વેબ સરિતા: 07/24/14
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Thursday 24 July 2014

વનસ્પતિઓમાં તો જીવ છે... આપણામાં છે ખરો ? :અનાવૃત - જય વસાવડા

- 'ડોડર' નામની વેલ ગંધના આધારે તંદુરસ્ત છોડવાને શોધીને તેને ચુસીને પોષણ મેળવે છે
- ઈટાલીના વિજ્ઞાાનીઓએ  છોડના મૂળિયા પણ સાઉન્ડવેવ્ઝ પ્રોડયુસ કરે છે  એવા સંશોધનો કર્યા છે
- સ્વીત્ઝર્લેન્ડના વનસ્પતિશાસ્ત્રીઓએ દુકાળમાં પાઈન અને ઓકના ઝાડ વચ્ચે  થતી વાતચીત અલ્ટ્રાસોનિક - સાઉન્ડવેવ્ઝના ટ્રાન્સમિશન સ્વરૃપે નોંધી  છે !
- માણસની જેમ જ વનસ્પતિમાં પણ ટચ,સાઈટ, સાઉન્ડ, સ્મેલ અને લિસનિંગની પાંચ સેન્સીઝ મોજુદ છે એવું ઈઝરાયલના વૈજ્ઞાાનિકનું અનોખું સંશોધન !


વોટ્સએપને છોડ અને ફેસબુકને
મૂક હવે તડકે
ભીંજાવા માંડ ચાલ, ચોમાસું
હાથમાંથી સરકે
આકાશે વાદળની પોસ્ટ એક મોકલી છે,
એને પણ લાઈક્સ એક આપને
ટેક્નોની દુનિયાથી બહાર સ્હેજ નીકળ,
ને લાગણીનો પંથ હવે કાપને.
સ્માઈલીને છોડ અલ્યા, સાચુકલા
હોઠ અહીં મલકે
ચોમાસું હાથમાંથી સરકે
છબછબને જાણ જરા, ફોરાંને માણ જરા
લથબથ થવાની મોજ માણને
છત્રીને રેઈનકોટ આઘા મે'લીને
જરા નીતરતાં નીતરતાં ચાલને
વીજળી યે કે'છે કે ડાબી આ
આંખ મારી ફડકે
ચોમાસુ હાથમાંથી સરકે !

દિલીપ રાવલની એકદમ તાજી વરસાદી કવિતામાં પલળવાની મોસમ ફાઈનલી આવી ગઈ. લોકોની  (આજે મીડિયાની પણ) યાદશક્તિ ટૂંકી છે, બાકી બદલાયેલા ઋતુચક્રમાં હવે ગુજરાતમાં રિયલ ચોમાસું મધ્ય જુલાઈથી જ બેસે અને પાછળ લંબાય, એ કેલેન્ડર આવી ગયું છે. વર્ષાઋતુના વધામણાનો સમય ફર્યા કરે છે, પણ વરસાદ પડે કે ભૂગર્ભ ગટરોના અભાવે રોડ પર નદીઓ વહેવા લાગે કે બત્તી ગુલ થઈ જાય કે સડક પર હિપ્પોપેટેમસના બગાસાં જેવડા ખાડા પડવા લાગે, એ કાળ અવિરત રહે છે !
પણ આપણે નીચેથી જરાક ઉપર જોઈએ તો ચોમેર મેઘ વરસી પડયા પછી ફ્રેશ ફ્રેગરન્સનું સામ્રાજ્ય મહેસૂસ થાય. ધરતીએ લીલુડી ચાદર ઓઢી લીધી હોવાનું રૃપક તો હવે ચવાઈ ગયું, પણ જાણે હોમ સ્ક્રીન પર રેઈનમેકરે ગ્રીન લીફી વોલપેપર સેટ કર્યું હોય, એવું જરૃરથી લાગે ! જાણે બેટરી ઓફ થઈ ગયેલા સૂક્કા ઠૂંઠા રિચાર્જ થઈને સજીવન થઈ ગયા હોય એવું લાગે. નવું કૂણું કૂણું ઘાસ ફૂટી નીકળે અને ઘટાદાર વૃક્ષો નવપલ્લવિત થવા લાગે !
આ મોન્સૂનમેજીકે બિછાવેલી લીલી જાજમ જેવા ઘાસ પર ચાલતી વખતે આપણા પગના તળિયા જો ખુલ્લા હોય, તો કેવો કોમળ સ્પર્શ મળે - એની ખબર પડે છે. પણ આપણા પગે ઘાસને શું થતું હશે, એનો અહેસાસ થાય ખરો ?
વેલ, આજે ભલે સાવ સ્થૂળ જીવદયાના બંધનો પૂરતો સીમિત રહ્યો, પણ મૂળ સૂક્ષ્મદર્શન જૈન ધર્મનું એ હતું જ કે નરી આંખે નિર્જીવ દેખાતી સચરાચરની સૃષ્ટિના કણ કણમાં જીવન છે અને એ ન્યાયે ભલે આંખો કે ચહેરાના હાવભાવ ન હોય, વનસ્પતિ પણ 'લાઈવ એન્ટીટી' છે ! આફટરઓલ, એના ફ્રૂટથી જ તે આદમ-ઈવમાં સેન્સ આવેલી ને ! હીહીહી.
જગદીશચંદ્ર બોઝનો આત્મા પુષ્પવૃષ્ટિ કરે એવું પુસ્તક તેલ અવીવ યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગના ડાયરેક્ટર ડેનિયલ કેમોવિટ્ઝે લખ્યું છે. ટાઈટલઃ ''વોટ એ પ્લાન્ટ નોઝ.'' ચોમાસાના આરંભનો ઉત્સવ મનાવવા માટે આ પ્રકૃતિ વિજ્ઞાાનની આંગળી પકડવા જેવી છે. જાણે 'લોર્ડ ઓફ ધ રિંગ્સ'ના બોલતા-ચાલતાં વૃક્ષોની સજીવસૃષ્ટિમાં લીલાંછમ થયા હોઈશું એવું લાગશે, અને કાઉન્ટરટેરર એટેક સિવાય પણ ઈઝરાયેલી સાયન્સ કેટલું વિકસ્યું છે, એ પોઝિટિવ ન્યુઝમાં રસ પડશે !
વેલ, વરસાદી વાયરામાં છોકરીની લહેરાતી લટો સાથે છોકરાનું છલકાતું મન પણ ઉડતું હોય, એ સીઝનમાં કદી વિચાર આવ્યો છે, કે આપણે તો ગુલાબને જોઈએ છીએ - પણ એ ગુલાબ આપણને નિહાળતું હશે ? આપણા શ્વાસમાં પારિજાતની મહેક ભળે છે, પણ પારિજાતને બાજુમાંથી પસાર થતી ગટરની બદબો સહન કરવી પડતી હશે ?
વૃક્ષો અને છોડવાઓ કે જંગલોનું આકર્ષણ આપણને જન્મજાત છે. પણ આ બધા ગજબ જોડીદારો છે, આપણા પૃથ્વી પર ! જીંદગી છુટ્ટે હાથે એમના પર જે કંઈ ઝીંકે, એ મૌન રહીને ચૂપચાપ ઝીલતા રહે છે. એ ખોરાકની તલાશમાં બહાર નીકળતા નથી. તોફાન આવે તો સલામત સ્થળે સંતાઈ શકતા નથી. 'ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે'ની જ અવસ્થામાં આયખું વિતાવતા સાક્ષીભાવે સ્થિતપ્રજ્ઞા તપસ્વીઓ જેવી આ લીલોતરીની તૃણ-છોડ-વૃક્ષની વનસ્પતિસૃષ્ટિ છે !
આંખ, કાન, નાક, મુખ, ત્વચા તો બુદ્ધિશાળી અને લાગણીસભર ગણાતા માણસોને પણ બહુ એડવાન્સ્ડ ફોર્મમાં મળ્યા છે પણ છતાં આપણામાંના ઘણા જડસુઓ એ મૂળભૂત પંચેન્દ્રિયોનો પૂરતો ઉપયોગ કે ઉપભોગ કરતા નથી. પણ 'ટ્રી' પાસે આ બધી 'ટ્રુ' સેન્સીઝ છે. સેન્સિટિવ રહીને સાયન્સના અભ્યાસથી આ અલૌકિક રહસ્ય સુધી પહોંચી શકાય એમ છે. ડૉ. ડેનિયલની આંગળી પકડીને બારી બહાર દેખાતા ફરફરતા પાંદડાને વચ્ચે વચ્ચે તાકતા ચાલો, વૃક્ષેન્દ્રિયોના વૃંદાવનમાં !
* * *
વનસ્પતિ શું નિહાળતી હશે વગર આંખે ? આ સવાલ ભૌતિક છે, પણ એનો વૈજ્ઞાાનિક જવાબ આધ્યાત્મિક છે ઃ પ્રકાશ ! જી હા, ભગવંતો-પયગંબરોની માફક એને ય નૂર, જ્યોતિ, લાઈટ જ નજરે ચડે છે, અને એ ય કોઈ તપસ્યા કર્યા વિના ! (સાક્ષીભાવે સહનશીલ થવાના બદલામાં મળતો સદેહે મોક્ષ હશે ?)
ચાર્લ્સ ડાર્વિને નોંધેલું કે સૂર્યકિરણોની પાછળ ઘેલા છોડવાઓ એની દિશામાં વળે છે. આપણી આંખમાં જેમ પ્રકાશ (અને રંગ) પારખતા ફોટોરિસેપ્ટર્સ છે, એવા જ વનસ્પતિ પાસે છે પણ એમાં એમને મેઘધનુષના બે છેડાઓ બ્લ્યુ એન્ડ રેડ દેખાય છે. અલબત્ત, આપણને ન દેખાય એવા ઈન્ડ્રારેડ અને અલ્ટ્રાવાયોલેટ જેવા શેડ્સ સાથે !
પ્રકાશસંશ્લેષણ (ફોટોસિન્થેસીસ)થી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઈડ અને પાણીનું ગ્લુકોઝમાં રૃપાંતર કરવા ફોટોન એનર્જી સૂરજની વાપરે છે. એ માટે એની પાસે 'ફોટોટ્રોપિન્સ' નામના લાઈટ સેન્સર્સ છે જે બ્લ્યુ લાઈટને સેન્સ કરી, ઓકિઝન હોર્મોનને એક્ટિવેટ કરતી ચેનલ ગોઠવે છે. જેથી છાયામાં રહેલા એના કોષો પ્રકાશની દિશામાં વળે છે.
પણ પાંદડામાં રહેલા ફોટોક્રોન્સ નામના રેડ લાઈટ રિસેપ્ટર તો એથી પણ વધુ કમાલના છે ! એ એકદમ હાઈટેક લાઈટ સેન્સર એકટિવેટેડ સ્વીચ છે, કુદરતે બનાવીને હરિયાળીને ગિફ્ટ કરેલી ! જ્યારે જ્યારે દૂરના લાલ પ્રકાશ કિરણોનો એને અહેસાસ થાય, ત્યારે એ પોતાની કામગીરી ટ્રુ વે સ્વિચની જેમ શરૃ કે બંધ (લાસ્ટ મોડથી ઓપોઝિટ મોડમાં જઈને) કરે. સાંજ પડયે આવી લાલિમા એની કામગીરી બંધ કરે, અને પ્રભાતની રતાશ રીતસર એને જગાડીને ફરી પ્રવૃત્ત કરે ! આ સિગ્નલ ફક્ત 'ફાર રેડ લાઈટ' મતલબ દૂરથી આવતા પ્રકાશ કિરણોના જ એને મળે. ઝળહળતા પ્રકાશની રેડલાઈટ વળી પેલા પાંદડાને લીલા બનાવતા હરિતદ્રવ્ય ક્લોરોફિલને એક્ટિવ કરી સૂર્યની સાક્ષીએ રાંધવાનું રસોડું ચલાવે !
આ બધા રિસેપ્ટર જુદી રીતે પ્રાણીઓ અને મનુષ્યોની આંખમાં પણ હોય, અને બધા પ્રોટીન સપોર્ટેડ હોય પણ કામગીરી જુદી હોય - હા, અકળ સજીવસૃષ્ટિમાં ક્રિપ્ટોક્રોમ નામનું ફોટોરિસેપ્ટર સેઈમ છે, જે અલ્ટ્રાવાયોલેટ અને બ્લ્યુ રેઝને સેન્સ કરી સાર્કેડિયન રિધમ નામે ઓળખાતી ઉંઘવા-જાગવા-સુસ્તી-સ્ફૂર્તિની સાઈકલ નક્કી કરે. દિવસના તાજગી અને રાતના નીંદર આપે, અને એ રીતે વનસ્પતિ પાસે ઘડિયાળ પણ છે, રાત-દિવસ પારખવાની !
વનસ્પતિઓને સંગીત સંભળાવવા બાબતે તો બહુ બધા પ્રયોગો થઈ જ ચૂક્યા છે. જોકે, એમાં એ સંભળાવતા મનુષ્યને જેવું સંગીત ગમે એવા તારણો નીકળે છે. હેવી મેટલ રોકને પણ એ રિસ્પોન્સ કરે છે, અને સૌમ્ય શાસ્ત્રીય સંગીતને પણ ! એમાં કોઈ વાડાબંધી નથી અને જેમ વનસ્પતિની આઈસાઈટની ચકાસણી કંઈ એબીસીડીના ચાર્ટથી ન થાય, એમ હીઅરિંગ કેપેસિટીનો ખ્યાલ કંઈ સંગીતથી જ આવે એવું નથી.
પણ ભંવરે કી ગુંજન જેમ આપણને ફિલ્મગીતો લખવા મજબૂર કરે છે, એવું જ વનસ્પતિઓ સાથે પણ વગર વરસાદી માહોલે કરે છે. જીવડાંઓ-જંતુડાઓના સાઉન્ડ વાયબ્રેશન્સ વનસ્પતિઓ 'સાંભળે' છે, એવું અનુમાન છે. સ્વીત્ઝર્લેન્ડના વનસ્પતિશાસ્ત્રીઓએ તો દુકાળમાં પાઈન અને ઓકના ઝાડ વચ્ચે અલ્ટ્રાસોનિક - સાઉન્ડવેવ્ઝના ટ્રાન્સમિશન નોંધ્યા છે ! કદાચ, પાણી વિના રહેવાની આપણી ચાલીમાં બૂમાબૂમ થાય એવી ચેતવણીઓ હશે ! ઈટાલીમાં ફલોરેન્સની યુનિવર્સિટીની પ્લાન્ટ ન્યુરોબાયોલોજી લેબોરેટરીએ તો વળી છોડના મૂળિયા પણ સાઉન્ડવેવ્ઝ પ્રોડયુસ કરે છે, એવા સંશોધનો હાથ પર લીધા છે. મતલબ, વનસ્પતિની શ્રવણશક્તિ બાબતે હજુ નવા સમાચારો સંભળાઈ શકે છે !
પણ વનસ્પતિ ગંધ અનુભવે છે, એની ખબર તો કાર્બાઈડની ઝેરી પડીકીથી કેરી પકવીને ખાતા કે જોતાં સહુ કોઈને પડી જવી જોઈએ. ૧૯૨૦માં અમેરિકન વિજ્ઞાાનીઓએ શોધેલું કે કાચા ફળોને ઈથીલીન ગેસ પકાવી શકે છે. કુદરતી રીતે એક ફળ પાકે તો તોડો ઈથીલીન મુક્ત કરે, પાડોશી ફળ એ 'સૂંઘે' અને 'હીટ'માં આવી પોતે પણ પાકવા લાગે અને જોતજોતામાં હુક્કા બાર ડાન્સ ફલોર જેવું ચેઈન રિએકશન ફેલાઈ જાય ! ફળ પાકવાનું આ કો-ઓર્ડિનેશન કુદરતના ઓરકેસ્ટ્રાના તાલે છે, જેથી એના સ્વાદ-સુગંધથી આકર્ષાઈ કીટકો એ ખાવા આવે અને એના બીજ એ રીતે ફેલાતા જતાં પ્રજનનથી ઉત્ક્રાંતિનો સિલસિલો વિકસતો રહે ! એમ તો જીવાણુઓથી પરેશાન અમુક વૃક્ષો ખુદ પર જીવાતનો એટેક થાય તો બીજા વૃક્ષોને સાબદા કરતી સ્મેલથી એસએમએસ પાઠવે છે !
'ડોડર' નામની વેલ તો ગ્રીન બેલ્ટનો સ્નીફર ડોગ ગણાય છે ! એની પાસે ક્લોરોફિલ નહિવત છે. એટલે એણે જીવનરસ બીજા છોડવાઓમાંથી ગટગટાવો ફરજીયાત છે. આ માટે ડ્રેક્યુલા ગોરી સુંદરીઓ શોધે, એમ એ હેલ્થી સ્યુગરી 'ફૂડ સ્ટોરેજ' ધરાવતા અન્ય છોડ ગંધના આધારે શોધે છે, અને દુર્ગંધના આધારે જેમ આપણે વાસી શાક પડતું મૂકીએ તેમ 'અનહેલ્થી' છોડવાને પડતા મૂકે છે ! મતલબ, વગર નાકે પણ હવામાં મેલેક્યુલ્સને સૂંઘવાની તાકાત અમુક વનસ્પતિઓમાં છે !
તો પછી વગર જીભે ચાખવાની પણ હોય જ ને ! આમ પણ માણસ જાતમાં સ્મેલ એન્ડ ટેસ્ટ એકમેકમાં ગૂંથાયેલી સેન્સીઝ છે. ભજીયાની સોડમથી ભૂખ નથી લાગતી વરસાદમાં ? આપણા જ નાક અને મોંઢાનાં પોલાણ અંદરથી 'કનેકટેડ' છે. માટે ફૂડ ચાવતી વખતે એના સ્વાદ સાથે વાસ પણ આપણે અનુભવીએ છીએ. હવામાં ભળે એવા ઉડ્ડયનશીલ (વોલેટાઈલ) કેમિકલ્સ ઘ્ર્રાણેન્દ્રિય (નાક) અને પાણીમાં ભળે એવા દ્રાવ્ય (સોલ્યુબલ) કેમિકલ્સ સ્વાદેન્દ્રિય (જીભ) સાથે પનારો પાડે, એનું નામ ભોજનનો આનંદ !
આવા જ ક્રોસકનેકશન વનસ્પતિ વિશ્વમાં પણ છે. કોઈ રોગ-જીવાતના આક્રમણ તળે હવામાં સ્પ્રે થાય એમ પાડોશીઓને સ્મેલ સિગ્નલ મળે, એ વાત તો થઈ ગઈ. પણ ક્યાંક એ સ્વાદ પણ પારખે છે. એક અન્ડર એટેક છોડ મિથાઈલ જેસ્મોનેટ નામનો કેમિકલ હવામાં વહેવડાવે છે. એ બીજાના પાંદડા પર બેસીને એ પાંદડા પરના પરસેવા જેવા પ્રવાહી સાથે ભળી જેસ્મોનિક એસિડમાં રૃપાંતરિત થાય છે. પાંદડામાં રહેલા 'ટેસ્ટ' રિસેપ્ટર્સ ટ્રિગર્ડ થઈને તરત એને 'ચાખી' એનો રિસ્પોન્સ આપે છે !
આ તો 'પાંદડાની જીભ'ની વાત થઈ, પણ ઘણી વનસ્પતિઓ એના મૂળિયામાં સ્વાદેન્દ્રિય ધરાવે છે. આફટરઓલ ત્યાંથી પણ પોષણ મેળવવાનું જ છે - ધરતી અને પાણીના.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/anavrut4551

[શતદલ ગુજરાત સમાચારમાંથી સાભાર ]

Posted By: http://web-sarita.blogspot.com/ Thursday 24 July 2014

જાતીય શિક્ષણ આજના સમયની માગ છે... - મલ્લિકા સારાભાઈ

જિજ્ઞાસા: આજનાં બાળકો સમય કરતાં વહેલાં                                         રિપક્વ થાય છે. તેમના પ્રશ્નોનો સામનો કરવો મહત્વનું બની ગયું છે.

બાળઉછેર વિશે હું છેલ્લા ઘણા સમયથી વિચારી રહી હતી. મહિ‌લાઓ અને બાળકીઓ પરના અત્યાચારને અટકાવવાના ભાગરૂપે ૧૪મી ફેબ્રુઆરીના અમદાવાદ રાઈઝિંગ અભિયાનના પ્રચાર દરમિયાન મેં ૨૨ 
શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી હતી, જેમાંથી મોટાભાગની સ્કૂલો હતી. બાળકો અને શિક્ષકો સાથે વાતચીત કરતાં મારા ધ્યાનમાં આવ્યું કે જીવનના પહેલા અથવા બીજા વર્ષના સમયમાં જ વ્યક્તિમાં હિંસાનાં બીજ રોપાઈ જાય છે.


કોઈ બાળક તેના શરીર અંગે સમજવાનું શરૂ કરે ત્યારે માતા ખૂબ જ ખુશ થઈ જાય છે, પરંતુ તે તેનાં ગુપ્તાંગોને સ્પર્શ કરે તે સાથે જ તેનો તાત્કાલિક પ્રતિભાવ હોય છે, 'છી... છી... ગંદુ, શેમ શેમ.’ બાળક 
હેબતાઈ જાય છે અને અટકી જાય છે, પરંતુ તેના મગજમાં એ બાબત નોંધાઈ જાય છે કે શરીરના કેટલાક ભાગ સ્વીકૃત નથી. આમ, ગુપ્તાંગો અંગે જાણવાની તેનામાં જિજ્ઞાસા પેદા થાય છે. આગળ જતાં આ જિજ્ઞાસા સંતોષવા બાળકો ઈન્ટરનેટ, પોર્નોગ્રાફી સાઈટ્સ, ગોસીપ અને ગર્ભિ‌ત સંશાધનોના માર્ગે વળે છે. આપણી ફિલ્મો, ખાસ કરીને આઈટમ ગીતો તેમને બતાવે છે કે પુરુષ અને મહિ‌લા કેવી રીતે વર્તે છે. ગુપ્તાંગો અંગે માહિ‌તીના આ સ્રોત તેમની જિજ્ઞાસામાં વધારો કરે છે.



આજનાં બાળકો ખાસ કરીને ટેક્નોલોજીલક્ષી બાળકો અનેક સ્ર્ાોતમાંથી માહિ‌તી મેળવી શકે છે. આપણાં સંતાનો શું જુએ અથવા શું વાંચે અથવા શું સાંભળે તેના પર આપણું કોઈ નિયંત્રણ રહ્યું નથી. આથી, બાળકોના પ્રશ્નો અને જિજ્ઞાસાઓનો સામનો કરવો ઘણું જ મહત્ત્વનું બની ગયું છે.


નૈતિક્તાના ઓઠા હેઠળ બાળકોના આ પ્રશ્નોના જવાબ આપવાનું ટાળવું જોઈએ નહીં. ઉપરાંત બાળકને તેના શરીર અને જાતીયતા અંગે શિક્ષિત કરવાથી તે સેક્સ માટે પ્રોત્સાહિ‌ત થશે તેવી માન્યતા પણ ત્યજી દેવી જોઈએ. આજે અનેક બાળકો માત્ર પાંચ કે છ વર્ષની વયે જ કમ્પ્યૂટરનો ઉપયોગ કરવા અને કી વર્ડ્સ દ્વારા શોધવાનું શીખવા લાગ્યા છે. કેટલીક વીડિયોગેમ્સ પણ જાતીયતાના ગર્ભિ‌તાર્થો દર્શાવે છે. આ પરિસ્થિતિમાં માતા-પિતા જાતીયતા સંબંધિત માહિ‌તી બાબતે કેવી રીતે ચુપકીદી જાળવવાનું ચાલુ રાખશે અને આશા રાખે કે સમય જતાં આ સમસ્યાનો ઉકેલ જાતે જ આવી જશે?

આજનાં બાળકો સમય કરતાં વહેલાં પરિપક્વ થઈ ગયાં છે. આજે છોકરીઓ વહેલા માસિકમાં આવી જાય છે, છોકરાઓ વહેલા ડેટ પર જવા લાગ્યા છે અને વહેલા જ જાતીય રીતે સક્રિય થઈ ગયા છે. આવી સ્થિતિમાં માતા-પિતાએ શાહમૃગવૃત્તિ દર્શાવવાના બદલે સમસ્યાનો સામનો કરવો જોઈએ. શરીરની સમજ અને પૂર્ણતાની જરૂરિયાત શહેરની છોકરીઓને ખાઉધરાપણા અને મંદાગ્નિ‌ જેવી બીમારીઓ તરફ દોરી જાય છે. છોકરાઓ ગેંગ બનાવે છે, ધૂમ્રપાન અને ડ્રગ્સ લેવાનું શરૂ કરે છે, હિંસા અથવા પોર્નોગ્રાફીમાં પણ સંડોવાય છે. હજી કેટલાક મહિ‌ના પહેલાં જ કેરળમાં એક કિશોર વધારાની આવક મેળવવા તેની માતાનો સ્નાન કરતો વીડિયો શૂટ કરતાં પકડાયો હતો.

આપણે શિસ્તનો ખૂબ જ આગ્રહ રાખીએ છીએ. બાળકોને બોલવાની મુક્તિ અને તેમને સાંભળવા જરૂરી છે, તેના વિના તમે તેને યોગ્ય પ્રતિભાવ આપી શકશો નહીં. તેમને એવી અનુભૂતિ કરાવો કે તમે તેમને સમજવા માગો છો, તેમનો દૃષ્ટિકોણ પણ મહત્ત્વનો છે, તમે પણ તમારો દૃષ્ટિકોણ બદલી શકો છો. શિસ્ત સંબંધિત કોઈ બાબત હોય અને તેમની સામે શિસ્તભંગના પગલાં લેવાં હોય તો તેમણે જે કર્યું છે તે શા માટે ખોટું છે તેની તેમની સાથે ચર્ચા કરો. એક વખત તેમને તે બાબત સમજાય એટલે તેમને જ પૂછો કે તેની સજા શું હોઈ શકે? તે સજા બાબતે અસંમત થાય તો તે અંગે વાટાઘાટો કરો. તેને થઈ રહેલી સજા યોગ્ય છે તેમ તેને સમજાવો. તમે ખોટા હોવ, તમારી ગેરસમજ થઈ હોય અથવા તમે કોઈ બાબતનું ખોટું મૂલ્યાંકન કર્યું હોય ત્યારે તમારી ભૂલ સુધારવા તૈયાર રહો.

અહીં અમેરિકન લેખક જોયસે મેનાર્ડની વાત યાદ રાખવા જેવી છે. તેમનું કહેવું છે 'માત્ર બાળક જ નહીં, માતા-પિતાનો પણ વિકાસ થાય છે. આપણાં બાળકો તેમના જીવનમાં શું કરે છે તેના ઉપર આપણે જેટલી નજર રાખીએ છીએ, બાળકો પણ આપણે શું કરતાં હોઈએ છીએ એ જોતાં હોય છે. હું મારા બાળકોને સૂર્યની ઊંચાઈએ પહોંચવા નહીં જણાવું, પરંતુ તેમને ત્યાં સુધી પહોંચવાનો માર્ગ જણાવીશ.’ ચાઈલ્ડિશ ક્વેશ્ચનના લેખક ઓ. એ. બટિસ્ટા પણ કહે છે 'માતા-પિતા તેમના બાળક સાથે દિવસમાં થોડીક મિનિટ ગાળી શકે તો તેનાથી શ્રેષ્ઠ બીજો કોઈ વારસો નથી.’


મલ્લિકા સારાભાઈ



લેખકા પ્રતિષ્ઠિ‌ત અભિનેત્રી અને એક્ટિવિસ્ટ છે.
[http://www.divyabhaskar.co.in/article/ABH-it-is-time-to-demand-sex-education-4262251-NOR.htmlમાંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/

માનવ માનવ થાય તો ઘણું … - સંકલિત

આપણા મૂર્ધન્ય કવિ, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા, શ્રી ઉમાશંકર જોશીએ કહ્યું છે કે :

વિશાળ જગ વિસ્તારે, નથી એક જ માનવી
પશુ  છે, પંખી  છે,  વનોની  છે  વનસ્પતી.

તાત્પર્ય એ છે કે અદભુત, અદ્વૈત, દિવ્ય સૃષ્ટિમાં માનવી સાથે અસંખ્ય પશુ, પંખી, જંતુઓ, વનસ્પતિ વગેરે છે. સૃષ્ટિની સંપત્તિ એકલા મનુષ્ય માટે નથી. અન્ય જીવો માટે પણ છે. મનુષ્ય સર્વશ્રેષ્ઠ પ્રાણી છે. એટલે તેણે આ બાબત ધ્યાનમાં રાખીને સાચા, સારા, જાગૃત માનવ બનીને અન્ય જીવોના, કલ્યાણ અર્થે ‘જીવો, જીવવા દો અને જિવાડો’ ને જીવનમંત્ર બનાવવો જોઈએ. પણ મોટા ભાગના માણસો માનવ બની ઉત્કૃષ્ટ જીવન જીવતા નથી. માનસ અને માનવમાં ઘણો ફેર છે. વિમલાજીના મત પ્રમાણે દેહ ધારણ કરનારા બધાં માણસો છે પરંતુ જેનામાં ચેતનાનું જીવંત વહન થતું હોય તે માનવી. જે મનુષ્ય હર ક્ષણે જાગૃત, ચેતનામય રહી પોતાનો ધર્મ, કર્તવ્ય બજાવે છે તે જ મનુષ્યમાંથી માનવ બંને છે. આ મુશ્કેલ તો છે જ પરંતુ અશક્ય નથી.
આચાર, વિચાર, વાણી, વર્તન કરતાં પહેલાં માણસ જાગૃત રહી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે છે આમ માણસને વ્યવહારની પસંદગીનો અધિકાર છે. જીવનદાતાની આ અણમોલ ભેટનો ઉપયોગ માણસે પૂરતી સભાનતાથી કરવો જોઈએ. 
પ્રભુએ માણસને વિવેક બુદ્ધિ, મધુર વાણી, ધર્મ, શિક્ષણ, સંસ્કાર, પ્રેમ, આધ્યાત્મિક વિચારો અને પ્રગતિ માટેની પસંદગીની બધી જ શારીરિક, માનસિક અને સામાજિક તકો આપી છે છતાં તે પોતે પોતાને ‘સ્વ’ ને ઓળખતો નથી. માણસને આખી દુનિયા સારી જોઈએ છે પણ પોતાને સારું થવું નથી. 
દરેક જીવો એક બીજા પર પરસ્પરાવલંબી જીવન જીવે છે. દરેક જીવના જીવનનો આધાર અન્ય અસંખ્ય જીવન પર છે. મારા મત પ્રમાણે સમગ્ર સૃષ્ટિનું સમતુલન અને પર્યાવરણનું જતન કરીને અન્ય જીવોના ક્ષેમકુશળનું રક્ષણ કરવું તથા ‘જીવો, જીવવા દો અને જિવાડો’ ના કુદરતી ન્યાયથી સૌને સ્વતંત્રા અને ગૌરવથી પોતપોતાની રીતે જીવવાં દેવાં તે જ માણસનું મૂળભૂત કર્તવ્ય છે. આ કર્તવ્ય બજાવવા તેમજ જવાબદારી નિભાવવા માટે જ પ્રભુએ તેને શ્રેષ્ઠતા બક્ષી છે. માણસમાંથી માનવી બનવાનું આ જ પ્રેરક બળ છે, પરંતુ પ્રવર્તમાન સમયમાં માણસ આ ફરજ ચૂક્યો છે. પોતાની ભૌતિક સુખસગવડો માટે વિકાસને નામે પર્યાવરણને પ્રદુષિત કરી દિવસે દિવસે સૃષ્ટિને વિનાશ તરફ લઇ જઈ રહ્યો છે.
પરમ કૃપાળુ પરમાત્માએ આ સમગ્ર ગતિશીલ, સતત પરિવર્તનશીલ અને સાપેક્ષ સૃષ્ટિમાં સારાં કર્મો કરી શકે તે હેતુથી માનવને અમોઘ મંત્ર આપ્યો કે હાથથી દાન કરજે, હિંસા નહિ. કાનથી સદવિચારો કરજે, ભંભેરણી નહીં. આંખમાં કરુણા દ્રષ્ટિ રાખજે, ઈર્ષ્યા નહીં. તારા વિશાળ હૃદયમાં અનેકને સમાવજે, એને ખાલી રાખીશ નહીં. આવી દુર્લભ ઇન્દ્રિયો ઈશ્વરે મનુષ્ય સિવાય કોઈ પ્રાણીને બક્ષી નથી. સત્કર્મો કરવાની શક્તિ અને શ્રદ્ધા મનુષ્ય સિવાય કોઈ પ્રાણીને બક્ષી નથી. પોતાનું કર્તવ્ય સમજીને માણસે આ શ્રદ્ધાને ફળીભૂત કરવાની છે. માણસે માનવી બનવા માટે આ માર્ગદર્શક પ્રેરકબળ પૂરતું નથી ?
માનવ ધર્મ એટલે શું ? સંસ્થાગત ધર્મો એક બીજાના વિરોધી નહીં એકબીજાના પૂરક છે. વિવેકાનંદના વિચાર પ્રમાણે ધર્મો બધાં સત્ય નથી, પણ બધાં ધર્મોમાં સત્ય છે. તુકારામનું કથન છે કે બધાં ધર્મો હરિનાં ચરણ જ છે. બધાં ધર્મો એકબીજાના પૂરક છે. એટલે માણસે દરેક ધર્મગ્રંથોનું વાચન કરી, દરેકનો ઉત્તમ સાર જ ગ્રહણ કરવો જોઈએ. આપણા ધર્મનું પાલન કરતાં કરતાં અન્ય ધર્મો પ્રત્યે સહિષ્ણુતા, સમભાવ રાખવાનો છે. માણસ આવું વિચારે તો ધર્મોના ઝઘડાનું અસ્તિત્વ ના રહે.
પૃથ્વીમાતા જેવી મનની અવસ્થા રાખો … 
‘દિવ્ય વસુંધરા બધાંને ધારણ કરે છે. સહનશીલ છે. એ પ્રતિકાર કરતી નથી. ચુપચાપ એ બધાને પ્રતિભાવ આપે છે. કોઈ એના પર ગંદકી કરે છે, થૂંકે છે તો પણ તે કોઈને ધિક્કારતી નથી. બધાને જ સ્વીકારે છે. પોતાના ગમાઅણગમાથી એ પોતાને કે બીજાને પજવતી નથી. એ સમભાવી, સદભાવી છે. કરુણાથી સૌનો સ્વીકાર કરે છે. સ્વીકૃતિ એ પૃથ્વીની પ્રકૃતિ છે. કશાયનો નકાર નહીં. સૌનો, સર્વનો સ્વીકાર.’
મહાન ચિંતકો, મહાત્માઓએ જીવન-સંદેશ આપ્યો છે કે ‘આપણા વિચારો જ આપણું જીવનઘડતર કરે છે.’સ્વામી ચિદાનંદજીનો શાશ્વત સંદેશ છે કે ‘દરેક વ્યક્તિના હૃદયમાં શાશ્વત પરમાનંદનું પરમધામ, પ્રસન્નતાનો અખૂટ સ્તોત્ર અમૃતનો ભંડાર તથા દિવ્ય કેન્દ્ર હોય છે. ઉદાત્ત અને દિવ્ય વિચારોને હૃદયમાં સ્થાન આપો જેથી તમારી પરિસ્થિતિ તથા વાતાવરણ તમારા માટે નિ:સંદેહ સદાય અનૂકુળ રહેશે.’ આ માટે જરૂર છે વિચારના ખેતરમાં સતત ગોડ (શોધ/ખોજ) કરતા રહેવાની. એ માટી જેમાં વિચાર ઊગે છે, પુષ્ટ થાય છે તેને યોગ્ય ખાતર આપવાની અને બંધિયારને બદલે મોકળું વાતાવરણ આપવાની. વિચારણા ઘણા સ્તોત્ર છે. જીવન-ઘડતર કરે તેવું વાચન, ચિંતન, સંવાદ, પ્રવચન – દર્શન, નિરીક્ષણ, સત્સંગ, ચર્ચા … વગેરે. અદભૂત પ્રકૃતિનું દર્શન-નિરીક્ષણ પણ મન, હૃદય અને આત્માને પુલકિત –પ્રસન્ન કરશે. હંમેશાં સકારત્મક વિચાર કરો તો જીવનપથ આપોઆપ રળિયામણો બનશે જ. આમ માણસ માનવી બંને તો કુટુંબ, સમાજ, રાષ્ટ્રમાં સુખ, શાંતિ, આનંદ અને સમૃદ્ધિ પ્રગટે. આપણી પ્રજાનું અનેક અનિષ્ટોનું મૂલ કદાચ વિચાર શૂન્યતામાંથી જડશે. સામાન્ય રીતે જુદા જુદા વિષયોમાં પરીક્ષાઓ પાસ કરી ઉચ્ચ પદવીઓ મેળવેલ માણસ ભણેલો કહેવાય પરંતુ તે શિક્ષિત કે કેળવાયેલો ન કહેવાય. એનું વ્યકતિત્વ, ચારિત્ર્ય કે સંસ્કારઘડતર થયું હોય અને વિશ્વબંધુત્વ, વિશ્વપ્રેમ, વિશ્વશાંતિની ભાવના પ્રગટી હોય અને સૃષ્ટિના અદ્વૈત અંશ સ્વરૂપે પોતાને પામવાની શક્તિ અને સમજણ એનામાં પ્રગટી હોય તો જ, આવો કેળવાયેલો માણસ જ, શિક્ષિત માનવ કહેવાય. આપણા ગુજરાતના મૂક સેવક પૂ.રવિશંકર દાદાનોજીવનસંદેશ છે કે ‘ઘસાઈને ઊજળા થઈએ, બીજાને ખપમાં આવીએ.’ સાદું પરોપકારી, પ્રામાણિક જીવન અને ઉચ્ચ વિચારો જ માનવીનો સાચો વૈભવ છે. 
ભગવાન બુદ્ધ કરુણાની મૂર્તિ હતા. તેમણે ઉપદેશ આપ્યો છે કે, ‘માનવીમાં જ્યારે કરુણા, પ્રેમ અને સદભાવના જાગે છે ત્યારે સમગ્ર સૃષ્ટિના અન્ય જીવોના અંતરાત્માને ઓળખે છે અને સમજે છે કે સૌનો આત્મા એક જ છે.’ વળી તેઓશ્રીએ કહ્યું છે કે પૃથ્વિમાતા જેવી મનની અવસ્થા રાખો. 
આમ ભગવાન બુદ્ધનો સંદેશ છે કે ‘વસુધૈવ કુટુમ્બકમ્’. સમગ્ર વિશ્વ એક અદ્વૈત સ્વરૂપ કુટુંબ છે. આવી ઊંડી સમજ સૌ કેળવે અને ‘પરસ્પર દેવો ભવ’ ની ભાવના રાખે તો સૌના દિલમાં રામ વસે જેથી સૌને પરમ સુખ, શાંતિ, આનંદ મળે. સૌના હૃદયમાંથી દૂર્યોધાનના અવગુણો ક્રોધ, લોભ, ઈર્ષ્યા, અહમ્ … વગેરે દૂર થાય અને સત્ય, પ્રેમ, અહિંસા, કરુણા જેવા ગુણો પ્રગટ થાય. આમ મન ધર્મક્ષેત્ર પણ છે અને કુરુક્ષેત્ર પણ છે. મન કૌરવ અને પાંડવ બંને છે. માટે જીવનમાં કૃશ જેવો સારથી મળે તો ઊગરી જવાય. અહમમાંથી સોહમ્ તરફની ગતિ એ સ્થૂળ પ્રવાસ નથી પણ પવિત્ર યાત્રા છે. ખલિલ જિબ્રાનનું એક વાક્ય છે : આખા વૃક્ષની સંમતિ વિના એનું એક પાંડુ પણ પીળું પડતું નથી તેમ આપણામાં ઊંડે લપાઈને પડેલી ઈચ્છાઓ અને અપેક્ષાઓને કારણે આ સંકટનું નિર્માણ તો નથી થયું !!! ? માણસે તમામ પ્રવૃત્તિ સમાજ, દેશ અને સૃષ્ટિના હિતને લક્ષમાં રાખીને જ કરવી જોઈએ. 
માનવીની સભ્યતાનો  આરંભ થયો ત્યારે ‘જીવો જીવસ્ય જીવનમ્’ નો વિચાર સિદ્ધાંત તરીકે સ્વીકારી લેવામાં આવ્યો. પરંતુ સભ્યતાનો આગળ વિકાસ થતો ગયો તેમ તેમ સહઅસ્તિત્વનો એટલે કે ‘જીવો અને બીજાને જીવવા દો’ એ સિદ્ધાંત સાથ્પાયો. એથી પણ સમય જતાં સભ્યતા વાસ્તવિક અર્થમાં સભ્યતા બની ત્યારે અનુભવાયું કે કેવળ સહઅસ્તિત્વ પૂરતું નથી, એનાથી તો સ્વાર્થપરાયણતા જ વધશે. સિદ્ધાંત આગળ વધ્યો : પોતે જેવો, અન્યને જીવવા દો અને બીજા પણ માનભેર ગૌરવથી જીવી શકે તે માટે તેમને મદદ કરો. એમાં માનવતા રહેલી છે કે બીજાની સાથે, અન્ય જીવોની સાથે સહકાર, સદભાવ, પ્રેમથી જીવવું. દરેક માણસ એકબીજાનો સાથી અને સહયોગી હોય, દરેક માણસ માત્ર ‘સ્વ’ નો જ વિચાર ના કરે પરંતુ સર્વોદયનો વિચાર કરતો હોય એ જ સભ્યતાના વિકાસની પ્રક્રિયા છે. આ જ માનવતાનું પરમ મૂલ્ય છે.
માનવી ગોઠવાય તો ઘર –કુટુંબ, સમાજ અને દુનિયા ગોઠવાય. પણ આજના રોકેટ યુગમાં માનવી અવકાશમાં ઊડે છે, મહાસાગરના તળિયે માછલીની માફક ફરે છે પણ જે ધરતીમાતા પર તે જન્મ્યો છે તેના પર તેને માનવ બનીને જીવતાં આવડતું નથી.
સૌ જાગૃત, સજ્જન અને વિચારશીલ માણસો માટે આજના પ્રવર્તમાન જ્ઞાન-વિજ્ઞાનના સમયમાં આ જ મોટી વિડંબણા છે. પ્રભુ સૌને સદબુદ્ધિ આપે. 

- સંકલિત 

['દાદીમાની પોટલી માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.