વેબ સરિતા: 09/04/14
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Thursday 4 September 2014

આજના આધુનિક ગુરુઓ... - પૂર્વી મોદી મલકાણ (યુ.એસ.એ)

      
ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વર, 
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમ: ll
આપણી ભારતીય સંસ્કૃતિમાં જીવનને સમુધુર બનાવનાર ગુરુનું એક અલગ સ્થાન છે અને આપણા શાસ્ત્રોએ પણ વિવિધ રીતે ગુરુનો મહિમા દર્શાવ્યો છે. આપણે જો પ્રાચીન ગ્રંથો અને શાસ્ત્રોનું અધ્યયન કરીએ તો આજે પણ ગુરુ મહિમા વિષેના તાર્કિક અને માર્મિક વર્ણન જાણવા મળે છે. ગુરુ એ મૂળ શબ્દ ગુ+રુ એ બે શબ્દોથી મળેલો છે. જેમાં ગુ અર્થાત અંધકાર અને રુ અર્થાત જે પ્રકાશનું કિરણ લાવે છે તે. આખા શબ્દનો અર્થ જે અંધકાર હટાવીને પ્રકાશની કિરણ લાવે છે તે ગુરુ છે. ભગવાન રામ સીતાને કહે છે હું કેળવાયો છુ કારણ કે મારી ઉપર ગુરુ વશિષ્ઠનો પ્રેમાળ હસ્ત ફરતો હતો. જ્યારે સપ્તર્ષિઓના સદ્ગુણોને જોતાં ભગવાન શિવ પણ બોલી ઊઠે છે કે જે ગુરુ પાસે પહોંચતા જ બુધ્ધિ ગ્રહણશીલ બને છે, જે ગુરુના સહવાસમાં જતાં જ તેમનાથી છૂટા પડવાનું મન નથી થતું, જે ગુરુની એક અમી ભરેલી દૃષ્ટિ શિષ્યોના મનહૃદયને નદીના નીર સમાન પવિત્ર કરી નાખે છે તેવા ગુરુનો મહિમા અપરંપાર છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે જે અજ્ઞાનનું નિવારણ કરી ધર્મ તરફ દોરીને લઈ જાય છે તે ગુરુ છે. ભગવાન કૃષ્ણ સાંદીપની ઋષિને કહે છે કે મને જે વિશ્વાસ દેવતાઓ મિષે છે તેનાથી અનેક ગણો વિશ્વાસ મને ગુરુશરણમાં, ગુરુચરણમાં અને ગુરુવાણીમાં છે. હું જે આજે આગળ વધ્યો છુ અને જીવન વિષે જે કાંઇ જાણી શક્યો છુ તે સમસ્ત જ્ઞાન મારા ગુરુને કારણે છે. ગુરુશિષ્યની આજ પરંપરા આપણે ત્યાં પ્રાચીન યુગથી ચાલી આવે છે, જેનું મહત્વ કેવળ ગુરુદક્ષિણા સમર્પી  દેવાથી ઓછું નથી થતું. અમેરિકન આર્મીમેનનું એક સૂત્ર છે કે એકવાર જે સોલ્જર થયો તે હંમેશા સોલ્જર જ રહે છે. એક સામાન્ય સોલ્જરમાંથી તે વ્યક્તિ મેજર, લેફટન્ટ, જનરલ, ઓફિસર એમ બધી જ પદવી લેશે પણ તેની અંદરનો સોલ્જર ક્યારેય નહીં જાય. જ્યાં જે આર્મીસ્કૂલમાંથી તે સોલ્જર થઈ બહાર નીકળ્યો છે તે સ્કૂલનો જ તે હંમેશા રહેશે. ગુરુ માટે પણ કશુક એવું જ છે. બાળક જે ગુરુ પાસેથી શિક્ષા લેશે તે ગુરુનો તે હંમેશા થઈ રહેશે. તે બાળક આગળ જતાં મોટી હસ્તી પણ બનશે તો પણ તે પોતાના હૃદયની અંદર રહેલા વિદ્યાર્થીને કે ગુરુને ક્યારેય બહાર કાઢી નહીં શકે. આથી જ આપણાં શાસ્ત્રો કહે છે જીવનને રસદર્શન કરાવનાર આ ગુરુઓનું મહત્વ કેવળ એક ગુરુપૂર્ણિમાનું નથી બલ્કે રોજેરોજ ગુરુના વિચારોને તેમની આપેલ શિક્ષાને આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ તો ખરા અર્થમાં આપણે આપણા ગુરુનું સન્માન કરી શકીશું. વળી આપણી ભારતીય સંસ્કૃતિમાં તો જીવનને સમુધુર બનાવનાર ગુરુનું એક અલગ જ સ્થાન છે. આપણાં શાસ્ત્રોએ આપણા જીવનને સાચી દિશા ચિંધાડનાર આ ગુરુનું સ્મરણ કરાવવા માટે અષાઢ માસની પૂર્ણિમાને ગુરુચરણે ધરી છે. ગુરુ પૂર્ણિમા વર્ષાઋતુના આરંભમાં આવે છે. આ દિવસથી ચાર મહિના સુધી પરિવ્રાજક સંતો એક સ્થાન ઉપર સ્થિર થઈ જાય છે, (જેને આપણે ચતુર્માસ તરીકે ઓળખીએ છીએ) અને સમાજમાં ચારે તરફ જ્ઞાનની ગંગા વહાવે છે. ઋતુશાસ્ત્ર અનુસાર આ ચતુર્માસ એ વર્ષનો સર્વોત્તમ અને સર્વોશ્રેષ્ઠ સમય માનવામાં આવ્યો છે. કારણ કે આ સમયમાં વધારે ગરમી નથી, કે વધારે ઠંડી નથી. બસ ચારે તરફ ગગન મેઘાચ્છાદિત વાદળોથી ઘેરાયેલું હોય, નાની નાની વર્ષાની લડીઑ ઝરી રહી હોય, ગુલાબી પવન લહેરાતો હોય તેવા સમયને અધ્યયન માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. ઋષિવર ભૃગુ શિવપુરાણમાં કહે છે કે જે રીતે સૂર્યના તાપથી ગરમ થયેલ ધરતીને બરખાની લડીઓથી શીતળતા મળે છે તેમ ગુરુચરણમાં બેસેલા શિષ્યને જ્ઞાન, ભક્તિ, બુધ્ધિ, સિધ્ધી, શક્તિ, શાંતિ અને ધૈર્ય મળે છે. આપણાં શાસ્ત્રોએ શિક્ષા પ્રદાન કરનાર અનેક ગુરુઓ વિષે જણાવેલ છે. જેમાં માતા, પિતા, ગુરુ, વડીલજનો વગેરેનો સમાવેશ થાય છે પરંતુ આજનો સમય કહે છે કે સમય અને યુગ અનુસાર ગુરુ બદલાતા રહ્યા છે. પ્રાચીન ગુરુ પરંપરાની સાથે અર્વાચીન નવી ગુરુ પરંપરાનો પણ ઉદ્ભવ થયો છે. પણ અહીં પ્રશ્ન એ છે કે આપણે શું આપણાં એ નવા ગુરુઓને ઓળખી શક્યા છીએ? આદ્ય ગુરુશંકરાચાર્ય કહે છે કે એક લોઢાના ટુકડાને પારસમણિ સોનામાં ફેરવી શકે છે, પણ પોતાના સમાન પારસમણિ નથી બનાવી શકતો, પણ ગુરુનું તેજ, ગુરુનો હસ્ત અલગ હોય છે. ગુરુ પોતાના સમસ્ત ગુરુત્વનો નિચોડ શિષ્યની અંદર પ્રસ્થાપિત કરે છે, જેથી કરીને ભવિષ્યમાં એક બીજો ઉત્તમ ગુરુ સમાજને માટે ઊભો થઈ શકે. ઉપનિષદમાં કહ્યું છે કે જે ગુરુ પાસે શિષ્ય પોતાના દોષ ગણાવી શકે છે તે શિષ્ય તો મહાન છે, પણ  શિષ્યના દોષ જાણ્યા પછી જે ગુરુ પંક (કાદવ) સમાન શિષ્યને પંકજ (કમળનું ફૂલ) બનાવે છે તે ગુરુનું સ્થાન તો વિશ્વમાં કોઈ લઈ શકે તેમ નથી. જે ગુરુનો મહિમા આપણે ત્યાં યુગોયુગોથી ગવાયેલ છે તે ગુરુ કેવા હોવા જોઈએ અને કેવા ગુરુ બનાવવા જોઈએ તે પ્રશ્ન હંમેશાથી રહ્યો છે. પ્રથમ પ્રશ્નના જવાબમાં શ્રી પાડુંરંગ શાસ્ત્રી આઠવલે કહે છે કે પરમ પિતા બ્રહ્માની જેમ સદ્ગુણોને જે સર્જે છે, ભગવાન વિષ્ણુની જેમ જે સદ્વૃતિના પાલક બને છે અને ભગવાન ભોળાનાથની જેમ જે જીવોમાં રહેલા દુર્ગુણો અને ર્દુબુધ્ધિનો જે સંહાર કરે છે તેવા ગુરુ એ સાક્ષાત પરબ્રહ્મ સમાન છે. જ્યારે બીજા પ્રશ્નના જવાબ શુકદેવજી શ્રીમદ્ ભાગવતમાં આપતા કહે છે કે જીવનમાં સુખ દુઃખ શું, જીવનનો શો સાર છે, ક્યાં માર્ગે જતાં જીવને સાચો રાહ મળે છે, આપણાંમાં રહેલા મોહ-માયાના વિષયોથી આપણને સાવચેત કરનાર, આપણામાં રહેલી ભૂલોને શોધી કાઢવા સતત તત્પર રહે તેવું ગુરુ આપના જીવનમાં હોવા જોઈએ, અને જ્યારે આવા ગુરુનો સાથ હોય ત્યારે તે શિષ્યનું અવશ્ય કલ્યાણ થાય છે. એક સમય એવો હતો કે જ્યારે નદીને કિનારે વસેલ આશ્રમમાં વૃક્ષોની છાયામાં ગુરુઓ શિષ્યોને જ્ઞાન આપતા હતાં, પણ આજે સમય બદલાયો છે. આજની ભાષામાં પૂછીએ તો ગુરુ કોણ છે તો તેના કદાચ અનેક જવાબો મળી આવશે, પણ સમય અનુસાર આજે આપણા આ ગુરુઓ બદલાઈ ગયા છે તો ચાલો આજે આપણે આપણા એ આજના આધુનિક ગુરુઓને મળીએ.
આજના ગુરુમાં જે સૌ પ્રથમ આવે છે તે છે આપણું ઘર. આપણાં ઘરમાં રહેલા પ્રત્યેક બાળકો અને પ્રત્યેક વડીલો, કુટુંબમાં રહેલ એક એક વ્યક્તિ તે આધુનિક ગુરુના પ્રથમ ચરણમાં આવે છે. એક સમય હતો કે આપણે ત્યાં વડીલો જ ગુરુનું સ્થાન દીપાવતા હતા તેથી કહેતા કે માતા દેવ, પિતા દેવ, દેવ આખોયે સમાજ. આ વાત આજે પણ પ્રાચીન સમય જેટલી જ સાચી છે. માતા-પિતા ક્યારેય બાળકનું ખરાબ ઈચ્છે જ નહીં તેથી તેઓ પોતાની સમજણ મુજબ બાળકને સારા-ખરાબ વચ્ચેનો ભેદ સમજાવતા જાય છે, ઘરમાં રહેલા વડીલો પણ આ કાર્યમાં મદદ કરે છે. આથી એમ કહી શકાય કે આપણું ઘર અને કુટુંબ એ આપણાં પ્રથમ ગુરુ છે.
આપણા બીજા ગુરુ તે આપણા ઘરની આસપાસનું વાતાવરણ છે. મોટા થતાં બાળકો પોતાના કુટુંબ પાસેથી તો જીવનના પાઠ શીખે જ છે પણ એજ કુટુંબ જે નથી શીખવાડી શકતું તે વસ્તુતઃ આપણે આપણા વાતાવરણમાંથી શીખી જઈએ છીએ. ભલે કહેવાય કે પહેલો તે સગો પાડોશી, પણ આ પાડોશી પાસેથી તેની ભાષા ઉપરથી, તેના વિચાર અને વ્યવહાર ઉપરથી આપણે ઘણી વાતો શીખી જઈએ છીએ. જેમાં સારી અને ખરાબ બંને બાબતો રહેલી છે તેથી જ સંગ તેવો રંગની કહેવત પડેલી છે.
આપણા જીવનમાં ત્રીજા ગુરુ તે આપણા સંજોગો છે. આ સારા અને ખરાબ સંજોગો આપણને વિવિધ પાઠ શીખવતા જાય છે.
આપણા ચોથા ગુરુ તે બાળકો છે. મને બરાબર યાદ છે કે નાનપણમાં મારી મમ્મી મને હંમેશા કહેતી કે મોટા સાથે રહીએ તો મોટી અને નાના સાથે રહીએ તો નાની બુધ્ધિ આવે. પણ આજના સમય મુજબ આ વાતનું કોઈ તાત્પર્ય રહ્યું નથી. હું મારા જીવનની ઘણી બધી વાતોને મારા બાળકોની પાસેથી શીખી છુ. આથી મારુ માનવું છે કે આ બાળકો જ આજે આપણને ઘણું બધુ શીખવી જાય છે. એક યુગલ જ્યારે પ્રથમવાર માતા-પિતા બને છે તે જ દિવસથી તેમના જીવનનો મોટો પાઠ ચાલુ થઈ જાય છે. પછી જેમ જેમ બાળક માતા-પિતા પાસેથી શીખે છે તેમ માતા-પિતા પણ બાળકો પાસેથી કશું ને કશું શીખતા જ રહે છે. પણ એટલું ખરું કે બાળક પાસેથી નવું શીખવા માટે માબાપે પોતાનો મોટા હોવાના અહંને સાઈડમાં મૂકી દે તો તેમના આ બાળકો રૂપી ગુરુઓ પાસેથી ઘણુંબધુ શીખી શકે છે.
આપણા પાંચમા ગુરુ તે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ છે. નવા જમાનાનો આ ઇન્ટરનેટ ગુરુ અને યુઝર શિષ્યનાસંબંધને ક્યારેય શાંતિથી નિહાળ્યો છે?આજે ઇન્ટરનેટ એ એક એવું માધ્યમ છે જેના દ્વારા આપણે શિક્ષણ અને સાયન્સથી માંડીને અનેક વસ્તુઓ શીખીએ છીએ. આમાં ક્યારેક એવું પણ બને છે કે ઈન્ટરનેટ ગુરુ અને યુઝર શિષ્ય ક્યારેય પ્રત્યક્ષ મળતા નથી તેમ છતાં પણ આ વિશ્વ આખો દિવસ આપની સાથે ચાલે છે. ટૂંકમાં કહીએ તો આ વિશ્વ પણ વાતાવરણની જેમ જ હોય છે. આ બંને તત્ત્વો આપણને સારાખોટાનો ભેદ તો શીખવે છે, સાથે સાથે આપણા આધ્યાત્મિક, નૈતિક, સામાજિક માનસિક, આધિભૌતિક, રાજનૈતિક સમસ્યાઓને પણ હલ કરી શકે છે અને આપણને યોગ્ય માર્ગદર્શન આપી શકે છે, પણ તેમ છતાં આ આજના સર્વે ગુરુઓ પાસેથી આપણે શું શીખી શકીએ છીએ તે આપણા ઉપર છે.
अज्ञान तिमिरान् धस्य ज्ञानाम् जन शलाक्य

चक्षु रुन् मिलीतम् येन तस्मै श्री गुरुवे नमः

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ

CopyRight:-ISBN-10:1500299901 

[http://pareejat.wordpress.com/ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/ Thursday 4 September 2014

શિક્ષક દિન કે દીન? (અલ્પવિરામ -- રાજેન્દ્ર રાવલ)

શિક્ષકોનો આજે દિવસ છે. શિસ્ત, ક્ષમા અને કલ્યાણના આરાધકોને યાદ કરી, તેમની નિઃસ્વાર્થ અને તટસ્થ કર્મયોગિતાને વંદન કરવા માટે દેશના વિદ્યાપ્રેમીઓ ગુરુઓને વંદન કરે છે. ખાસ કરીને પાંચમી સપ્ટેમ્બરને એટલે જ શિક્ષકોના ગુણગાન કરવા માટે શિક્ષકદિન (દીન) તરીકે ઉજવવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ની યાદમાં પાંચમી સપ્ટેમ્બર પસંદ કરવામાં આવી. ભારતનો એક શિક્ષક રાષ્ટ્રપતિ થઈ શકે છે, આ ઘટનાને શિક્ષકના સાર્મ્થ્ય સાથે જોડીને શિક્ષકોને ઉત્સાહિત કરવામાં આવે છે.
ડો. રાધાકૃષ્ણન્ શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ બન્યા. વર્ષોથી આદરપૂર્વક ડો. રાધાકૃષ્ણન્ને ભારતીય પ્રજા સગર્વ યાદ કરે છે, પરંતુ રાધાકૃષ્ણન્ પછી અનેક શિક્ષકો સત્તા ઉપર આવ્યા. દેશ અને દુનિયામાં ઘણા શિક્ષકોએ કાઠું કાઢયું, પણ ડો. સર્વપલ્લીની જેમ તેમને દુનિયા કેમ યાદ કરતી નથી? હા, શિક્ષકો સામે ફરિયાદો છે. જે શિક્ષકોને સમાજના ગુરુનું બિરુદ પ્રાપ્ત થયું છે તે ગુરુઓનું ગુરુત્વાકર્ષણ ઘટી રહ્યું છે. તેના માટેનાં અનેક કારણો જવાબદાર છે. રાજકીય હસ્તક્ષેપ, બિનઆવડતવાળું પ્રશાસનતંત્ર અને શિક્ષણમાં થતાં આડેધડના અર્થહીન અખતરાઓથી શિક્ષક અને શિક્ષણની પ્રતિભા નંદવાઈ છે.
આઝાદી પછીનાં વર્ષોનું શિક્ષણ અને આજનું શિક્ષણ! સ્થિતિ વિચિત્ર છે, શિક્ષણની અને શિક્ષકોની. "શિક્ષણમાંથી સાદગી નષ્ટ થઈ ચૂકી છે અને શિક્ષકોમાંથી વિનમ્રતા." શિક્ષકને ગુરુમાંથી નોકર બનાવવાની રાજકીય પ્રવૃત્તિઓ અને પ્રવિધિઓએ શિક્ષકને આડે પાટે ચડાવી દીધો છે. એક જમાનામાં ગુજરાતી શાળાના શિક્ષકને લોકો ગુરુજી કહેતા. આજે પણ દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોને વિદ્યાર્થીઓ અને વાલીઓ ગુરુજ કહીને સંબોધે છે. આ ગુરુઓ વિનમ્ર, સંયમી અને સાદગીને સર્મિપત હતા. થોડાંક વર્ષો પછી જ્યારે ગાયકવાડી સ્ટેટ થયાં ત્યારે વર્નાક્યુલર મેટ્રિક પાસ શિક્ષકોને વાલીઓ માસ્તર કહેવા માંડયા. ગામનો માસ્તર એટલે સર્વેસર્વા, લોકોનો આદર પ્રાપ્ત વ્યક્તિ. પછી આજ માસ્તર, ગુરુને પંથસુજી કહેનારો એક વર્ગ તેમને પંતુજી કહેવા માંડયો. કેમ? શિક્ષકની પ્રતિષ્ઠાને બગાડવામાં ફાળો કોનો? સમાજનો? સંસ્કારનો? કે ખુદ શિક્ષકોનો જ? આ પ્રશ્નનો જવાબ માત્ર શિક્ષકો જ આપી શકે. આજે પણ લોકો સરકારી શાળાઓનું નામ પડતાં જ મોં મચકોડે છે! ગામડાનાં બાળકો શહેરની ખાનગી શાળાઓમાં શિક્ષણ મેળવવા જાય છે. સરકારના મફ્ત શિક્ષણની ઐસી-તૈસી કરીને ખાનગી શાળામાં મોંઘીદાટ ફી આપીને બાળક પ્રવેશ મેળવે છે. તેના માટે જવાબદાર કોણ?
ક્યાંક શિક્ષકો પાસે વિષયની કૌશલ્યતા નથી. જે કુશળ છે તેમને કોઈ સાંભળતું નથી. કામ કરનારા અને રખડી ખાનારા એમ શિક્ષકોના બે ભાગ છે. સરકારના શિક્ષકો માટેના નિયમો એવા બોગસ છે, જેનાથી શિક્ષકો ત્રાહિમામ્ છે. આવા નિયમોને અટકાવવા માટે શિક્ષકોનાં સંગઠનો સંપૂર્ણ સફળ નથી. શિક્ષકોની પવિત્રતાને અભડાવવામાં આવી છે. જેના માટે ક્યાંક શિક્ષકો પણ જવાબદાર છે. વ્યવસાયની નિષ્ઠા અને ભારતનું ભાવી ઘડનારો શિક્ષક, કલ્યાણ ભાવનાને વરેલો હોવો જોઈએ, પણ દેશમાં શિક્ષણની દશા બગડેલી છે. અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોને કામ ગમતું નથી. રાજસ્થાનમાં ૪૭૦ શાળાઓમાં શિક્ષક જ નથી. જે શિક્ષકોની બદલી થઈ હતી, તેમણે રાજકીય વગ વાપરીને નજદીકનાં શહેરોમાં બદલીની ગોઠવણી કરી દીધી. દૂરના અંતરિયાળ ગામડાંઓમાં સારા શિક્ષકો ટકતા કેમ નથી? હરિયાણા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની રાજકીય (સરકારી) શાળાઓ અને તેમાંય ખાસ કરીને ગામડાંની શાળાઓ પડી ભાંગી છે.
ગુજરાતમાં શિક્ષણની ખાસ કરીને પ્રાથમિક શિક્ષણની દશા આજે કફોડી છે. તેના માટે સરકાર અને શિક્ષકો બંને જવાબદાર છે. શિક્ષકોને ભણાવવા માટેનો પૂરતો સમય મળતો નથી અને સરકાર ગુણવત્તા પ્રગટાવવાની વાતો કરે છે, પણ ગુણનું પ્રાગટય કરવા માટેનો સમય જ શિક્ષકોને આપતી નથી. રાજકીય ખીચડી પકવવા માટે શિક્ષણ અને શિક્ષકોને હાથા બનાવવાના પ્રયોગો થઈ રહ્યા છે. શિક્ષણના અધિકારીઓ પૂરતા પ્રમાણમાં સ્વતંત્ર નથી. ગુજરાતનું શિક્ષણ ખાતું નિવૃત્ત અધિકારીઓથી ચાલે છે. ક્યાંક કેટલાક શિક્ષકો પણ શિક્ષણ અને શિક્ષકની ગરિમાને તોડવા માટે જવાબદાર છે. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો શ્રદ્ધાના પાઠ ભણાવવાને બદલે અંધશ્રદ્ધાનાં કાવતરાં કરે છે. ઈકોતેરનો ઘડિયો ભણાવવાને બદલે ચિકોતર (ભૂતપ્રેત)ના પાઠ ભણાવે છે. એક આખા ગામે ફરિયાદ કરી છે કે સાહેબ આ શિક્ષક ભૂવો છે, પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી.
કેટલાય શિક્ષકો વ્યસની છે. શાળામાં ગુટકા કે મસાલો ચાવીને શિક્ષકો ભણાવે છે. કોઈ રોકતું નથી, ટોકતું નથી. શાળામાં મોબાઇલ લઈ જવાનો પ્રતિબંધ છે! તંત્ર-ધૃતરાષ્ટ્ર છે. ગુણોત્સવ વખતે એક શાળામાં ગયેલા એક ઉચ્ચ અધિકારી અને શાળાનો શિક્ષક નશામાં હતા, આ વાત પર પડદો પડી ગયેલો. શિક્ષકોને કક્કો બારાખડી આવડતું નથી, એટલે થોડાંક વર્ષો પહેલાં લેખન-ગણનની તાલીમ આપવી પડેલી. શિક્ષકોની બદલીઓમાં સાટાંપદ્ધતિ શરૂ થઈ છે. બદલીના કડક નિયમોને કારણે શિક્ષકો અંદરો-અંદર લાખો રૂપિયાના વેપાર કરીને બદલી કરાવે છે. જિલ્લા ફેર અરસપરસ બદલીઓના ભાવો શિક્ષણમંત્રીને ખબર છે? પ્રાથમિક શિક્ષકો બગડેલા નથી. તેમને બગાડવામાં આવી રહ્યા છે. શિક્ષકનું ચારિત્ર્ય કેમ નબળું પડયું છે? આજે શિક્ષકનો દિવસ છે. હૃદયથી જે શિક્ષક સંપન્ન છે, વ્યવસાયને સર્મિપત છે, તેને જ વંદન હોય. બાકી કાંઠા-કબાડિયાઓએ આજના દિવસે પ્રેરણા લેવાની હોય કે બહુ થયું હવે.

નિષ્ઠાવાન શિક્ષકોને જ સલામ. ખાસ કરીને પેલા ટોપીવાળા, સોટીવાળા શિક્ષકોને સલામ.   
- રાજેન્દ્ર રાવલ email : rajendrarvl@gmail.com
[સંદેશ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.