શું માણસ ખરેખર સુસભ્ય (Civilised) થયો છે ખરો? વેબ સરિતા વેબ સરિતા: શું માણસ ખરેખર સુસભ્ય (Civilised) થયો છે ખરો?
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Thursday 2 October 2014

શું માણસ ખરેખર સુસભ્ય (Civilised) થયો છે ખરો?


અરે સાંભળી સાંભળીને થાક્યા નથી, કે
જમાનો બદલાયો છે!

શું સૂરજ પૂર્વને બદલે પશ્ચિમ થી ઉગે છે?
શું નદી સમુદ્રને મળતી નથી?
શું વરસાદ ધરતી પર નથી વરસતો?

શું બીજમાંથી થતું છોડવું જમીન ઉપર નથી આવતું?
શું હર માતા બાળકને નવ મહિના ઉદરે નથી ધરતી?
ભરતી અને ઓટ સમુદ્રમાં જ ઉદભવે છે કે નહીં?
પિતા બાળકને દૂધ પિવડાવવા અસમર્થ જ છે.

Where do you find change?
ખરું જોતા વ્યક્તિની દૃષ્ટિ અને વિચારસરણી બદલાઈ  છે.
નૈતિક મૂલ્યો  હેમખેમ છે. સત્ય સનાતન સત્ય છે.


'માનવ આ એક બુદ્ધિશાળી પ્રાણી છે.' પોતાની બુદ્ધિના ઉપયોગથી માનવે આજે વિવિધ ક્ષેત્રોમાં ઘણી પ્રગતિ કરી છે. ઔદ્યોગિક ક્રાંતિ થઇ, વ્યાપારી ક્રાંતિ થઇ ગઈ, વિજ્ઞાન અતિશય આગળ વધ્યું છે. માણસ ચંદ્ર અને મંગળ સુધી પહોંચી ગયો છે પણ મોટો પ્રશ્ન એ છે કે શું માણસ સુસભ્ય (Civilised) થયો છે ખરો? જયારે આપણે એમ કહીએ કે ૨૧મી સદીમાં અમે સુધરેલા છીએ, ત્યારે પ્રશ્ન થાય છે કે ૨૦૦૦ વર્ષ પહેલાંના માનવ કરતાં આજનો માનવ સુધર્યો એટલે શું થયું છે?

આપણાં બાહ્ય સુખોપભોગ વધ્યાં છે, પણ શું આપણે નૈતિક દૃષ્ટિએ સુધર્યા છીએ ખરા? નૈતિકતા શબ્દનો અર્થ કેવળ સ્ત્રી-પુરુષના સંબંધ પૂરતો જ મર્યાદિત નથી. નૈતિકતાનો અર્થ થાય- અસ્મિતા જાગરણ. ઉપનિષદની વાર્તા પ્રમાણે જેમ ઘેટાના ટોળામાં જીવતું સિંહનું બચ્ચું પોતાની ઓળખ વિસરી ગયું હતું, તેવું આજે આપણું થયું છે. આપણે પ્રભુનાં સંતાન હોવાનું ગૌરવ ભૂલી ગયા છીએ. 'હું ભગવાનનો અંશ છું,' આ સ્વની ઓળખ અંદર ઊભી થઇ કે માણસ બદલાય છે. હું પ્રવાહપતિત નહીં થાઉં. મને કોઈ પણ વાસના ખેંચી નહીં શકે.

મારા જીવનની સ્વ-તંત્ર બેઠક છે, મારું સ્વ-ત્વ છે. એ સમજે તો માણસ ખરો નીતિમાન ! નીતિમત્તાની આ પહેલી કસોટી છે. હું કોઈને મારા સ્વાર્થ માટે વાપરીશ નહિ અને ખુદને કોઈના હાથમાં વપરાવા દઈશ નહીં. આવી સિમેન્ટ કોન્ક્રીટ જેવી બેઠક હશે તો માણસ વિકસિત ! બાકી એકાદી લીલી નોટ જો અમારી બેઠક હલાવતી હશે તો જીવનનું સ્થૈર્ય આવ્યું જ ક્યાં? આજે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. (Ph.d.) થયેલો વ્યક્તિ પણ લીલી નોટ દેખાડી તો ખેંચાઈ જાય છે, ખરીદાઈ જાય છે. ભલેને તે ઉચ્ચશિક્ષિત હશે, પણ વિકસિત કેવી રીતે ગણાય?

કોઇ વ્યક્તિ શિક્ષિત થયેલી હોય એટલે એ વિકસિત છે જ એવું માનવું ભૂલ ભરેલું છે. શિક્ષણ અને વિકાસ બંને એક સિક્કાની બે બાજુ જેવાં છે. વ્યકિત જેટલી શિક્ષિત અને જેટલી વિકસિત હોય એટલી જ મૂલ્યનિષ્ઠ અને એટલી જ પ્રામાણિક હોવી અનિવાર્ય છે. તમે જેટલા પ્રલોભનમુક્ત હશો, એટલા વધુ શિક્ષિત ગણાશો. એટલે જેટલા ઉન્નત બનો એટલા ગુણવાન, મૂલ્યવાન પણ હો એ અપેક્ષિત છે. નૈતિકતા તમામ સ્થિતિમાં સમાન રીતે જળવાય એ સાચો શિક્ષિત અને એ જ સાચો વિકસિત. વ્યક્તિ મૂલ્યનિષ્ઠ બનશે તો સમાજ પણ મૂલ્યનિષ્ઠ બની શકશે.

આજના સુધરેલા કાળમાં આગળનો પ્રશ્ન આવે છે કે સ્ત્રી તરફ જોવાનો આપણો દૃષ્ટિકોણ ઉન્નત થયો કે? સ્ત્રી એક ઉપભોગનું સાધન છે એ જ દૃષ્ટિ સમાજમાં વધી રહી છે. એટલે જ સિનેમા-જાહેરખબરોમાં સ્ત્રીના અંગ-ઉપાંગોનું પ્રદર્શન કરવામાં આવે છે. અત્યંત વેદનાની વાત છે કે એ માટે સમાજને હજી ચીડ આવતી નથી.

'સ્ત્રીને આત્મા છે, તે ભગવાનનું સર્જન છે, તેને મન છે,' તે વિચાર કરવો પડશે. 'સ્ત્રી એટલે માત્ર તેનું શરીર' આવી જ રીતે તેના તરફ જોવાય છે. આ નર્યા ભોગની જ દૃષ્ટિ છે, આ શું પ્રગતિ ગણાય? શું આપણે સ્ત્રીને એક માનવ તરીકે જોઈએ છીએ ખરાં? પછી આપણે શાના સુધરેલાં ગણાઈએ? 
(પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીનાં પ્રવચનોનાં આધારે)
[http://navgujaratsamay.indiatimes.com/ માંથી સાભાર ]
Like the Post? Share with your Friends:-

0 comments:

POST A COMMENT

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.