વેબ સરિતા: 08/07/14
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Thursday 7 August 2014

કઈ પ્રવૃત્તિથી બાળકની મેમરી ડેવલપ કરાય?

પેરેન્ટિંગ - મોક્ષદા વ્યાસ
 
બાળક સતત મહેનત કરતું હોય,
દિવસ-રાત પુસ્તકોમાં જ મોં રાખીને બેસી રહેતું હોય તોપણ કેટલીક વાર ધાર્યું પરિણામ નથી આવતું અથવા તો તે જેટલી મહેનત કરે છે તે પ્રમાણમાં તેને માર્ક્સ નથી મળથા. બાળક મહેનત કરે છે છતાં તેને જોઈએ તેટલી સફળતા નથી મળતી એ જોઈને પેરેન્ટ્સ દુઃખી થઈ જતાં હોય છે, પણ આ નિષ્ફળતા પાછળ બાળકની નબળી યાદશક્તિ જવાબદાર હોય છે. જો બાળકની યાદશક્તિ ઓછી હોય તો વધુ મહેનતે ઓછું ફળ મળે છે. આ સમસ્યામાં બાળકની મેમરી સ્કિલ વધારવી બહુ જ અનિવાર્ય બની જાય છે. એવી અનેક પ્રવૃત્તિ છે જેનાથી બાળકની મેમરી સ્કિલ વધારી શકાય છે.
ભાષા શીખવો
યાદશક્તિ ઓછી હોવી તે એક કુદરતી ખામી છે. જોકે આવા બાળક પ્રત્યે બાળપણથી પેરેન્ટ્સ થોડું વિશેષ ધ્યાન આપે તો મેમરી સ્કિલને ડેવલપ કરી શકાય છે. ભાષા માઇન્ડને એક્સરસાઇઝ કરાવવામાં મુખ્ય ભાગ ભજવે છે. જો બાળકને નવી ભાષા શીખવવામાં આવે તો તેનાથી તેનું મગજ થોડું સક્રિય બને છે અને તેનાથી માઇન્ડ કોઈ એક વિષય પર એકાગ્ર થવાનું શીખે છે. આ બધી જ બાબતો મેમરી સ્કિલ ડેવલપ કરવામાં મદદરૂપ બને છે.
માઇન્ડ ગેઇમ
આજકાલ એવી અનેક ગેઇમ બજારમાં મળે છે જેમાં બાળકના માઇન્ડને સારી એવી એક્સરસાઇઝ મળે છે. મગજના જ્ઞાનતંતુને મજબૂત બનાવવા માટે આવી ગેઇમ બાળકને ગમ્મત સાથે માઇન્ડ પાવર પણ આપે છે. આ પ્રકારની ગેઇમ માઇન્ડને વિટામિન પૂરંુ પાડવા જેવું કામ કરે છે. આ માટે શરૂઆતમાં બાળકને સરળ ગેઇમ આપવી, જે વધુ જટિલ ન હોય. પછી સ્ટેપ બાય સ્ટેપ થોડી કોમ્પ્લિકેટેડ ગેઇમ આપવી જેથી તેનું માઇન્ડ ધીરે ધીરે ડેવલપ થતું જશે. આવી ગેઇમ રમવાથી બાળકમાં એક પ્રકારનો કોન્ફિડન્સ પણ ક્રિએટ થશે, જેનો ફાયદો લર્નિગ પ્રોસેસમાં જોવા મળશે.
પઝલ્સ
એવી ઘણી પઝલ્સ હોય છે, જેનાથી બાળક વિચારતાં શીખે છે. તેની થિન્કિંગ પ્રોસેસ હેલ્ધી બને છે. કોયડાનો ઉકેલ મેળવવા માટે તે એક વિષય પર ઊંડાણપૂર્વક વિચારતાં શીખે છે અને જ્યારે તે કોયડાનો ઉકેલ મેળવી લે છે ત્યારે તેને પોતાની જાત પર વિશ્વાસ બેસે છે. એવી અનેક પઝલ્સ હોય છે, જે ખરેખર ચેલેન્જિંગ હોય છે. બાળક રમતમાં ને રમતમાં કોયડાના ઉકેલ માટે જેટલું વિચારે છે તેટલું જ તેના માઇન્ડ પાવર માટે સારું સાબિત
થાય છે.
કોર્ડિનેટિંગ એક્ટિવિટી

કોર્ડિનેટિંગ એક્ટિવિટી પણ મેમરી વધારે છે. કોર્ડિનેટિંગ એક્ટિવિટી એટલે એવી પ્રવૃત્તિ, જેમાં માઇન્ડની સાથે હાથ-પગની પણ જરૂર પડે છે. આ માટે બાસ્કેટ બોલ, ક્રિકેટ, વોલીબોલ, વીડિયો ગેઇમ જેવી રમતો પણ બાળકને રમાડવા માટે પ્રોત્સાહિત કરો, જેનાથી પણ તે એક વિષય પર ધ્યાન કેન્દ્રિત કરતા શીખશે અને તેની મેમરી સ્કિલ પણ વધારી શકાશે.
યોગ અને મેડિટેશન

યોગ અને મેડિટેશનથી પણ માઇન્ડ પાવરને વધારી શકાય છે. વહેલી સવારમાં બાળકને જગાડીને તેને ટેરેસ પર કે ઘરના આંગણામાં સુંદર શાંત વાતાવરણમાં પ્રકૃતિના સાંનિધ્યમાં મેડિટેશન કરાવવાની આદત પાડો. તેનાથી મગજની શક્તિ વધે છે અને મેમરી સ્કિલ આપોઆપ ડેવલપ થાય છે. તદુપરાંત યોગનો પણ સહારો લઈ શકાય. નાદ યોગ જેમાં સંગીતના તરંગો સાથે ધ્યાન કરાવવામાં આવે છે, જે પણ માનસિક શાંતિ આપવાની સાથે બાળકના માઇન્ડને પ્રફુલ્લિત કરીને મેમરીને વધારે છે.

Sandesh - Leading Gujarati Daily

Posted By: http://web-sarita.blogspot.com/ Thursday 7 August 2014

વ્યક્તિત્વ વિકાસ : કેવો હોવો જોઈએ ? - Raol pradipkumar R.

માનવ જીવનમાં વ્યક્તિત્વ વિકાસ માટે ઘણી બધી એટલે કે સમજોને દુનિયાભરની વાતોનો સમાવેશ થઈ શકે. અનાદીકાલના ગ્રંથોથી લઈને આજના યુગ સુધીમાં હજારો,  લાખો પુસ્તકો બહાર પડી ગયા છે. શું સમજવું શું જતું કરી દેવું માનવ મન સતત મુંજવણ  અનુભવે છે. કેટલાય યુગ પુરુષો, ફિલોસોફરો, અરે ! ભગવાનો, લાખો મહાત્માઑ થઈ ગયા.  માનવતાને તેની ઊચ કોટિ માં લઈ જવા માટે ધર્મો સ્થાપ્યા, સંપ્રદાયોની રચના કરી. પૂજનીય ગીતા જેવો મહા ગ્રંથ ઘરોમાં ધૂળ ખાતો પડ્યો રહે છે. અને લોકો દુન્યવી સુખો માટે નિર્મળ બાબા જેવા ઢોંગીઓ પાસે હાથ જોડીને ભીખ માંગતા જોવા મળે છે. શું આ છે આપણો  વ્યક્તિત્વ વિકાસ ?  ભારત જેવો ભવ્ય દેશ અત્યારે મને સાવ ભિખારી લાગે  છે. અને નિર્માલ્ય પણ ખરો.
  
પર્સનાલિટી ડેવલપમેન્ટ, માઇન્ડ મેનેજમેંટ, બોડી બિલ્ડીંગ વિષે ઘણું બધુ સંશોધન થઈ ગયું છે અને રોજે રોજ નવું નવું બહાર પડતું રહે છે. સેલ્ફ કોન્ફિડન્સ, વિલ  પાવર, માઇન્ડ ટ્રેનીંગ વગેરે શબ્દો ફક્ત કિતાબોમા પડ્યા રહે છે.
            વ્યક્તિત્વ વિકાસ ફક્ત વ્યક્તિલક્ષી નહીં પરંતુ સમાજલક્ષી હોવો જોઈએ. તમારું માઇન્ડ તેજસ્વી હોય, તમારી પર્સનાલિટી પડતી હોય, તમારો વિલ પાવર સારો હોય, તમે ઇન્ટરવ્યૂમાં ફટાફટ પાસ થઈ જતાં હોવ, તમારા પ્રમોસન જલ્દીથી મલી જતાં હોય, તમારો પ્રોગ્રેસ સારો હોય, ગાડી હોય, બંગલો હોય , બધીજ સગવડો હોય. પરંતુ તમે સ્વાર્થથી ભરેલા હોવ, બીજાની લાગણીઓની કદર કે પરવા  ન હોય, બસ તમારામાંજ રચ્યા પચ્યા રહેતા હોવ તો મને નથી લાગતું કે તમારું  વ્યક્તિત્વ ઘડતર બરાબર થયું છે. સમાજને તમારાથી શું ફાયદો ? ઘણા સફળ પુરુષો અભિમાની હોય છે. બીજાને તુચ્છ સમજી ઉતારી પાડવાની કોશિશ કરતાં જોવા મળે છે. તો અમુક લોકોમાં પ્રેમનો અભાવ હોય છે.
આમ સ્ત્રી કે પુરુષે સર્વાંગ વ્યક્તિત્વ વિકાસ સાધવા /પ્રાપ્ત કરવા માટે બહુમુખી પ્રતિભાની સાથોસાથ માનવીય ગુણો પણ વિકસાવવા જોઈએ. તો જ સાચા અર્થમાં સારો વ્યક્તિત્વ વિકાસ થયો ગણાય. એક જાહેરાત આવતી તેમાં એક શબ્દ વપરાતો  “A complete man” જે આ બાબત તરફ ઈશારો કરે છે.
       દરેક વ્યક્તિને ત્રણ મોરચે લડવાનું હોય છે. પ્રોફેશનલ લાઈફ, સામાજિક લાઈફ, અને ફેમિલી લાઈફ. એ જુદી વાત છે કે ઘણા ચોથા અને પાંચમા મોરચે પણ લડતા હોય છે. આ દરેક મોરચે લડવા માટે જુદા જુદા હથિયાર જોઈએ તે એક સ્વાભાવિક વાત છે. કોઈ એક મોરચે નિસ્ફળ જવાય તો ખોટ કહેવાય.
      એક ટીવી પ્રોગ્રામમાં થોડા સમય પહેલા જોયું કે એક યુવાનને ચેનલવાળાઓએ આગળ કર્યો અને શાબાશી આપી. શું કામ કર્યું હતું તેણે ? તે યુવાન સુનિલ શેટ્ટીનો ફેન હતો, તેણે તેના તમામ ફોટાના કટિંગ ભેગા કર્યા હતા તેમજ સુનિલ શેટ્ટીનું નામ એક કરોડ વખત લખ્યું હતું. પ્રોગ્રામમાં હાજર દર્શકોએ તેને  તાલીઓથી વધાવી લીધો. આ થઈ વ્યક્તિ પુજા. જો તે યુવાને તેટલુજ માન,સન્માન પોતાના માં-બાપ કે વડીલોને આપ્યું હોત તો સરાહનીય ગણાત.
          આત્મવિશ્વાસનો અભાવ ઘણી જગ્યાએ જોવા મળે છે. નાપાસ થવાની બીકે આત્મહત્યા. ઝગડો થયો આત્મહત્યા, જુગારમાં, શેરમાં, કે ધંધામાં ખોટ ગઈ આત્મહત્યા. પ્રેમમાં નિષ્ફળતા તો આત્મહત્યા. આવું નબળું મનોબળ જલ્દીથી હારી જાય છે, પોતાની સમસ્યાઓનો સામનો કરી શકતું નથી. આપણને ફક્ત રિજલ્ટ જ જોવા મળે છે. અને બાળકના ઘડતરમાં રહી જતી ખામીઓ પરત્વે ધ્યાન જતું નથી. સમાજ આવા નાગરિકો પાસેથી શું આશા રાખી શકે.
         આજની યુવા પેઢી કાનમાં નાના નાના ભૂંગળા ભરાવીને ગીતો જ સાંભળતા જોવા મળે છે. પિજા, બર્ગર , ચાઇનિજ  એ તેમનો આહાર છે. ફિલ્મી હીરો તેમના આદર્શ છે. ઇન્ટરનેટ પર ચેટિંગ તેમનો પાસ ટાઈમ અને શોખ છે. માં-બાપે આપેલો ભોગ અને સગવડો વિસરાતી જાય છે.
           બધો દોષ યુવાનોનો કાઢવો યોગ્ય નથી. એક હાથે તાલી  ન પડે. માતા- પિતા પોતપોતાનામાં પડ્યા છે. કોઇની પાસે સમય નથી, બાળકો સમાજમાંથી જોઈને શિખે છે. મફત કાઇપણ મળી જાય તો તેમાં રસ છે. મહેનત અને સંઘર્ષના પાઠ ભુલાઈ ગયા છે. સારા ગણાતા પરિવારોના છોકરાઓ કાર, મોબાઈલ, અને બાઈકની ચોરીમાં પકડાતાં જોવા મળે છે. કારણકે ગમે તે ભોગે મોજ – શોખ કરવા છે.
         વ્યક્તિત્વ વિકાસના પાયા બાળપણમાથી જ  ચણાવા જોઈએ, કુમળો છોડ વળી શકે છે. વૃક્ષો વળતાં નથી. એક નામ યાદ આવે છે શ્રી લાલ બહાદુર શાસ્ત્રી, આપણા વડાપ્રધાન હતા. ટૂંકા કદના પણ વિશાળ વ્યક્તિત્વ. અત્યારે “અંડર ટેઇકર” કે  “ખલી”ને જોઈને લોકો તાળીઓ પાડે છે. કોઈને ભારતમાં થઈ ગયેલા મહામાનવો વિષે વાંચવામાં રસ નથી. કે જેમના જીવનમાથી થોડુક પણ શીખી શકાય.
       અત્યારે હાઇટ, બોડી, સિક્સ પેકને મહત્વ અપાય છે. તેને સારું  વ્યક્તિત્વ એટલેકે ગુડ પર્સનાલિટી  માનવામાં આવે છે. ચીફ મિનિસ્ટર મોદી સાહેબ ભલે રાડો પાડે, “વાંચે ગુજરાત” પણ મને નથી લાગતું કે કોઈ માતા પિતાએ પોતાના બાળકોને વાંચવાની સલાહ આપી હોય કે બેટા એક વાર તું સ્વામિ વિવેકાનંદનું કોઈ પુસ્તક વાંચી લે.
    વ્યક્તિથી સમાજ બને છે. સમાજથી દેશ બને છે. અને દેશથી દુનિયા બને છે. પરંતુ કેવો દેશ ? અને કેવી દુનિયા બનાવવી છે ? તે આપણાં સૌના હાથની અને ઈચ્છાની વાત છે.  આ પ્રશ્ન દરેક  વ્યક્તિએ મનમાં પોતાને પુછવો જોઈએ. તો પછી મને નથી લાગતું કે લોકપાલ બિલ માટે કે ભ્રષ્ટાચાર અટકાવવા અનશન ઉપર ઊતરવું પડે. આતો બધુ રોગ ઘર કરી ગયો હોય તે પછીના ઉપચારો છે. “પ્રીવેન્સન ઈજ બેટર ધેન ક્યોર” તે સૌ કોઈ જાણે છે.          
   વ્યક્તિત્વ વિકાસ પછી ચારિત્ર્ય નિર્માણ આવે છે. કેરી ગમે તેટલી સારી દેખાતી હોય પરંતુ અંદરનો રસ ખાટો હોય તો તેનું મહત્વ રહેતું નથી.તેમ ઉચ્ચ ચારિત્ર્ય વિના વ્યક્તિત્વ નિખરતું નથી.
 વ્યક્તિત્વ વિકાસમાં નીચેના મુદ્દા ઉપયોગી થઈ પડસે,  
  •        ગુસ્સા ને કાબુમાં રાખવો, તેના પરિણામો ખુબજ ખરાબ આવતા હોય છે. આજ શક્તિને જો નાથવામાં આવે અને બીજા રચનાત્મક કામમાં વાળવામાં આવે તો દુનિયા હલાવી શકો છો.
  •        સમાનતા :  દરેક વ્યક્તિને સમાનતાની દ્રષ્ટિથી જોવા જોઈએ. કોઈને તુચ્છ કે હિન ન સમજવા . આમ કરવાથી તમારું પણ સન્માન થસે અને ઇજ્જત વધશે
  •       સંઘ ભાવના : સાથે મળીને દુષ્કર કાર્યો સહેલાયથી થઈ શકે છે. તે પછી પોતાના ઘર માટે હોય, સમાજ માટે હોય કે પછી રાષ્ટ્ર માટે હોય. પોતાના પર્સનલ વિચારો ને એક બાજુએ રાખીને, પોતાનો ઇગો ભૂલીને  કોમન ગોલ માટે સંઘર્ષ કરી કાર્ય  સિધ્ધ કરવું જોઈએ.
  •       માફ કરવાનો ગુણ એટલે કે જતું કરવું. : આમ કરવાથી ઘણી બધી શક્તિ અને સમય બચી જસે અને પોતાના કામોમાં ધ્યાન આપી શકશો. વધુમાં તમારો આત્મા પણ મજબૂત થશે. જેમ હથિયાર ઉઠાવતા આવડવું જોઈએ તેમ નાની નાની વાતોમાં માફ કરતાં શીખવું જોઈએ.
  •        સંસ્કારિતા : સાહિત્ય, સંગીત અને કલા વિનાનો માણસ એ શિંગડા અને પુંછડા વગરનો પશુ જ છે.
  •       આત્મનિરિક્ષણ : આ વિનાની જિંદગી જીવવા લાયક હોતી નથી. જીવનના સારા માઠા અનુભવોમાં થી શિખીને માનવે આગળ વધવાનું હોય છે. અને જીવનપર્યત શીખવાનું હોય છે.  The secret of life  is education through experience – swami vivekanand   
  •        ભય ; ઘણા વ્યક્તિઓ નાની નાની બાબતો અંગે વ્યર્થ ચિંતાઓ કરીને ડરતા હોય છે. સમય અને શક્તિ બંને બગાડે છે. તેમજ નાની મોટી શારીરિક અને માનસિક બીમારીઓમાં સપડાઈ જાય છે. ઘણીવાર ભય એટલો બધો વધી જાય છે કે સમસ્યાથી બચવા આપઘાત સુધી પહોચી જાય છે. વ્યક્તિત્વ વિકાસમા નીડરતા ખુબજ મહત્વની છે.
  •        સારી સોબત : હાં, આ પણ જરૂરી છે સારી સોબતથી સારા ગુણો વિકસાવવામાં મદદ થાય છે.
  •       નિયમિતતા : કોઈ પણ સારો નિયમ નિયમિત કરવાથી ગુણ બની જાય છે. એક વિદ્યાર્થી હરરોજ સમયે નિશાળમાં જાય છે. તો તેને આપણે પંક્ચુયલ એટલેકે નિયમિત કહીશું. રોજ ક્રિકેટ રમવાથી તેમાં નિપુણ થવાસે. ઘણા એવી દલીલ કરે છે કે એ તો મહાન છે તે કરી શકે. ના એમ નથી તે તેમ કરી શકે છે એટલે મહાન છે. દા. ત. તેંદુલકર નિયમિત રીતે રનના ઢગલા કરે છે એટલે મહાન છે નહિ કે મહાન છે  એટલે રન કરે છે.
  •        મજબૂત મનોબળ : વિલપાવર જીવનમાં અતિશય ઉપયોગી છે. આજના જમાનામાં માનસિક તાકાત વિના સફળ થવાસે નહીં . જીવનમાં ઘણી ઉપાધિઓ આવે છે ડગલેને પગલે. નિષ્ફળતા થી હારી ન જવાય. વ્યક્તિત્વની મહાનતા ભૂલો ન કરવી તેમાં નથી પણ દરેક ભૂલ કે  નિષ્ફળતા પછી ફરીથી ઊભા થવું તેમાં છે.
  •         પ્રેમ અને ભરોષો : આ બે ફેક્ટર સિવાય જીવન અધૂરું છે. ખાલી છે. સૂકા તળાવ જેવુ નીરસ , અને બોરિંગ.  આ બે ગુણો  ના હોય તો માણસ મીઠા વગરનું શાક છે. ભલે નોલેજ ના હોય, ચાલસે. ભણતર નહીં હોય ચાલસે. આવડત નહીં હોય ચાલસે. પરંતુ પ્રેમ આપવાની અને પ્રેમ કરવાની કેપેસિટી નહીં હોય તો હરગિજ નહીં ચાલે. તેજ રીતે ભરોશો કરવાની અને ભરોશો રાખવાની કેપેસિટી નહીં હોય તો નહીં ચાલે. આ બે ગુણો સિવાય માણસ કે સ્ત્રીની કલ્પના કરવી જ અસંભવ છે. તેના થકીજ  પરિવાર અને સમાજ બને છે અને ચાલે છે નહીં કે પૈસાથી. આ વસ્તુ સમજી લેવા નમ્ર અરજ છે. નહિતર બહુ મોટો માર ખાઈ જશો. સ્વાર્થ અને અવિશ્વાસ થી બને તેટલા દૂર રહેજો.. તમારા  વ્યક્તિત્વ વિકાસના આ બે મહત્વના પાસા છે. સમજદારકો ઇસારા કાફી : પ્રમોદ મહાજનને તેનાજ સગા ભાઈએ ગોળી મારીને પતાવી દીધો. આ પ્રસંગ શું દર્શાવે છે. દાંપત્ય જીવનમાં આ બંને ગુણો અતિ મહત્વના છે. તેજ રીતે મિત્રતામાં પણ ખરા .          
બસ આ અગીયાર  મુદ્દા તો ઘણા થઈ ગયા,  હર એક મે દસકા દમ હૈ . કોઈ થોથા ઉથલાવવાની જરૂર નથી.    
[LANDSCAPE OF TRUTH:THE POSITIVE POWER: http://raol1810pr.wordpress.com/ માંથી સાભાર ]     

Posted By: http://web-sarita.blogspot.com/

માત્ર 4 પંક્તિઓ... આપે છે જોરદાર માઇન્ડ પાવર અને સક્સેસ

 
આજના યુગમાં માણસના જીવન ઉપર ભૌતિકવાદ અર્થાત્ સુખ-સુવિધાઓ, વૈભવની લાલસા, અતિ મહત્વાકાંક્ષાઓ એટલી હાવી થઈ છે કે ઇચ્છા-અનિચ્છાએ દરેક માણસ તેનાથી પ્રભાવિત થયા વગર નથી રહેતો. જેનાથી જીવન સાથે જોડાયેલી ભાવનાત્મક પક્ષ દરકિનાર થઈ જાય છે. જ્યારે ધર્મની દ્રષ્ટિએ સુખી અને શાંત જીવન માટે ભાવનાઓ અને ભૌતિકવાદની વચ્ચે યોગ્ય તાલમેળ જરૂરી છે.

માણસ પછી પરિવારમાં રહે, સમાજમાં કે કાર્યક્ષેત્રમાં સુખ-સુવિધાઓનો મોહ, સ્વાર્થ કે અતિમહત્વાકાંક્ષાઓને લીધે સંવેદાનાઓ અને ભાવનાઓથી દૂર ન જાય. કારણ કે ભાવનાઓ જોડનારી હોય છે, જેનાથી પારિવારિક અને સામાજિક દાયિત્વો અને કાર્યોને લક્ષ્યોને પૂરા કરવા ખૂબ જ આસાન થઈ જાય છે.

સારા-ખરાબ વિચારોને નિરંતર ઊતાર-ચઢાવ લાવનાર સ્પર્ધાના આ દોરમાં પણ ભાવનાઓની એવી જ તાકાત આપે છે, ધાર્મિક કર્મના છેલ્લા બોલાતી 4 પંક્તિઓ, ધર્મ ભાવોથી ઓતપ્રોત આ માત્ર ચાર પંક્તિઓ વ્યાવહારિક જીવનમાં આવનારી દરેક મુશ્કેલીઓ સમય, સુવિધા અને ખરાબ વિચારોથી છૂટકારા પ્રાપ્ત કરવાનો ખૂબ જ સરળ ઉપાય પણ છે. જાણો આ 4 પંક્તિઓ....

धर्म की जय हो,

अधर्म का नाश हो,

प्राणियों में सद्भाव हो,

विश्व का कल्याण हो।


આ પંક્તિઓમાં ધર્મની મહિમાને ઊજાગર નથી કરતી, પણ સફળતા માટે મનોબળને ઊંચો પણ કરે છે. કારણ કે તેમાં ધર્મનો જયકાર કાર્યની પ્રત્યે સત્ય, નિષ્ઠા, સમર્પણ તો અધર્મથી દૂરી ઈર્ષા, દ્વેષ, સ્વાર્થથી પર થવા માટે સંકલ્પિત કરે છે. ત્રીજી પંક્તિ સદભાવ અર્થાત્ મેળાપથી કામ અને જીવનને સાધવાનું સૂત્ર. કાર્યક્ષેત્રમાં આ ટીમ વર્ક પણ કહેવામાં આવે છે. કલ્યાણ અર્થાત્, પહેલી ત્રણ વાતોનો સંકલ્પની સાથે અપનાવવાથી લક્ષ્યને જોરદાર રીતે ભેદી અને સફળતાની ઊંચાઈઓ પાર કરવી નક્કી હોય છે.

[http://religion.divyabhaskar.co.in/ માંથી સાભાર ]

Posted By: http://web-sarita.blogspot.com/

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.