્તુરબા ગમે તેટલો અણગમો હોવા છતાં લક્ષ્મીને દૂર કરી શકે નહીં. એક તબક્કે તો ગાંધીજીએ કસ્તુરબાને કહી દીધેલું કે તારે જવું હોય તો જઈ શકે છે, પણ લક્ષ્મી તો અહીં જ રહેશે! 

તરુણાવસ્થા સુધી ગાંધી એકદમ સામાન્ય વિદ્યાર્થી હતા.તેઓનો શરુઆતનો અભ્યાસ પોરબંદર અને પછી રાજકોટમાં થયો હતો. ગાંધીએ મેટ્રીક્યુલેશનની પરીક્ષા માંડ માંડ પાસ કર્યા પછી સન ૧૮૮૭માં યુનિવર્સિટી ઑફ બૉમ્બે સાથે સંલગ્ન શામળદાસ કોલેજમાં ઊચ્ચ અભ્યાસ અર્થે પ્રવેશ લીધો. જો કે ત્યાં તે ઝાઝું ટક્યા નહીં. તેમના ઘણા કુટુંબીઓ ગુજરાતમાં ઊંચા ઊંચા પદ પર નોકરી કરતા હતા. કુટુંબનો આવો મોભો જાળવવા તેમના કુંટુંબીઓની ઇચ્છા તે બૅરીસ્ટર બને તેવી હતી. એવામાં જ તેમને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરવાની તક મળી. વળી, ભારતમાં અંગ્રેજોની હકુમતના કારણે બંધાયેલી તેમની માન્યતા મુજબ તો ઇંગ્લેન્ડ વિચારકો અને કવિઓની ભુમિ હતી તેમજ તહજીબનું કેન્દ્ર પણ ઇંગ્લેન્ડ જ હતું. આમ તેમણે ઇંગ્લેન્ડ જવાની આ તક ઝડપી લીધી.

દક્ષિણ આફ્રિકામાં નાગરિક અધિકારો માટેની ચળવળ:-

દક્ષિણ આફ્રિકા ગયેલા ગાંધીજી, શાંત, કંઇક અંશે આત્મવિશ્વાસવિહીન અને જરૂર કરતાં વધુ નમ્ર અને રાજનીતિથી અલિપ્ત હતાં. જો કે, કુદરત તેમની આ બધી નબળાઇ ભવિષ્યમાં દૂર કરવાની હતી. દક્ષિણ આફ્રિકામાં તેમનું જીવન સદંતર બદલાઇ જવાનું હતું. દક્ષિણ આફ્રિકામાં બીજા ભારયોની જેમ તેમણે પણ ગોરાઓનાં તિરસ્કાર, દમન અને જુલ્મનો ભોગ બનવું પડતું, જે ભારતના ભાવિ સ્વાતંત્ર્યના મંડાણ કરવાનું હતું. એક દિવસ ડર્બનના ન્યાયાલયના એક ન્યાયાધીશે તેમને ન્યાયાલયમાં તેમની પાઘડી ઉતારવાનું કહ્યું. ગાંધીજીએ પાઘડી ઉતારવાની સાફ ના પાડી અને ન્યાયાલયની બહાર નીકળી ગયા. આ બનાવ પછી એકવાર ગાંધીજી રેલ્વેમાં પ્રથમ વર્ગ (ફર્સ્ટ ક્લાસ)માં પ્રિટોરિયા જઇ રહ્યા હતા ત્યારે તેમની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવાં છતાં એક ગોરાએ તેમને ફર્સ્ટ ક્લાસમાંથી ઊતરી થર્ડ ક્લાસના ડબ્બામાં બેસવા કહ્યું. ગાંધીજીએ જ્યારે વિરોધ કર્યો ત્યારે પીટરમેરીટ્ઝબર્ગ સ્ટેશને તેમને ગાડીની બહાર ફેંકી દેવામાં આવ્યા. બાકીની મુસાફરી હવે ગાંધીજીએ સ્ટેઇજ કોચ (નોકરી ધંધા માટે નિયમિત આવજા કરતા યાત્રીઓની સુવિધા માટે ટૂંકા અંતરની ગાડી)માં કરવી પડી. અહીં પણ ગાંધીજીને ફરજ પાડવામાં આવી કે તેઓ પગથિયા પર ઊભા રહીને એક યુરોપિયનને ડબ્બામાં ઊભા રહેવા દે. ગાંધીજીએ જ્યારે ના પાડી ત્યારે તેમને મારવામાં આવ્યા. (આની કિંમત અંગ્રેજોને ભવિષ્યમાં ખૂબ મોંઘી પડવાની હતી.) આ પ્રસંગ સિવાય પણ તેમને આ મુસાફરી દરમ્યાન ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘણી હોટલમાં તેમને ફક્ત જાતના આધાર પર પ્રવેશબંધી ફરમાવવામાં આવતી. ગાંધીજી અન્ય (ભારતીય)ની જેમ આ બધું સહન કરી શકે તેવા સ્વભાવના નહોતા. પ્રિટોરિયાના તેમના વસવાટ દરમ્યાન તેમણે જાત-પાત, ધર્મ, (શ્યામ) રંગના કારણે દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પર થતા અત્યાચારનો તલસ્પર્શી અભ્યાસ કર્યો.
ગાંધીજી કરાર પૂરો થતાં તેમણે ભારત આવવાની તૈયારી કરવા માંડી, પરંતુ તેમના ડર્બન વિદાય સમારંભ દરમ્યાન તેમણે છાપામાં વાંચ્યું કે netalની વિધાનસભા દ્વારા એક ખરડો તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં ભારતીય મૂળના નાગરિકોનો મતાધિકાર રદ કરવાની દરખાસ્ત હતી. જ્યારે તેમણે સમારંભમાં હાજર રહેલા ભારતીયોનું ધ્યાન આ તરફ દોર્યુ તો જવાબ મળ્યો કે કાનૂની નિષ્ણાતના અભાવે આ દરખાસ્તનો વિરોધ કરવું ત્યાંના ભારતીયો માટે શક્ય ન હતું. વળી, ગાંધીજી જો ડર્બનમાં રોકાઇને કાનૂની બાબતો સંભાળે તો ભારતીયો બીજી બધી જવાબદારી સ્વીકારવા તૈયાર હતા. ગાંધીજીએ આ લડાઇ માટે રોકાવાનું નક્કી કર્યું અને માદરે વતન પાછા ફરવાનું મુલતવી રાખ્યું. આમ, ગાંધીજીએ અજાણતાં જ ભવિષ્યની તેમની વતન પરસ્તીની લડતના પાયા નાંખી દીધા, કહો કે તેમને ભવિષ્યના સત્યાગ્રહ માટેની નેટ પ્રેકટીસની શરુઆત કરી. તેમણે સૌ પ્રથમ તો નાતાલ વિધાનસભા તેમજ બ્રિટીશ સરકારને આ ખરડો રોકવા માટે પીટીશન કરી. તેઓ ખરડો પસાર થતો તો ન રોકી શક્યા પણ ભારતીયોને થતા અન્યાય તરફ ત્યાંની પ્રજા અને સરકારનું ધ્યાન ખેંચવામાં તેમની ઝુંબેશ ખુબ સફળ રહી. હવે ભારતીયો માટે ગાંધી હીરો બની ગયાં અને તેમના ટેકેદારોએ તેમને દક્ષિણ આફ્રિકામાં રોકાઇને ભારતીયોને થતા અન્યાય વિરુદ્ધ લડતનું સુકાન સંભાળવાનો ખૂબ આગ્રહ કર્યો. ભારતીયોની પ્રેમપૂર્વકની જીદ સામે ગાંધીજીએ ઝુકી જવું પડ્યું અને તેઓ ડર્બનમાં રોકાઇ ગયા. સૌ પ્રથમ તો તેમણે (૧૮૯૪માં) નાતાલ ભારતીય કૉંગ્રેસની સ્થાપના કરી અને તેના સ્થાપક મંત્રી બન્યા. આ સંસ્થાના માધ્યમથી તેમણે જુદા જુદા તબક્કામાં વહેંચાયેલા ભારતીયોને એક કર્યા. ભારતીયો પર દક્ષિણ આફ્રિકામાં બ્રિટીશ સરકાર અને ગોરાઓ દ્વારા થતા અન્યાય, દમન અને ઓરમાયા વર્તન બાબતે પુરાવા સહિત કૉંગ્રેસે સખત શબ્દોમાં નિવેદન આપી ગોરાઓને આરોપીનાં પાંજરામાં ઊભા કરી દીધા. સરકારી સ્થાનો અને પ્રચાર માધ્યમોમાં અનેક સ્થાને બેઠેલાં ભારતીયો આ નિવેદનને જનતા સુધી પહોંચાડવામાં સંસ્થાની અનોખી તાકાત બની ગયાં. આ સફળતાએ ભારતીયોનો અને ખાસ તો ગાંધીજીના ઉત્સાહ અને જુસ્સો વધારી દીધાં. એક વખત વતન પરત આવવાની તૈયારી કરી ચૂકેલા ગાંધીજી પત્ની કસ્તુરબા અને બાળકોને દક્ષિણ આફ્રિકા લઇ આવવા ૧૮૯૬માં ભારત આવ્યા. ૧૮૯૭ના જાન્યુઆરીમાં ગોરાઓનાં એક ટોળાએ ગાંધીજી પર હુમલો કરી તેમનો જાન લેવાનૉ પ્રયત્ન કર્યૉ. ગાંધીજીએ આ હુમલા માટે ટોળાંનાં સભ્યો પર કોર્ટમાં વળતરનો દાવો કરવાની ના પાડી. ભારતીયોના ખૂબ દબાણને ખાળતા ગાંધીજીએ કહ્યું કે આમ કરવું તેમના સિદ્ધાંતની વિરુધ્ધ છે.

આ દરમ્યાન દક્ષિણ આફ્રિકામાં જંગ છેડાયો. ગાંધીજીએ એવી દલીલ કરી કે ભારતીયોએ જંગમાં સરકારની પડખે ઉભા રહી દક્ષિણ આફ્રિકાના નાગરિક અધિકારોનો દાવો વધુ મજબૂત કરવો જોઇએ. તેમણે એક એમ્બ્યુલન્સ દળ પણ ઊભું કર્યું જેમાં ૩૦૦ ભારતીયો માનદ્ અને ૮૦૦ ભારતીયો સવેતન સ્વયંસેવક તરીકે જોડાયા. આમ છતાં યુદ્ધ સમાપ્ત થયા પછી દક્ષિણ આફ્રિકામાં ભારતીયોની સ્થિતિમાં કંઇ સુધારો તો ન થયો, ઊલટી પરિસ્થિતિ વધુ ખરાબ બનતી ગઇ. ૧૯૦૬માં ટ્રાન્સવાલ સરકારે એક કાયદો બનાવ્યો જે મુજબ (બ્રિટીશ) કૉલોનીમાં વસતા ભારતીયો માટે પંજીકરણ (રજીસ્ટ્રેશન) ફરજીયાત કરવામાં આવ્યું. સપ્ટેમ્બર ૧૯૦૬માં જોહાનિસ્બર્ગ ખાતે એક વિરોધ રેલીને સંબોધતા ગાંધીજીએ સૌ પ્રથમવાર સત્યાગ્રહને રસ્તે અહિંસક આંદોલનની જાહેરાત કરી. તેમણે ભારતીયોને નવા કાયદાનો વિરોધ અહિંસક રીતે કરવા અને વિરોધ માટે થતી દરેક સજા સ્વીકારવાની હાકલ કરી. ગાંધીજીથી પ્રભાવિત ભારતીયોએ તેમના આદેશનું અક્ષરશઃ પાલન કર્યું. આ અહિંસક આંદોલન પૂરા સાત વર્ષની મુદત સુધી ચાલ્યું જેમાં હજારો ભારતીયોને જેલ જવું પડ્યું અને ગાંધીજીને તો ઘણી વખત! ઘણા ભારતીયોને પોલીસના લાઠીચાર્જ, માર અને દમનનો શિકાર થવું પડ્યું. કેટલાય નિર્દોષ ભારતીયોએ સરકારી ગોળી ઝીલવી પડી અને તે પણ પંજીકરણ ન કરવા જેવા જુદા જુદા અહિંસક આંદોલન અને અસહકારની લડત માટે. એક તરફ ભારતીયોને દબાવી દેવામાં સરકારને સફળતા મળતી તો બીજી તરફ સરકારની અમાનવીય રીતે ભારતીયોના દમન કરવાની રીત જોઇને દક્ષિણ આફ્રિકી પ્રજાના મનમાં ધીમે ધીમે પણ સરકાર માટે રોષ વધતો જતો હતો. સરકાર તેની જ પ્રજા સામે ગુનેગાર બનીને ઊભી હતી. પોતાની જ પ્રજાના દબાણને વશ થઇને જનરલ ક્રિશ્ચન સ્મટને ફરજ પડી કે તેઓ ગાંધીજીને સમાધાન માટે મંત્રણાના મેજ પર આમંત્રે.

દક્ષિણ આફ્રિકામાં વસવાટ દરમ્યાન ગાંધીજી પર શ્રીમદ્ ભગવદ્ ગીતા અને લિયો ટોલ્સટોયના તત્વજ્ઞાનભર્યા લખાણોનો ખૂબ પ્રભાવ પડ્યો. ખાસ કરીને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતોમાંથી પોતાનાં ચિંતન દ્વારા ટોલ્સટોયે તારવેલા સરકાર વગરના શાસનના ખ્યાલની ઊંડી અસર ગાંધીના મન, કર્મ અને વિચારો પર જીવનના અંત પર્યંત જોવા મળે છે. ટોલ્સટોયે ૧૯૦૮માં કટ્ટર ભારતીય રાષ્ટ્રવાદીઓને સંબોધીને લખેલા લેખ Letter to a Hindu નો ગાંધીજીએ અનુવાદ કર્યો. ૧૯૧૦માં ટોલ્સટોયના મૃત્યુ સુધી ગાંધીજી અને ટોલ્સટોય એકબીજાને પત્ર દ્વારા નિયમિત મળતા રહ્યા. ગાંધીજી ઉપર હેન્રી ડેવિડ થોરોના વિખ્યાત નિબંધ Civil Disobedience (પ્રજાકીય અવજ્ઞા)નો પણ ઊંડો પ્રભાવ દેખાય છે. ઈશ્વરે ગાંધીને જાણે દક્ષિણ આફ્રિકામાં એક સામાજિક-રાજકીય ક્રાંતિકારી બનાવવાની પૂરી વ્યવસ્થા કરી આપી હોય તેમ (સરકાર પરત્વે) પ્રજાકીય અવજ્ઞા અને તેનાં કૌશલ્યો તેમજ અહિંસક સંઘર્ષની સંકલ્પનાઓ ત્યારે જ સૌ પ્રથમવાર વિકસી. ગાંધીજી 
કદાચ આ ભાગીરથીને ઝીલવા જ જન્મ્યા હતા. પહેલું વિશ્વ યુધ્ધ ફાટી નીકળતા ગાંધીજીએ તેમનાં આ પ્રયોગની કસોટી પર પાર ઊતરેલા નવા વિચારો સાથે ભારત આવવાનું નક્કી કર્યું.

દરમિયાન રસ્કિન અને તોલ્સ્તોયના સાદગી અને સ્વાશ્રયના સિદ્ધાંતોને આધારે નવા જીવનપ્રયોગ માટે ૧૯૦૪ માં ફિનિક્સ આશ્રમ અને ૧૯૧૦ માં તોસ્લ્તોય ફાર્મની સ્થાપના કરી. ૧૯૦૪ થી ૧૯૧૪ સુધી દક્ષિણ આફ્રિકામાં ‘ઈન્ડિયન ઓપિનિયન’ સાપ્તાહિકનું સંપાદન કર્યું.

ભારતીય સ્વતંત્રતા સંગ્રામ:-

દક્ષિણ આફ્રિકી યુદ્ધની જેમ ગાંધીએ ૧૯૧૫ માં ભારત આવ્યા બાદ એમણે અમદાવાદમાં ‘સત્યાગ્રહ આશ્રમની’ સ્થાપના કરી. ૧૯૧૭ માં બિહારના ચંપારણમાં ગળીની ખેતી કરતાં હિન્દીઓ માટે એમણે અંગ્રેજો સામે પહેલી લડત આપી. પછી અમદાવાદના મિલમજૂરોની હડતાલને બળ પૂરું પાડ્યું. ૧૯૧૮ માં ખેડા સત્યાગ્રહ આદર્યો. અહીં પણ ભારતના લોકોને અપીલ કરી કે તેઓ બ્રિટનને પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન મદદ કરે અને આ માટે તેમણે ભારતીયોની મિલિટરીમાં ભરતી કરવાનું કામ પણ ચાલુ કર્યું. ઘર આંગણે ગુજરાતીઓ અને બિહારીઓની પડખે ઊભા રહીને તેમણે બ્રિટીશ દ્વારા ભારતીયોનાં દમન વિરુદ્ધ અવાજ તો ઊઠાવીને તેઓ ભારતીયોની રાષ્ટ્રવાદી ચળવળમાં સક્રિય રહ્યા પણ બ્રિટીશરોની સાથે પોતાનાં સંબંધો તૂટી ન જાય તેનું પણ તેમણે ધ્યાન રાખ્યું. સન ૧૯૧૯માં બ્રિટીશ સરકારે રોલેટ બીલ પસાર કર્યું કે સરકારનો કોઇપણ જાતનો વિરોધ કરનારને સરકાર ન્યાયપાલિકાને જણાવ્યા વગર સીધી જ કેદ કરી શકે. આ બીલના વિરોધમાં ગાંધીને એવું પગલું ભરવા મજબુર કર્યા કે જેથી અંગ્રજો સાથે તેમના સંબંધ પર પૂર્ણવિરામ મુકાઇ ગયું. ગાંધીએ સત્યાગ્રહનું એલાન કરી દીધું જે પછી તરત આખા દેશમાં ચોતરફ હિંસા ફાટી નીકળી તેવામાં જ અમૃતસરમાં બ્રિટીશ લશ્કરે લગભગ ૪૦૦ જેટલા સત્યાગ્રહીઓને રહેંસી નાખ્યા અને માર્શલ લૉ લગાવી દીધો. આમ બંને પક્ષની હિંસાના કારણે ગાંધીએ લડત આટોપી લેવાની જાહેરાત કરી દીધી. પણ અત્યાર સુધીની લડતની સફળતાએ ગાંધીને ભારતના સ્વાતંત્ર સંગ્રામના મહાનાયક બનાવી દીધા હતા. ‘નવજીવન’ ને ‘યંગ ઈન્ડિયા’નું સંપાદન માથે લીધું. એપ્રિલ ૧૯૨૦માં ગાંધી All India Home Rule Leagueના અધ્યક્ષ તરીકે ચુંટાઇ આવ્યા. ૧૯૨૦ માં ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ મારફતે સંપૂર્ણ અસહકારનું આંદોલન શરૂ કર્યું. એ જ વર્ષમાં અસહકારના કાર્યક્રમના ભાગરૂપે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ૧૯૨૧માં ગાંધીને અખિલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના દ્વારા કૉંગ્રેસ વતી તમામ નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવી. ગાંધીના નેતૃત્વમાં સ્વરાજના ધ્યેય સાથે કૉંગ્રેસના બંધારણને નવેસરથી ઘડવામાં આવ્યું અને કૉંગ્રેસમાં પાયામાંથી ફેરફાર કરવામાં આવ્યા. કૉંગ્રેસનું સભ્યપદ સામાન્ય ફી સાથે દરેક ભારતીય માટે ખુલ્લુ મુકવામાં આવ્યું. કૉંગ્રેસમાં પ્રવર્તમાન અરાજકતા ઊપર કાબુ મેળવવા અને શિસ્તને સુધારવા કૉંગ્રેસમાં સત્તાને જુદા જુદા સ્તરે સમિતિઓમાં વિકેન્દ્રિત કરવામાં આવી. આવા પગલાંને કારણે શ્રેષ્ઠીઓની એક પાર્ટીમાંથી કૉંગ્રેસનો એક અદના ભારતીય સાથે જોડાયેલી સાચા અર્થમાં રાષ્ટ્રવાદી પાર્ટી તરીકે પુનર્જન્મ થયો. ગાંધીએ હવે અહિંસાની સાથે પરદેશી (ખાસ કરીને બ્રિટીશ) ચીજોના બહિષ્કારને બીજા અસરકારક શસ્ત્ર તરીકે અંગ્રેજો સામે તાકી દીધું. આના જ ભાગ તરીકે ખાદીનો પ્રચાર અને પ્રસારે ભારતભરમાં જાણે એક જુવાળ પેદા કર્યો. દરેક ભારતીયને ખાદી મળી રહે તે હેતુથી ગાંધીએ ભારતની ગરીબ અને તવંગર ઘરની તમામ સ્ત્રીઓને દરરોજ ખાદી કાંતવા અને તે દ્વારા પરોક્ષ રીતે અસહકારની લડતમાં ભાગ લેવા હાકલ કરી. બ્રિટીશ ચીજ વસ્તુઓની સાથે ગાંધીએ બ્રિટીશ ભણતર, બ્રિટીશ ન્યાયાલયમાં અને તમામ સરકારી નોકરીઓ છોડવા માટે પણ યુવાનોને પોરસ ચડાવ્યું. જનતાને અપીલ કરી કે બ્રિટીશ સરકાર દ્વારા લાદવામાં આવેલો કોઇપણ પ્રકારનો વેરો કોઇએ ભરવો નહીં. બ્રિટીશ દ્વારા એનાયત થયેલ ખિતાબો, ઇલ્કાબો, ઇનામો અને અકરામો પણ લોકોએ ગાંધીના કહેવાથી પાછા આપી દીધા. દુનિયા આખી પોરબંદરના એક વણિકની જુદા જ પ્રકારની લડતને અચરજ સાથે નિહાળી રહી હતી. ભારતનો ખૂણેખૂણો ગાંધીના રંગે રંગાઇ ચુક્યો હતો, લોકોમાં સ્વરાજ્યની પ્રબળ તૃષા જાગી ચુકી હતી. લડત તેનાં શિખરે હતી ત્યાં જ સ્વાતંત્ર્ય સંગ્રામને જોરદાર ધક્કો વાગ્યો. બન્યું એવું કે ફેબ્રુઆરી ૧૯૨૨માં ઊત્તર પ્રદેશમાં થોડા સ્વાતંત્ર્ય સેનાનીઓ એક દિવસ બેકાબુ બનતાં સ્વાતંત્ર્ય સંગ્રામ હિંસક માર્ગે વળી ગયો. ગાંધીજીની તમામ મહેનત પર જાણે પાણી ફરી વળ્યું. તેમને સાધનની શુદ્ધિ વિનાની સાધના નિરર્થક લાગી. આમ તેમણે પોતે આદરેલી અને અત્યાર સુધી અહિંસક રીતે દેશભરમાં ફેલાયેલી અસહકારની ચળવળ આટોપી લીધી. ગાંધી પર . ૧૯૨૨ માં એમની અંગ્રેજો દ્વારા ધરપકડ થઈ, રાજદ્રોહનો આરોપ મુકાયો, સરકાર દ્રોહનો ખટલો ચાલ્યો અને તેમને છ વર્ષની કેદની સજા થઇ. સંગ્રામના રસ્તે ગાંધી માટે આ પહેલો કારાવાસ તો નહોતો પણ ગાંધીના જીવનની અત્યાર સુધીની આ સૌથી લાંબી જેલયાત્રા હતી. ૧૮ માર્ચ ૧૯૨૨ના રોજ ગાંધીનો જેલવાસ શરૂ થયો પરંતુ ફેબ્રુઆરી ૧૯૨૪માં ગાંધીને એપેન્ડિક્સનું ઑપરેશન કરાવ્યા બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.

ગાંધીની ગેરહાજરીમાં કૉંગ્રેસ ધીમે ધીમે લડતમાં પીછેહઠ કરવા માંડી અને બે ભાગમાં વહેંચાઇ ગઇ. એક તરફ ચિત્તરંજન દાસમુનશી અને મોતીલાલ નહેરૂ હતા જેઓ સરકારમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની ભાગીદારીની તરફેણમાં હતા તો બીજી તરફ સરદાર વલ્લભભાઈ પટેલ અને ચક્રવર્તી રાજગોપાલાચારી જેવા ખેરખાંઓને એવો અંદેશો હતો કે સત્તામાં ભાગીદારી કરી સરકારનો હિસ્સો બની સરકાર સામે લડવાનું કામ લડતને નબળી પાડી દેશે. બીજી તરફ અહિંસક લડત દરમ્યાન હિંદુ મુસ્લીમ વચ્ચે મજબુત બનેલી સહઅસ્તિત્વની ભાવનામાં મોટી ઓટ આવી. ગાંધીજીએ વૈમનસ્યની આ સ્થિતિ તોડવા અથાગ પ્રયત્નો કર્યા પણ કાંઇ ન વળતાં ૧૯૨૪માં છેલ્લા ઊપાય તરીકે ત્રણ અઠવાડિયાનાં ઊપવાસ દ્વારા લોકોના હૈયા પર લાગણીનો પ્રહાર કર્યો. આ ઊપાય ઊપરછલું કામ કરી ગયો પણ બે કૉમ વચ્ચે કાયમી પ્રેમસેતુ ગાંધીજી (કે આજ પર્યંત કોઇપણ) સફળ ન થયા. ૧૯૨૪-૨૫ દરમિયાન એમણે અસ્પૃશ્યતાનિવારણ અને ખાદી અંગેનું રચનાત્મક કાર્ય ઉપાડ્યું. પછીથી ‘હરિજન’, ‘હરિજનસેવક’ ને ‘હરિજનબંધુ’ વૃત્તપત્રોનું સંપાદન પણ હાથ ધરેલું.

કલકત્તા અધિવેશનઃ તીવ્ર ચળવળનો પાયો:-

૧૯૨૭માં બ્રિટીશ સરકારે સર જ્હોન સિમોનના અધ્યક્ષપદે બંધારણીય સુધારા માટે એક કમીશનની રચના કરી જેમણે ભારતીયોના તમામ દરજ્જાઓથી વંચિત કરી દીધા. આના પરીણામે ભારતની તમામ રાજકારણી પાર્ટીઓએ કમીશનનો બહિષ્કાર કર્યો. ગાંધીએ પણ ૧૯૨૮માં કલકત્તા (હાલનું કોલકાતા)માં કૉંગ્રેસમાં ઠરાવ પસાર કર્યો જેમાં ભારતને રાજકીય મોભો અને ભારતીયોને તમામ બંધારણીય હક આપવાની અથવા અહિંસક આંદોલન માટે તૈયાર રહેવાની ચીમકી પણ આપી. તેમણે એ પણ જાહેરાત કરી દીધી કે જો એકવાર આંદોલન ચાલુ થશે તો તેઓ સંપૂર્ણ સ્વતંત્રતાથી ઓછું ભારતને કાંઇ નહી ખપે. સરકાર જ્યારે ન ઝુકી તો ગાંધીએ ૧૯૩૦માં દાંડી સત્યાગ્રહમાં પોતાના શબ્દો સાચા કરી બતાવ્યા. ૧૯૨૮ માં બારડોલી સત્યાગ્રહને માર્ગદર્શન આપ્યું.

૧૯૩૦ માં પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞા સાથે તેમણે સરકારે મીઠા પર લગાવેલા કરના વિરોધમાં દાંડી કૂચની જાહેરાત કરી. આ કાર્યક્રમ મુજબ ૨૧ માર્ચે સાબરમતીથી કૂચ આરંભીને ૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ ગાંધી દાંડી પહોંચ્યા. રસ્તામાં જાણે लोग जुड़ते गये कारवाँ बनता गया ગાંધીની દાંડીકુચ એક જગવિખ્યાત ઐતિહાસિક ઘટના બની ગઇ. ૪૦૦ કિ.મી. ના આ પ્રવાસમાં માનવ મહેરામણ બની ગયો. ગાંધીએ બ્રિટીશ અવજ્ઞાના પ્રતીકરૂપે કોઇ કર ભર્યા વગર દાંડીમાંથી જાહેરમાં એક મુઠી નમક લીધું. ગાંધીએ આને સવિનય કાનુનભંગ નામ આપ્યું. દાંડી સત્યાગ્રહ ભારતીય ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે મુદ્રિત થઇ ગયો. આ આંદોલનમાં ૬૦,૦૦૦ ભારતીયોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. ભારતનો ખૂણેખૂણો મા ભોમની બંધન મુક્તિ માટે હિલોળે ચડ્યો. સરકારને વાટાઘાટો કરવાની ફરજ પડી. બ્રિટીશ સરકારના પ્રતિનિધી તરીકે લૉર્ડ ઈરવીને ગાંધી સાથે મંત્રણા આદરી અને બંને પક્ષે સમાધાનરૂપે માર્ચ ૧૯૩૧મા ગાંધી-ઈરવીન કરાર કરવામાં આવ્યો. કરારમાં નક્કી કરવામાં આવ્યું કે બ્રિટીશ સરકાર તમામ રાજકીચ કેદીઓને જેલમાંથી છોડી દે અને બદલામાં ગાંધી અસહકારની લડત મ્યાન કરી દે. વધુમાં ગાંધીને લંડનમાં ગોળમેજી પરિષદમાં ભા. રા. કો. ના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું. પરિષદમાં ભારતીયોને અને ખાસ તો ગાંધીને નિરાશા સિવાય કશું જ ન મળ્યું કારણકે ભારતને સ્વતંત્રતા આપવાના મુદ્દાને બદલે અંગ્રેજોએ ભારતની લઘુમતીના મુદ્દાને ખૂબ ચગાવ્યો. અંગ્રેજો દ્વારા ભાગલાની નીતિની શરૂઆત આ પરિષદનું સૌથી મહત્વની સફળતા સાબિત થઇ. લૉર્ડ ઈરવીનના અનુગામી લૉર્ડ વિલિંગટને ભારતીય રાષ્ટ્રવાદીઓ સામે નવેસરથી અભિયાન આદર્યું. ગાંધીની ફરીવાર ધરપકડ કરવામાં આવી. આ દરમ્યાન ગાંધીને એકલા પાડી દઇ તેમના જનતા ઉપરના પ્રભાવને નષ્ટ કરી દેવા ગાંધીનો તેમના અનુયાયીઓ સાથેનો સંપર્ક સંપૂર્ણ રીતે કાપી નાખવામાં આવ્યો. જો કે, સરકારની આ ચાલ સફળ ન થઇ કારણકે આ દરમ્યાન સરદાર વલ્લભભાઇ પટેલે આંદોલનું નેતૃત્વ પોતાના હાથમાં લઇને આંદોલનકારીઓ ના જોમ અને જુસ્સાને જ્વલંત રાખ્યો. જ્યારે સરકારે મતાધિકારના મુદ્દે નવા બંધારણમાં અછૂતોને અન્ય ઊચ્ચવર્ણથી જુદા ગણ્યા ત્યારે ગાંધીજીએ ૧૯૩૨માં સપ્ટેમ્બર માસમાં ઊપવાસના શસ્ત્ર દ્વારા સરકારને પોતાના સૌને સમાન મતાધિકાર આપવા ફરજ પાડી. (જો કે, મિસાઇલથી પણ વધુ ખતરનાક આ શસ્ત્રનું અંગ્રેજો સામે સફળ પરીક્ષણ કરતી વખતે ગાંધીને ખબર નહોતી કે ભવિષ્યમાં સ્વતંત્ર ભારતમાં આ શસ્ત્રનો ખૂબ દૂરુપયોગ થશે.) અછૂતોનું જીવન સુધારવાના રસ્તે ગાંધીનું આ પ્રથમ પગલું હતું. માનો કે, ગાંધીજીએ દલિતોના સમાન સામાજીક અધિકારો માટે એક મહાઅભિયાનનો પાયો નાંખ્યો. તેમણે હિન્દુ સંસ્કૃતિની વર્ણ વ્યવસ્થામા શૂદ્ર (તુચ્છ) તરીકે ઓળખાતા વર્ગ માટે હરીજન શબ્દ પ્રયોજ્યો. ૮મી મે ૧૯૩૩ના દિવસે ગાંધીએ અંગ્રેજો દ્વારા ભારતીયોના દમનના વિરોધમાં ૨૧ દિવસના ઉપવાસ કર્યા. ૧૯૩૪માં ગાંધીનો જાન લેવા ત્રણ હુમલાઓ પણ થયા, પણ આ બધું ગાંધીને જાણે નવો જુસ્સો પુરું પાડતું હોય તેમ ગાંધીનું આંદોલન વધુ ને વધુ જોર પકડતું ગયું. બીજી તરફ ગાંધીને લાગવા માંડ્યું કે કોંગ્રેસીઓની નજરમાં અહિંસા અને ઉપવાસની કિંમત દુશ્મનના ગળે મુકીને ધાર્યું કરાવવાના અમોઘ શસ્ત્રથી વિશેષ કાંઇ નહોતી, જ્યારે ગાંધી માટે તો તે જીવન જીવવાનો એક માર્ગ હતો. અહિંસા માટે કોંગ્રેસીઓના વિચારોથી ગાંધીને ખૂબ દુઃખ થયું અને તેમણે કોંગ્રેસને રામ રામ કરી દીધું. તેમના ઉત્તરાધિકારી તરીકે જવાહરલાલ નહેરૂ કોંગ્રેસને પક્ષના પ્રમુખ બન્યા. સ્વતંત્રતા મેળવવા ભારતને કયો રસ્તો અપનાવવો જોઇએ તે બાબતે ગાંધી અને અન્ય કોંગ્રેસીઓ વચ્ચેના મતભેદો જગ જાહેર હતા. જાણે ભારતનું ભાવિ સરદાર અને નહેરૂ વચ્ચે જયારે સુકાની પદ માટે પસંદગી કરવાની આવી ત્યારે વિધાતાએ જાણે ફરજ પાડી કે ગાંધીજી નહેરૂને પસંદ કરે. ગાંધીજીની આ પસંદગી એ કેટલી યોગ્ય હતી તે ચર્ચા યાવત્ચંદ્રદિવાકરો ચાલતી રહેશે. આજે પણ ઘણા લોકો તેમની ટીકા કરતાં કહે છે કે ગાંધીએ અઝાદી તો અપાવી તે માટે ભવિષ્યનો દરેક ભારતીય તેમનો ઋણી રહેશે પણ તે ઋણ દરેક ચુકવવાની તક મળે તે માટે વિધાતાએ ગાંધી પાસે આવો નિર્ણય કરાવ્યો હશે. ગાંધીએ કોંગ્રેસમાંથી છુટા પડીને ભારતના ગામડે ગામડે જનજાગરણનું કામ હાથમાં લીધું. તેમણે અસ્પૃશ્યતા સામેની તેમની મુહિમ વધુ તેજ બનાવી, ચરખાને ઘરે ઘરે પહોંચાડ્યો અને નવી શિક્ષણનીતિનો પ્રચાર કર્યો. આ દરમ્યાન સેવાગ્રામ ગાંધીજીનું ઘર બની ગયું. ૧૯૩૬ માં અમદાવાદ મુકામે ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના બારમા અધિવેશનના પ્રમુખ રહ્યા.

બીજું વિશ્વ યુધ્ધ:-

૧૯૩૯ માં જર્મનો નાઝીઓએ પોલેન્ડમાં ઘુસપેઠ કરવાને કારણે બીજું વિશ્વ યુધ્ધ ફાટી નીકળ્યું. ફાશીવાદીઓના અત્યાચારનો ભોગ બનેલા તરફ ગાંધીની પુરેપુરી સહાનુભુતિ હતી પણ કૉંગ્રેસમાં ચર્ચા કરતાં એક સુર એવો નીકળ્યો કે ઘરઆંગણે જ્યારે પોતાની આઝાદી માટે આપણે વલખાં મારતા હોઇએ ત્યારે યુધ્ધમાં કુદી પડવામાં કોઇ ડહાપણ નહોતું. જો કે ગાંધીએ અંગ્રેજોને કહ્યું કે જો યુધ્ધ બાદ તેઓ ભારતની સ્વતંત્રતાનો કોઇ વાયદો કરે તો ભારતીયો તેમના પક્ષે યુધ્ધ લડવા તૈયાર હતા. બ્રિટીશ સરકારનો પ્રતિભાવ નકારાત્મક હતો. બ્રિટીશરોએ ધીમે ધીમે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે તણાવ ઊભો થાય અને સતત જળવાઇ રહે તેવી નીતિ અપનાવી. જેમ જેમ યુધ્ધ આગળ વધતું ગયું તેમ તેમ મોહનદાસે વણિકબુદ્ધિ મુજબ અંગ્રેજો ઉપર સ્વતંત્રતા માટેનું દબાણ વધારવા માંડ્યું અને છેવટે ૧૯૪૨ માં નિર્ણયાત્મક (અંગ્રેજો) ભારત છોડોની ચળવળ દેશભરમાં આગની જેમ ફેલાઇ ગઇ. ગાંધી અને તેમના ટેકેદારોએ અંગ્રેજોને જણાવી દીધું કે સ્વતંત્રતા નહિ તો યુધ્ધમાં કોઇ મદદ પણ નહિ. તેમના તીખા શબ્દોને કારણે બ્રિટીશ દળોએ મુંબઇમાં ૯મા ઑગસ્ટ ૧૯૪૨ના રોજ તેમની ધરપકડ કરી અને બે વર્ષ સુધી જેલમાં જ રાખ્યા.

ભારતના ભાગલા:-

હિન્દુ અને મુસ્લિમ બન્ને કોમ પર ગાંધીનો ખૂબ પ્રભાવ હતો. એમ કહેવાતું કે જો હિન્દુ-મુસ્લિમ દંગા ગાંધીજીની હાજરી માત્રથી બંધ થઇ જતા. ગાંધી અંગ્રેજોની ભાગલાવાદી નીતિ સમજી ગયા. તેઓ ભાગલાના વિરોધી હતા. પરંતુ ભારતની પ્રજા ભાગલાના નુકસાનને સમજી શકે તેટલી સમજદાર નહોતી. છેવટે ગાંધીએ પણ ભાગલાનો ઝીણાનો બે દેશનો સિધ્ધાંત (two nation theory) સ્વીકારવો પડ્યો. પરીણામે હિન્દુ બહુમતીવાળો બિનસાંપ્રદાયિક ભારત દેશ અને ઇસ્લામિક દેશ પાકિસ્તાન ૧૯૪૭માં અસ્તિત્વમાં આવ્યા. સત્તાના હસ્તાતરણ દરમ્યાન અન્ય ભારતીયોના સાથે ઉજવણીમાં જોડાવાના બદલે ભાગલાના દુઃખને કારણે ગાંધીએ કલકત્તા એકાંતવાસ પસંદ કર્યો.

ગાંધીજીની હત્યા:-

ગાંધીજીનું વર્તન હિન્દુ અને મુસ્લિમ સળગતી બન્ને કોમને તેઓ સામેની કોમના પક્ષકાર દેખાતા. જેના પાયામાં સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત છે તેવા ગાંધીજીએ કોમવાદી હિંસા ટાળવા પોતાનું શક્ય તેટલું યોગદાન આપ્યું. હિન્દુ મહાસભા માટે ગાંધીનો પક્ષપાત અસહ્ય બની ગયો અને ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ નથુરામ ગોડ્સેએ ગાંધીજીને ગોળીએ દીધ. આમ વરસોથી આઝાદી માટે લડતો એક મહાન યોદ્ધો સદાને માટે ચાલ્યો ગયો, ખરેખર આપણે હિન્દનો એક હિરલો ગુમાવ્યો.

Posted By: http://web-sarita.blogspot.com/

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.