વેબ સરિતા
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Tuesday, 5 August 2014

પરિણીતાઓ માટે 'શિવલિંગ' શા માટે અસ્પૃશ્ય? - એકતા


- ભગવાન વિષ્ણુએ મહાદેવની લિંગપૂજાનું વરદાન આપ્યું ત્યારે ભોલેબાબા તપસ્વી-બ્રહ્મચારી હતા

સૃષ્ટિ નિર્માણ માટે ભગવાન શિવનું નામ સમસ્ત દેવીદેવતાઓમાં આદરણીય છે. જટાધારી ભોલેબાબા દેવાધિદેવ છે તેથી મહાદેવ કહેવાયા છે. શંકર ભગવાનનું એક નામ છે આશુતોષ. આશુતોષ એટલે શીધ્ર સંતોષ આપનારા. ત્રિનેત્ર તેમના ભક્તોની મનોકામના શીધ્ર પૂરી કરે છે, તેમને મનવાંછિત ફળ આપે છે, ચાહે તે  કોઈ દેવતા હોય, રાક્ષસ હોય કે કોઈપણ જાતિપાતિનો માનવી. મહાદેવની શરણમાં જનાર ક્યારેય નિરાશ નથી થતો. શિવશંકરની કૃપા તેની ઉપર વરસે જ છે. આ કારણે મહાદેવ આશુતોષ પણ કહેવાય છે.
કૈલાસનિવાસી મહાદેવે ઈન્દ્ર, વિષ્ણુ, બ્રહ્મા, નારદ અન્ય દેવતાઓ,  ઋષિઓ અને રાક્ષસો સુધૃધાંની સહાયતા કરી છે. તેથી જ રાક્ષસરાજ રાવણ શિવજીનો પરમ ભક્ત હતો. શિવશંકરે તેની ઉપર પણ પોતાની કૃપા વરસાવી હતી. તેવી જ રીતે પૃથ્વી પર જે ભગવાન શંકરનું  સ્મરણ કરે, મહાદેવ પ્રત્યે શ્રધૃધાભક્તિ રાખે, શ્રાવણ માસમાં વ્રત, ઉપવાસ સાથે દેવાિધદેવના દર્શન કરે તેના ઉપર જટાધારી અવશ્ય પ્રસન્ન થાય છે.
આપણે સામાન્ય રીતે બધા દેવીદેવતાના સમગ્ર સ્વરૃપને પૂજીએ છીએ. પરંતુ મહાદેવના લિંગની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત વિવાહિત સ્ત્રીઓને શિવલીંગને સ્પર્શ કરવાની મનાઈ કરવામાં આવે છે. આ બંને બાબતો બાબતે આપણને ઘણીવાર પ્રશ્ન થાય કે આવું કેમ? પરંતુ આની પાછળ ચોક્કસ તથ્ય છે. એક પૌૈરાણિક આખ્યાન મુજબ શિવજી તપસ્વી અને બ્રહ્મચારી હતા ત્યારે એક વખત વિષ્ણુ ભગવાનનું મોહિની સ્વરૃપ જોઈને ઉત્તેજિત થઈ ઉઠયા. કામદેવે શંકર ભગવાન પર કબજો જમાવ્યો હોય તેમ ભગવાન કામાગ્નિ  સામે વિવશ થઈ ગયા. તેમની આ સિૃથતિ જોઈને  મોહિની સ્વરૃપ વિષ્ણુ ત્યાંથી ભાગવા લાગ્યા. મહાદેવ તેમની પાછળ પાછળ દોડયા. આ ભાગદોડ અને કામની ઉત્તેજનામાં શિવજીનું સ્ખલન થઈ ગયું. તે વખતે જ મોહિની રૃપમાંથી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા.
મહાદેવ ભગવાન વિષ્ણુને જોઈને ચોંકી ઉઠયા. ગભરાયેલા શંકર ભગવાનને વિષ્ણુએ કહ્યું કે મેં તમારી રક્ષા કરવા માટે મોહિની સ્વરૃપ ધારણ કર્યું હતું. તમારી રક્ષા માટે મને આવવું પડયું. ત્યાર પછી વિષ્ણુએ કહ્યું કે હું તમને વરદાન આપું છું કે તમારા સ્ખલનમાંથી બાર જ્યોતિર્લિંગ ઉત્પન્ન થશે અને તમારા લિંગને દુનિયા પૂજશે. આનું કારણ એ છે કે હમણાં તમે તપસ્વી અને બ્રહ્મચારી છો. તમે શારીરિક મૈથુન નથી કર્યું. તમે માત્ર સંભોગ કરવાની ભાવના રાખી હતી.
આ તથ્યની પૂર્તિસ્વરૃપે જ ભગવાન શિવનું માનવ શરીર સ્વરૃપ માત્ર તસવીરોમાં  જોવા મળે છે. જ્યારે શિવાલયોમાં લિંગ પૂજાય છે. લિંગની નીચેના ક્યારી  જેવા ભાગને 'યોેનિ' કહેવાય છે. યોનિ, જે સ્ત્રીની યોનિ જેવી દેખાય છે તે યોનિથી જ સંસારમાં  સ્ત્રી-પુરુષની જોડી બને છે. નર અને નારી,  શિવ અને શક્તિ, રામ અને સીતા, કૃષ્ણ અને રાધા, વિષ્ણુ અને કમલાની જોડી ભારતીય સંસ્કૃતિના જાણીતા યુગલો છે.
શિવલિંગ પર જલાધારી જોવા મળે છે તે પવિત્ર ગંગાનું પ્રતિક છે. તે મહાદેવની જટામાં રહેલી ગંગાને દર્શાવે છે. ગંગાની આ ધારા મહાદેવને પવિત્ર બનાવી રાખે છે.
ઘણાં શિવાલયોમાં સ્ત્રીઓ શિવલીંગનો સ્પર્શ કરે છે સાથે સાથે તેના યોનિના ભાગને પણ ધીમે ધીમે દબાવે છે. તેઓ એમ માને છે કે આ શિવજીના ચરણ છે અને તે દબાવવાથી મહાદેવ પ્રસન્ન થશે. પરંતુ વાસ્તવિકતા તેનાથી જુદી હોય છે. જેમ આપણા શરીરના કોમળ હિસ્સાને કોઈ દબાવે તો આપણને વેદના થાય તેમ શિવલીંગના આ સૃથાનને અત્યંત કોમળ માનવામાં આવે છે. આમ અજાણ્યે જ શિવજીને પીડા પહોેંચાડવી એ પણ એક પ્રકારનો દોષ માનવામાં આવે છે. વિવાહિત મહિલાઓ શિવલીંગને સ્પર્શ ન કરી શકે તેની પાછળનું કારણ એ છે કે જ્યારે ભગવાન વિષ્ણુએ મહાદેવને વરદાન આપ્યું ત્યારે ભોલેબાબા તપસ્વી હતા, તેમણે બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું. જ્યારે વિવાહિત મહિલાઓ સંભોેગ કરતી હોવાથી બ્રહ્મચર્યમાં 'અપવિત્ર' ગણાય છે. જોે તેઓ દેવાિધદેવની પૂજા-અર્ચના-પ્રાર્થના કરવા ઈચ્છતી હોય તો તેમણે શિવલિંગથી દૂર રહીને, તેને સ્પર્શ્યા વિના જ હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ. સાચી આસૃથાથી કરેલી પ્રાર્થના પ્રભુ અવશ્ય સ્વીકારે છે.

- એકતા
[http://gujaratsamachar.com/index.php/articles/display_article/married-woman-for-shivling-untouchable માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/ Tuesday, 5 August 2014

Friday, 1 August 2014

આજની શિક્ષણપ્રણાલીની દૂરંદેશી અસરો - મીતા ભુપેન્દ્ર ભોજક

આપણી જૂની શિક્ષણ પદ્ધતિને નાબૂદ કરીને લોર્ડ મેકૉર્લેનો ૧૮૩૩માં એક શિક્ષણ કાયદો દાખલ કરેલો. આ શિક્ષણ પદ્ધતિને કારણે ભારતમાં કારકૂનો અને વરિષ્ઠ કારકૂનો પેદા થયા. તેનાથી નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની ખુમારી લોકોમાંથી ઓછી થઇ ગઇ, મનની મુક્તિ મળે તેવી વિદ્યાનું  કે તેજસ્વિતાનો અંત આવી ગયો. અંગ્રેજોનો જે ઉદ્દેશ હતો તે સફળ થયો મૂઠ્ઠીભર અંગ્રેજોને આપણા દેશ ઉપર રાજ્ય કરવા ગુલામોનો જથ્થો જોઇતો હતો (એમના એડમિનિસ્ટ્રેશનને ચલાવવા) તે એમની નવી શિક્ષણ પ્રણાલીમાંથી મળી રહેવા લાગ્યો.
હવે એ જ શિક્ષણપ્રણાલી ચાલુ રહી છે તેના કારણે તેજસ્વિતા આવે કે મુક્તપણે કાર્ય કરી શકાય તેવું શિક્ષણ જ નથી રહ્યું.
બીજું એ કે મા-બાપ અને વિદ્યાર્થીને જલ્દી રોકડી કરવામાં, સરકારોને વિદ્યાર્થીને ગમે ત્યાં ઠેકાણે પાડી શિક્ષિતોનો આંકડો વધારવામાં અને બેરોજગારીના આંકડા ઘટાડવામાં તથા કહેવાતા શિક્ષણશાસ્ત્રીઓને ખીસ્સા ભરવામાં જ રસ છે. આ તો શિક્ષણ એક ધંધો બની ગયું છે, અને મેડિકલ, ઇજનેરી કોલેજો રાજાના કુંવરની પેઠે વધવા માંડી છે તો ઘરાકી તો મળવી જોઇએને !! માટે અત્યારે SSC-HSC બોર્ડમાંથી પણ ભરપુર ફાલ બહાર પડાય છે, વ્યવસાઇક વિદ્યાશાખાઓની (જેમાં કોમર્સ માટે MBA, MCA વગેરે વગેરે પણ સામેલ) વાહ વાહ કરી તેને ગ્લોરીફાય કરાય છે. આ અશોકભાઇએ તેમના પ્રતિભાવમાં ખૂબ જ સત્ય વાત લખી છે.
મારો આગળનો લેખ બેઝિક સાયન્સ કે એન્જિનિયરિંગ?’ એ લેખ લખવાનું કારણ એ હતું કે મારા પતિની પાસે લગભગ ૨૦ વર્ષથી દર વર્ષે જયારે ૧૨ સાયન્સનું પરિણામ આવે પછી ઘણા માતાપિતા તેમના બાળકો માટે આગળ કઇ લાઇન લેવડાવવી?’  એવી સલાહ લેવા માટે આવતા હોય છે. મોટા ભાગના મિત્રવર્તુળ કે એ લોકોના રેફરન્સથી આવતા હોય. એટલે નોલેજના અભાવે દરેક વખતે માતાપિતા કે બાળક  માત્ર લોકોના જે અભિપ્રાય હોય તેના આધારે નિર્ણય લેતા હોય. ઘણીવાર બાળકની ઇચ્છા ના હોય છતાં માતાપિતા અત્યારે સારી લાઇન અને ફટાફટ રોકડી થાય તે માટે તેમાં જ બાળકને એડમિશન આપાવે. અને હવે તો વિદ્યાર્થીને રસ નહીં પણ એડમિશન શેમાં મળે છે તેમાં ભણવાનું, મેરિટને આધારે એડમિશન પદ્ધતિને કારણે. વિદ્યાર્થીને રસ શેમાં છે તેનું કોઇ મહત્વ જ ના રહ્યું.
એટલે થ્રી ઈડિયેટની ફિલ્મની જેમ ઘણા દાખલા પણ જોવા મળે. તેના એક બે દાખલાઃ એક મિત્રની દીકરી ૧૨માં ધોરણમાં સારા માર્કસથી પાસ થયેલી, ૧૨ સુધી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણેલી ખૂબ જ હોશિયાર છે. તેને બેઝિક સાયન્સ ફિઝિક્સમાં કરવાની ઇચ્છા હતી. અને રિસર્ચમાં રસ હતો. પરંતુ તેના પિતાએ તેને એન્જિનિયરીંગ EC માં એડમિશન આપાવ્યું. તે ભણવા તો લાગી પરંતુ એક દિવસ એમના ઘરે કોઇ મહેમાન આવેલા તેમણે પૂછ્યું કે કેવું ચાલે છે ભણવાનું તો તેણે કહ્યું કે ‘  અન્કલ બસ રટ્ટા માર કે પઢ રહી હું’ (હિન્દીભાષી છે).  બીજા એક મિત્રની દીકરીને એક નવો કોર્સ ચાલુ થયો છે ગુજરાત યુનિ.માં ત્રણ ચાર વર્ષથી M.Sc. with IT તેમાં એડમિશન મળેલું. મારા પતિએ કહેલું કે બહુ સારો કોર્સ છે. પણ તેના માતાપિતાએ બીજા કોઇની સલાહ માનીને એન્જિનિયરીંગમાં એડમિશન આપાવ્યું છે. મારા પતિ કોઇપણ સલાહ માંગે તો વિદ્યાર્થીની મરજી જ પહેલાં પૂછે તેની ઇચ્છા શું ભણવાની છે તેને જ મહત્વ આપે. જાણકારી તો બધી આપે. આજે હવે તે લોકો કહે છે કે તમારી વાત સાચી હતી. ખૂબ જ પસ્તાય છે. 
રાફડાની જેમ કૉલેજો ખુલી ગઇ છે પણ સુવિધાઓ અને નિષ્ણાત પ્રોફેસરોના અભાવે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બને છે. મારા પતિ દર વર્ષે માત્ર સેવાની ભાવનાથી મિત્રવર્તુળ કે ઓળખીતાના બાળકોને એન્જિનિયરિંગ સ્ટુન્ડને લાસ્ટ સેમિસ્ટરમાં પ્રોજેક્ટ હોય છે તેના માટે માર્ગદર્શન આપે છે. (શાહબુદ્દિન રાઠોળ કહે છે ને સમાજને ના નડો તે સમાજસેવા. એ એક અને બીજું દાનમાં ઉત્તમ દાન વિદ્યાદાન આ મારા પતિનો સિદ્ધાંત છે). ત્યારે જે વિદ્ધાર્થીઓ આવે છે તેમના ચાર વર્ષના ભણતરને જોઇને એમ થાય કે આ લોકો શું ભણ્યા? કોઇ પણ જાતનું બેઝિક નોલેજ પણ નથી હોતું. એટલે પહેલાં તો એમને બિઝિક નોલેજ આપવું પડે.
આ રીતે સતત દર વર્ષે  માર્ગદર્શન માટે વિદ્યાર્થીઓ અને એમના માતાપિતા સાથે સંપર્ક રહેતો હોવાથી ઘણી બધી જાણકારી મળતી હોય છે કૉલેજો, પ્રોફેસરો, અને કૉલેજ કેમ્પસમાં પ્લેસમેન્ટ, અને પ્લેસમેન્ટ થઇ ગયા પછી કંપનીમાં ટ્રનિંગ આ બધા વિષય ઉપર વિદ્યાર્થીઓના અનુભવો જાણવા મળે છે. રમૂજી અને સત્યને ઉજાગર કરતા અનુભવો પણ જાણવા મળે છે.

હવે રહી રિસર્ચની વાત તો જ્યાં સુધી આપણી શિક્ષણપદ્ધતિ ના બદલાય તો તે અશક્ય છે. બીજું ખાસ મહત્વનું જનતામાં જાગૃતિની જરૂર છે. આ જ શિક્ષણપ્રણાલી ચાલુ રહે તો આપણે માત્ર સોફિસ્ટિકેટેડ ગુલામ જ બની રહીએ. બીજું એ કે આપણી ખોટી માન્યતા છે કે આપણો દેશ સમૃદ્ધ નથી કે આપણી પાસે ફંડ નથી. જે દેશમાં નેતાઓ ભ્રષ્ટાચાર કરીને કરોડોની સંપત્તિ એકઠી કરતા હોય, પ્રજા, અધિકારીઓ પણ ભ્રષ્ટાચાર કરીને કરોડો ચાઉં કરી જતા હોય, દેશમાં મંદિરો પાસે કરોડોની સંપત્તિ હોય તે દેશ ગરીબ ના કહેવાય. અને કરોડોના ખર્ચે હજુ પણ મંદિરો બન્યા જ કરે છે. તેનો અંત આવતો નથી. પ્રજાનું ગુલામી માનસ પણ જવાબદાર છે. આપણે માત્ર આ કામ નેતાઓ કે મહાન હસ્તીઓ પર છોડી દઇએ છીએ. કરોડોનું ફંડ મંદિરો માટે ક્યાંથી આવે છે? પ્રજામાંથી જ. પ્રજામાં જાગૃતતા લાવવામાં આવે તો રિસર્ચ માટે પણ ફંડ એકઠું થઇ શકે છે. અને આજે આપણે માત્ર જે સેવા આપીને આર્થિક સદ્ધર બની રહ્યા છીએ તેનો વ્યક્તિગત નહીં પરંતુ દેશના હિત માટે ફાયદો ઉઠાવીએ તો ભારતને સુપર પાવર બનતાં કોઇ ના અટકાવી શકે.
[http://mbhojak.wordpress.com/ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/ Friday, 1 August 2014

પરિચય – શૂન્ય પાલનપુરી


પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.

મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

Posted By: http://web-sarita.blogspot.com/

ભણેલા માણસો – સુરેશ દલાલ.

High-Tech Workers In Bangalore, India

ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?
નરી કોરી ચર્ચાઓ, અહમનાં તીખાંતમ મરચાંઓ
નહીં કોઇ વિચારણા, કેવળ પૂર્વગ્રહિત ધારણા
                                                  બંધ બારીબારણાં.
સરસ્વતીના આટલા બધા કાદવથી ખરડાયેલા ચરણ કેમ ?
ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?
વિદ્યાર્થીમાં ધન જુએ, સાધન જુએ, સાધનાનું નામ નહીં
ખુન્નસ, હુંસાતુંસી, ઝેરીલી-વેરીલી વૃત્તિ, ખાર,
                                                 આપણું તો કામ નહીં.
લોકોનાં આટલી હદે થીજી ગયેલાં ઝરણ કેમ ?
ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?
રાજકારણનો ગંદવાડ, મવાલી મનનો મંદવાડ,
બધાં જ ઠૂંઠાઓ, નહીં કોઇ પ્હાડ, સરોવર કે ઝાડ.
સંસ્કારની વાતોનો તો વહી ગયો યુગ
માણસને માણસની આટલી બધી સૂગ !
ચારે બાજુ ટાંટિયાની ખેંચતાણ :
                               વ્હેમનાં વમળ ને ક્યાંય પ્રેમ નહીં.
સાંદીપનિના આશ્રમમાં કેવળ ઉત્તર વિનાના પ્રશ્ન,
નહિં સાંદીપને, નહિં સુદામા, નહિં કૃષ્ણ.
કોઇ તો કહો કે આ બળબળતું રણ કેમ ?
ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?

Posted By: http://web-sarita.blogspot.com/

Thursday, 31 July 2014

માનવશરીરનાં રહસ્યો - દિજીતા

ઘણી વખત માનવ શરીર વિશે વિચાર આવતા હોય છે તે કઇ રીતે કામ કરતું હશે રોજિંદા જીવનમાં આપણું શરીર શું અને કેટલું કામ કરે છે તે જાણવું રસપ્રદ રહેશે.
આપણે નિયમિત ૪૦૦ થી ૨૦૦૦ મીલીની માત્રામાં મૂત્રત્યાગ કરીએ છીએ.
આપણી ત્વચાનું વજન ૪ કિગ્રા અને હરક્ષેત્ર ૧.૩-૧.૭ સ્કેવર મી.થી ઢંકાયેલું હોય છે.
શરીરમાં સમસ્ત ઊર્જાનો અડધો ભાગ ફક્ત માથા દ્રારા જ ખર્ચ થાય છે.
શ્વાસ રોકેલો રાખવાથી પણ મનુષ્યનું મૃત્યુ નથી થતું.
માનવ શરીરમાં આંખની પુતળીનો આકાર જન્મ થી લઇ મૃત્યુપર્યંત જેમનો તેમ રહે છે.
રક્તનો તરલ ભાગ પ્લાઝમા કહેવાય છે.
સામાન્ય રીતે વ્યક્તિના પ્રતિદિન ૨૫ થી ૧૨૫ વાળ ઊતરે છે.
આપણું દિલ એક મિનિટમાં ૭૦ વાર  અને એક દિવસમાં એક લાખ થી પણ વધુ વાર ધડકે છે.
ગલગલિયાંના સંદેશો આપતા સ્નાયુ ૩૨૨ કિલોમીટર પ્રતિઘંટાની રફતારથી ચાલે છે.
આપણે એક જ દિવસમાં લગભગ ૨૦ હજાર વાર પાંપણ ઝપકાવીએ છીએ.
બે સેકન્ડમાં આવતી છીંકને નાક સુધી પહોંચવામાં ૧૬૦ કિમી પ્રતિકલાકની સફર તય કરવી પડે છે. તેની રફતાર એક ભાગતી ટ્રેનની ગતિના બરાબર હોય છે.
પ્રતિદિન લાખ મસ્તિષ્કની કોશિકાઓ ખર્ચાય છે. સૌભાગ્ય થી આપણી પાસ ૧૦૦ બિલિયન (એક અરબ) કોશિકાઓ હોય છ.
એક નિરોગી મનુષ્યના શરીરથી લગભગ સવા લિટર પરસેવો પ્રતિદિન નીકળી હવામાં ઊડી જાય છે.
આપણું મગજ દસ હજાર વિભિન્ન ગંધોને તેની અંદર સંગ્રહી શકે છે, તેને યાદ રાખી શકે છે અને તેને ઓળખી પણ શકે છે.
સૂતી વખતે આપણે સંપૂર્ણપણે નિંદ્રામાં હોઇએ છીએ, પરંતુ એ સાચું નથી. આઠ કલાકની નિંદ્રામાં ૬૦ ટકા તો આપણે કાચી ઊંઘમાં હોઇએ છીએ.૧૮ ટકા ઘેરી નિંદ્રા લઇએ છીએ તો ૨૦ ટકા સ્વપનાં જોવામાં કાઢી નાખીએ છીએ.
આપણા શરીરમાં એટલો કાર્બન હોય છે કે ૯૦૦ પેન્સિલ ભરાઇ જાય. એટલી વસા હોય છે કે ૭૫ મીણબત્તી બની શકે. અને એટલું ફોસ્ફરસ હોય છે કે ૨૨૦ માચીસની દીવાસળી બની શકે. એટલા માત્રામાં લોહતત્વ હોય છે કે તેમાંથી ૭.૫ મીટરની  ખીલી બની શકે.
વિશ્વમાં સર્વાધિક માત્રામાં ૪૬ ટકા મળનારું બ્લડગુ્રપ 'ઓ' છે.
આપણું પેટ પ્રતિદિન ૨ લિટર હાઇડ્રોક્લોરિક એસિડ નિર્મિત કરે છે. આ એસિડ એટલું શક્તિશાળી હોય છે કે જેનાથી ધાતુ પણ પીગાળી શકાય છે. આમ છતાં તે પેટના બહારના પડને ખરાબ નથી કરતું.કારણકે પેટના પડ પર પાંચ લાખ કોશિકાઓ હોય છે જે પ્રતિમિનિટ બદલાય છે.
આપણે જે પણ ખાઇએ છીએ તેને પાંચ ભાગમાં વહેંચી શકાય છે. તે કાર્બોહાઇડ્રેટ,પ્રોટીન,વસા, વિટામિન અને લવણ છે.
પ્રોટીન શરીરની કોશિકાઓનો મુખ્ય પદાર્થ છે.
માનવ રક્તમાં શ્વેત રક્તકણિકાઓનો આકાર ૦.૭ મિલી મીટર હોય છે.
સાબિત થયેલું છે કે સૂતી વખતે આપણું મગજ ટેલિવિઝન જોવાની સરખામણીમાં વધુ સક્રિય હોય છે.
એક સામાન્ય માણસ જીવનમાં લગભગ ૬૦ હજાર પાઉન્ડ ખાવાનું આરોગે છે.
આપણું જમણું ફેફસું,ડાબા ફેંફસા કરતાં મોટું હોય છે. એનું કારણ હૃદયનું સ્થાન અને આકાર છે.
એક સામાન્ય વ્યક્તિ પોતાના સાઠ વરસના જીવનકાળમાં લગભગ એક લાખ કિલોમીટર જેટલું ચાલે છે.
માનવ જીવનમાં વધુ સમય સુધી જીવિત રહેનારી કોશિકા બેન કોશિકા છે તે જીવનપર્યંત જીવે છે.
મનુષ્ય એક જ શ્વાસમાં ૫૦૦ મિલીમીટર હવા ખેંચે છે.
- દિજીતા
[http://gujaratsamachar.com/index.php/articles/display_article/mysteries-of-the-human-body માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/ Thursday, 31 July 2014

Sunday, 27 July 2014

વગર વિચાર્યું જે કરે પાછળથી પસ્તાય

vagar vichare
ઘણાં વર્ષો પહેલાંની આ વાત છે.  ઉજ્જૈન નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એ સ્વભાવનો ઉતાવળીયો હતો અને નાની નાની વાતમાં ગુસ્સો કરવાની અને ધમાલ મચાવવાની એને ટેવ હતી. એની પત્ની એને ઘણી વખત સમજાવે પણ તેના સ્વભાવમાં ફરક પડતો ન હતો.  એક વખત તેની પત્ની નદી પર પાણી ભરવા ગઈ. તે જતાં જતાં તેના પતિને કહેતી ગઈ કે આપણું બાળક પારણાંમાં સૂતું છે તેનું તમે ધ્યાન રાખજો અને હું ન આવું ત્યાં સુધી તમે દૂર ખસતા નહિ.  બન્યું એવું કે જેવી બ્રાહ્મણી ગઈ કે તરત બ્રાહ્મણને તેના યજમાનનું એક તેડું આવ્યું. યજમાનને ઘરે કોઈ સારો પ્રસંગ હતો અને તે નિમિત્તે તેણે બધા બ્રાહ્મણોને સીધું-સામાન અને દાન-દક્ષિણા લેવા બોલાવ્યાં હતાં. બ્રાહ્મણને થયું કે જો હું જવામાં મોડું કરીશ તો મારાં દાન-દક્ષિણા પણ અન્ય બ્રાહ્મણો લઈ જશે અને મને કંઈ નહિ મળે. આજુબાજુ જોયું તો તેણે પોતાનો પાળેલો નોળિયો  દેખાયો.  બ્રાહ્મણના ઘરની આજુબાજુ ઘણી વખત સાપ નીકળતા હતા અને સાપના ઉપદ્રવથી બચવા માટે બ્રાહ્મણ-બ્રાહ્મણીએ નોળિયો  પાળ્યો હતો. બ્રાહ્મણે નોળિયાને બાળકની બાજુમાં બેસવાનું અને તેનું બરાબર ધ્યાન રાખવાનું કહ્યું અને તે યજમાનના ઘરે ગયો.  બ્રાહ્મણના ગયા પછી નોળિયાએ એક મોટા કાળા સાપને બાળક તરફ આવતા જોયો. નોળિયા તો સાપના જન્મજાત દુશ્મન એટલે એ સાપના ટૂકડેટૂકડાં કરી ખાઈ ગયો. ત્યાં તેણે બ્રાહ્મણને આવતાં જોયો એટલે તે દોડીને તેના પગમાં આટોળવા લાગ્યો.  બ્રાહ્મણે જોયું તો નોળિયાનું મોઢું લોહીવાળું હતું. તેને થયું કે નકી આ નોળિયો મારા બાળકને મારીને ખાઈ ગયો લાગે છે. ગુસ્સે ભરાઈને તેણે પોતાની લાકડી વીંઝી નોળિયાને ત્યાં ને ત્યાં મારી નાખ્યો અને ઝટઝટ અંદર જઈને જુએ તો બાળક પારણાંમાં ઘસઘસાટ ઊંઘી રહ્યું હતું અને પારણાની આસપાસ મરેલા સાપના ટુકડાં વેરણછેરણ પડ્યાં હતાં.  આ જોઈને એને ખ્યાલ આવ્યો કે તેના વફાદાર પાળેલા નોળિયાએ તો તેના બાળકને મોતનાં મોંમાંથી ઉગાર્યો હતો અને પોતે તે ભલાં પ્રાણીની કોઈ કદર કરવાના બદલે વગર વિચાર્યે તેને જ મારી નાખ્યો હતો.  બ્રાહ્મણી પાણી ભરીને પાછી આવી તો તેને પણ પોતાના પાળેલા નોળિયાને મરેલો જોઈ ખૂબજ દુઃખ થયું. પછી તેણે બ્રાહ્મણ પાસેથી વચન લીધું કે હવે પછી તે ખોટી ઉતાવળ કરી વગર વિચાર્યું કામ કદી નહિ કરે.
[સંદર્ભઃ  http://mavjibhai.com/balvarta/vagarvicharyun.htm માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/ Sunday, 27 July 2014

પવિત્ર શ્રાવણ માસ

વિક્રમ સંવતનો દશમો અને ચોમાસાનો બીજો મહિનો એટલે શ્રાવણ માસ. શ્રાવણ માસનો પ્રારંભ થાય એટલે ભાવિકોનો ઉત્સાહ અનેકગણો વધી જાય છે. જેવી રીતે નદીઓમાં ગંગા, દેવતાઓમાં વિષ્ણુ, પર્વતોમાં હિમાલયનો મહિમા છે તેમ બાર માસોમાં “પવિત્ર માસ શ્રાવણ માસ”નું ખાસ મહત્ત્વ છે અને તેમાંય ભગવાન શિવની ઉપસનાનું ખાસ મહત્ત્વ છે.

શ્રાવણ માસમાં ભગવાન શિવના મંદિરો અને કૃષ્ણના મંદિરોમાં ભીડ જોવા મળે છે. શ્રાવણમાં એક જુદા જ પ્રકારનું ધાર્મિક વાતાવરણ ઊભું થાય છે. શ્રાવણ માસમાં શિવપૂજન ઉત્તમ ગણાય છે. ચાતુર્માસમાં શ્રાવણ મહિનાને શ્રેષ્ઠ માનવામાં આવેલ છે. શ્રાવણ માસમાં ઘણા લોકો આખો મહિનો ઉપવાસ કે એકટાણા કરી ભગવાન શિવની બીલીપત્ર, દૂધ, ચંદન અને ઘીની પૂજા કરે છે. વર્ષ દરમિયાન ફક્ત શ્રાવણ માસ જ એવો છે કે જેમાં અનેક તહેવારો અને વિવિધ વ્રતો જોવા મળે છે. જેમાં મંગળા ગૌરી વ્રત, જીવંતિકા વ્રત, વીર પસલી વ્રત, ફૂલકાજળી વ્રત, ગૌરી વ્રત, મધુ શ્રવા વ્રત વગેરે અને બળેવ, શીતળાસાતમ, જન્માષ્ટમી વગેરે હિંદુઓના મોટા તહેવાર આવે છે. જેમાં દરેક તહેવારનું અલગ જ મહત્ત્વ હોય છે.

રક્ષાબંધન :
શ્રાવણ પૂર્ણિમાએ રક્ષાબંધન તહેવાર આવે છે. ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની નિશાની તરીકે બહેન રાખડી બાંધે છે. હિંદુ સમાજમાં રક્ષાબંધનના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈના હાથે રાખડી બાંધીને સર્વ પ્રકારનું રક્ષણ ઈચ્છે છે. રક્ષાબંધનને બળેવ અને નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખાય છે. આ પવિત્ર પર્વે બ્રાહ્મણો વેદ અને મંત્રોચ્ચારથી પોતાની જનોઈ બદલાવે છે.

બોળચોથ :
શ્રાવણ વદ ચોથ એ બોળ ચોથ તરીકે ઉજવાય છે. બોળ ચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે. મહિલાઓ આ દિવસે વ્રત કરે છે અને તે વ્રતમાં સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા હોય છે.

નાગપંચમી :
શ્રાવણ વદ પાંચમે નાગપંચમીનો તહેવાર આવે છે ત્યારે બાજરીના ‘કુલેર’નો લાડુ બનાવી, નાગદેવતાનું પૂજન કરી બહેનો વ્રત ઉજવે છે. નાગદેવતા ભગવાન શંકરના ગળાનો હાર છે તેથી શ્રધ્ધાળુ ભક્તો આ તહેવાર ભગવાન શિવજીને યાદ કરીને પૂજન કરે છે. નાગપંચમી સર્પદોષમાંથી મુક્તિ મેળવવા માટે ઉત્તમ છે. નાગપંચમી શારીરિક અને માનસિક રોગમાંથી મુક્ત થવા માટે ઊજવવામાં આવે છે.

રાંધણ છઠ :
સાતમના આગલા દિવસને રાંધણ છઠ્ઠ કહે છે. શીતળા માતાને યાદ કરી એક દિવસ ઠંડું ખાવાનો રીવાજ છે તેથી રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી કે ગેસના ચૂલાની પૂજા કરે છે.

શીતળા સાતમ :
શ્રાવણ વદ સાતમનો તહેવાર ‘શીતળા સાતમ’ તરીકે ઉજવવામાં આવે છે. શીતળા માતાના મંદિરે છઠ્ઠના દિવસે બનાવેલી રસોઈનો ભોગ ધરવામાં આવે છે. ઠંડુ ખાઈને સાતમ ઊજવવાથી આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે. આ પર્વને ‘ટાઢી સાતમ’ પણ કહેવામાં આવે છે. આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે પ્રાર્થના કરે છે.

જન્માષ્ટમી :
શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનના જન્મ દિવસે મંદિરોમાં ભગવાનનો જન્મોત્સવ ઉજવાય છે. આ આઠમ લોકોમાં જન્માષ્ટમી, ગોકુળ આઠમ, કૃષ્ણજયંતી વગેરે નામે પ્રસિદ્ધ છે. જન્માષ્ટમીનો ઉત્સવ અને કૃષ્ણ જન્મદિવસની ઉજવણી દરેક દેવમંદિરોમાં કરવામાં આવે છે. આ આઠમના પર્વના દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે.

જન્માષ્ટમીની ઉજવણી બે દિવસ સુધી થાય છે. એક જન્માષ્ટમીનો દિવસ અને બીજો દિવસ ‘પારણાં’ તરીકે ઉજવાય છે. જન્માષ્ટમીની મધ્યરાત્રિએ એટલે કે રાત્રે બાર વાગે શ્રીકૃષ્ણની આરતી કરીને ”હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી”ના નાદ સાથે જન્મોત્સવ ઉજવવામાં આવે છે. લાલાની મૂર્તિને એક સુંદર રીતે સજાવેલા પારણાંમાં રાખવામાં આવે છે અને ધીરે-ધીરે તેને પારણાંમાં ઝૂલાવવામાં આવે છે. અને દહીં-હાંડીનો ઉત્સવ ઉજવવામાં આવે છે.

શ્રાવણ માસને ભગવાન શંકરની આરાધના અને પૂજા અર્ચના કરી ભોળાનાથને રીઝવવાનો માસ કહેવાય છે. એમાંય આ માસના દરેક સોમવારનું પણ ઘણું મહત્વ છે. તેમાં ઘણા શ્રધ્ધાળુઓ ઉપવાસ પણ કરે છે અને છેલ્લા સોમવારે ઘણા ગામડાં અને શહેરોમાં નાના મોટા મેળાઓ ભરાય છે. ભક્તો શિવાલયોમાં જઈ શિવલીંગ પર જળ, દૂધ, પંચામૃતનો અભિષેક કરે છે તથા શિવલીંગ પર બિલીપત્ર પણ ચઢાવતા હોય છે.
આમ, શિવભક્તો હોય કે પછી કૃષ્ણભક્તો, વિષ્ણુભક્તો, અગ્નિ પૂજકો, શક્તિપૂજકો બધા માટે શ્રાવણ મહિનો મહત્ત્વનો છે. આ રીતે આખો શ્રાવણ માસ ભગવાનની ભક્તિ અને આરાધના થાય છે.

અને કહેવાય છે કે……
“પર્વો અને તહેવારો માનવસમાજના સામૂહિક હર્ષોલ્લાસનું પ્રતિક છે તથા માનસિક શક્તિ વધારે છે. તહેવારો દ્વારા જ મનોયોગ થાય છે. સમાજના તમામ સ્તરોમાં પર્વ અને તહેવારો આદિકાળથી પ્રવર્તમાન છે. “
[http://blog.gujaratilexicon.com/ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.