વેબ સરિતા
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Tuesday, 17 June 2014

નાપાસ થયા છો ? ઓછા માર્ક્સ આવ્યા છે ?

ફરી એક વાર ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો મંગલ પ્રારંભ થઈ ગયો છે. એ પહેલાં ઉચ્ચતર અભ્યાસક્રમો, કોલેજો અને વિશ્વવિદ્યાલયોનાં પરિણામો આવી ગયાં. ઘણાં નાપાસ થયાં. ઘણાંના માર્ક્સ ધાર્યા પ્રમાણે ન આવ્યા. ઘણા નિરાશ થયા.
ડોન્ટ વરી !
જેઓ ૯૦ ટકા કરતાં વધુ ગુણ મેળવે છે, તેઓ જ સુખ, સમૃદ્ધિ અને ઉચ્ચતમ પદો પ્રાપ્ત કરે છે, એવું નથી. તેઓ માત્ર ચૂંટણી જ જીતે છે, તેઓ જ ભારતના ભાગ્યવિધાતા બને છે તેવું નથી. ગાંધીજી, સરદાર, જવાહરલાલ નહેરુ, ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી, મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંહ, દેવગૌડા કે નરેન્દ્ર મોદીને કદીયે પરીક્ષાઓમાં ફર્સ્ટક્લાસ માર્ક્સ આવ્યા નહોતા. ગાંધીજી ભણતા હતા ત્યારે કદીયે તેમની તસવીર શ્રેષ્ઠ પરિણામ માટે કોઈ અખબારમાં છપાઈ નહોતી. તેમના અક્ષરો પણ ગરબડિયા હતા છતાં તેઓ ભારતના રાષ્ટ્રપિતા કહેવાયા. અમદાવાદના ડો. વિક્રમ સારાભાઈ તો પિતા અંબાલાલ સારાભાઈની’રીટ્રીટ’ બંગલામાં ચાલતી ઘરશાળામાં ભણ્યા હતા. તેમ છતાં તેઓ દેશના મહાન વિજ્ઞાાની અને ભારતના અણુપંચના અધ્યક્ષ પણ બન્યા હતા. તેમનાં બહેન લીના મંગલદાસ પણ એવી જ ઘરશાળામાં ભણ્યાં હતાં છતાં ગુજરાતનાં શ્રેષ્ઠ કેળવણીકાર બન્યાં.’શ્રેયસ’ જેવી નવતર પ્રયોગવાળી શાળાની સ્થાપના કરી. લીનાબહેને તો મહાકવિ હોમરની કૃતિ ‘ઈલિયડ’નું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે.
એ લોકો શું કહે છે ? 
સીબીએસ અને વાયકોમના ચેરમેન સમર રેડસ્ટોન કહે છેઃ “સફળતાની ઉપર સફળતાની ઈમારત ચણાતી નથી. નિષ્ફળતાના ભંગાર પર જ સફળતાની ઈમારત ચણાય છે. ઘણી વાર તો દુર્ઘટના પછી જ જીત થાય છે. યાદ રાખો કે નિષ્ફળતા બે રીતે મળે છે. એક તો આગળ વધવાથી અને બીજું આગળ ન વધવાથી અર્થાત્ નિષ્ક્રિય રહેવાથી.” એપલ કોમ્યુનિકેશન્સના સ્થાપક સ્ટીવ જોબ્સ કહે છેઃ “તમારો સમય મર્યાદિત છે. બીજાના અભિપ્રાયને મહત્ત્વ આપવાનું બંધ કરી દો. અન્યના વિચારોના કોલાહલને તમારા અંતરાત્માના અવાજ પર હાવી થવા ન દો. તમારા આત્માના અવાજને અનુસરો. તમે જ તમારી જાતને તારી શકો. તમારા કામના પ્રેમમાં પડી જાવ મજા આવશે.” ઓરેકલના સ્થાપક લેરી એલિસન કહે છેઃ“સફળતાની આડે આવે તેવી બધી જ નિર્બળતાઓ મારામાં હતી.” 
રાઈટ બ્રધર્સ :
નિષ્ફળતા પર સફળતાની ઈમારત ચણનારાં કેટલાંક નક્કર ઉદાહરણો આ રહ્યાં. 
વિમાનની શોધ કરનાર રાઈટ બ્રધર્સ ડિપ્રેશન જેવી કાયમી પારિવારિક માંદગીના દર્દીઓ હતા. ૧૯૦૦ની સાલમાં તેમણે સાઇકલની દુકાન શરૂ કરી હતી અને પછી વિમાન ઉડાડવાના પ્રયોગો કર્યા હતા. વર્ષો સુધી તેમણે વિવિધ યંત્રો અને ગ્લાઇડર્સની મદદથી વિમાન ઉડાડવાના નિષ્ફળ પ્રયોગો કર્યા હતા. છેક તા.૧૭મી ડિસેમ્બર, ૧૯૦૩ના રોજ તેઓ ક્રિટી હોક, કેલિફોર્નિયા ખાતે પ્રથમ વિમાન ઉડાડી શક્યા હતા. આજે પણ તેમણે શોધેલી થ્રી એક્સિસ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ થાય છે. દરેક નિષ્ફળ પ્રયોગોએ તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
વિન્સ્ટન ચર્ચિલ :
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ કહે છેઃ “સફળતા એ એક એવી ક્ષમતા છે જે એક નિષ્ફળતાથી બીજી નિષ્ફળતા તરફ ઉત્સાહ ઘટાડયા વિના આગળ લઈ જાય છે.” વિન્સ્ટન ચર્ચિલ સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં નાપાસ થયા હતા. બે વખત ઈંગ્લેન્ડના વડાપ્રધાન બન્યા હતા, પરંતુ ૧૯૨૯થી ૧૯૩૩ના સમયમાં તેઓ રાજનીતિમાંથી ફેંકાઈ ગયા હતા. ૧૯૪૫માં પણ ચૂંટણી હારી ગયા હતા. એ પછી હ્ય્દયરોગના અનેક હુમલા છતાં ૧૯૫૧માં ફરી ચૂંટાયા હતા અને બ્રિટનના વડાપ્રધાન બન્યા હતા. ૧૯૫૫માં તેમને તેમના પુસ્તક ‘ધી સેકન્ડ વર્લ્ડ વોર’ પુસ્તક માટે નોબેલ પ્રાઈઝ મળ્યું હતું.
વોલ્ટ ડિઝની :
મિકી-માઉસ જેવાં પાત્રોનાં સર્જક વોલ્ટ ડિઝનીને તેમના જીવનમાં સફળતા પહેલાં અનેક નિષ્ફળતાઓ મળી હતી. શરૂઆતમાં તેઓ એક અખબારમાં નોકરી કરતાં હતા. અખબારના તંત્રીએ તેમને કલ્પના અને નવા વિચારોના અભાવવાળી વ્યક્તિ કહી નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. તે પછી તેમણે કેટલાંયે ધંધા કર્યા. એ બધાં જ નિષ્ફળ ગયા અને તેઓ દેવાદાર બની ગયા. એક દિવસ તેમને એનિમેશન ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો. તેમણે ‘સ્નો વ્હાઈટ એન્ડ ધી સેવન ડ્વાર્ફસ’ ફિલ્મ બનાવી. કોઈ વિતરક તેને ખરીદવા તૈયાર નહોતો. એ ફિલ્મ ભારે ડિસ્કાઉન્ટ સાથે છબીઘરોમાં રજૂ થઈ અને એક ઇતિહાસ રચાઈ ગયો. વોલ્ટ ડિઝનીની કંપનીનું સામ્રાજ્ય આજે ૧૦૨.૨૫ બિલિયન ડોલરનું છે. 
સિડની પોઈટર :
અમેરિકન સિનેમામાં દંતકથા ગણાતા સિડની પોઈટર જ્યારે ૧૭ વર્ષની વયના હતા ત્યારે ન્યૂ યોર્કમાં ગંદકી સાફ કરનાર મજદૂર હતા. એ વખતે તેઓ બસ ર્ટિમનલના ટોઇલેટમાં સૂઈ જતા. એ પછી અમેરિકન લશ્કરમાં પણ મજદૂર તરીકે જ જોડાયા. ફરી ન્યૂ યોર્કના હાર્લેમ વિસ્તારમાં ગંદકી સાફ કરવાનું કામ કર્યું. એમનો પહેલો ઓડિશન ટેસ્ટ લેવાયો ત્યારે કાસ્ટિંગ ડાયરેક્ટરે તેમને કહ્યુંઃ “અમારા લોકોનો સમય બગાડવાના બદલે બહાર જઈ ડિશો ધોવાનું કામ કેમ કરતો નથી?” એ પછી સિડની પોઈટરે અભિનયમાં પોતાની ક્ષમતા વધારવા અને ભાષાશુદ્ધિ માટે પ્રયાસો શરૂ કર્યા. બીજા પ્રયાસે તેમને સફળતા મળી. બ્રોડવે પ્રોડક્શનમાં તેમને નાનકડો રોલ મળ્યો તેની અદ્ભુત સરાહના થઈ. ૧૯૬૩માં ‘લીલીર ઓફ ધી ફીલ્ડ’ નામની ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય માટે ઓસ્કર એવોર્ડ મેળવનાર તેઓ પહેલા અશ્વેત અભિનેતા હતા. 
માઈકલ જોર્ડન :
વિશ્વના સર્વશ્રેષ્ઠ બાસ્કેટબોલ ખેલાડી તરીકે નામના પામેલા માઈકલ જોર્ડન સ્કૂલમાં ભણતા હતા ત્યારે સ્કૂલની બાસ્કેટ બોલ ટીમમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. એમણે ઘણી વાર કહ્યું હતું કે, “I have missed ૯૦૦૦ shots in my career. I have lostalmost ૩૦૦ games on ૨૬  occasions, I have been entrousted to take the game winning shots and I missed. I have failed over and over and over again in my life. and that is why I succeeded.”
અકિઓે મોરિતા :
અકિઓ મોરિતાએ ધંધાની શરૂઆત કરી ત્યારે તેમણે સૌથી પહેલાં રાઈસકૂકર બજારમાં મૂક્યું હતું. જે એક નિષ્ફળ પ્રોડક્ટ હતી. માંડ ૧૦૦ કૂકર્સ વેચાયાં હતાં અને કેટલાંકના પાર્ટ્સ તો રાંધતી વખતે જ બળી ગયા હતા. આ ઘોર નિષ્ફળતા પછી અકિઓ મોરિતાએ અને તેમના ભાગીદારોએ નિષ્ફળતાથી હતાશ થવાના બદલે તેમણે નવાં ઉત્પાદનો માટે એક નવી જ કંપની ઊભી કરી જે આજે વિશ્વભરમાં ‘સોની કોર્પોરેશન’ તરીકે ઓળખાય છે. સોની કોર્પોરેશન મલ્ટિ બિલિયન ડોલરની કંપની છે. 
નિષ્ફળતાઓના પાયા પર સફળતાની ઈમારત ચણાય છે. નિષ્ફળતાથી નિરાશ ન થાવ. હતાશા ખંખેરી નાંખો અને નવાં કામ માટે સજ્જ થાવ, સફળતા જરૂર મળશે.
ઓલ ધી બેસ્ટ!
સાભાર: રેડ રોઝ - દેવેન્દ્ર પટેલ
બ્લોગ લીંક : http://www.devendrapatel.in/
સૌજન્ય: સંદેશ દૈનિક

Posted By: http://web-sarita.blogspot.com/ Tuesday, 17 June 2014

Monday, 16 June 2014

ટેક્નોલોજી ની અસર -અજ્ઞાત

Image result for technology effect  images pictures

નાના-મોટાઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા
‘સેલ-ફોન’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા
ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા


સવારના પહોરમાં નિયમિત નહાવાનુ જે છોડીને

‘ઇમેલ’ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા


ખાવાનો ચસ્કો બઘાનો જુઓ વઘતો જાય છે આજે

‘સ્પેસ’માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા


પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ

વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા


સમયની મારામારી વઘી ગઈ છે ઘેર ઘેર આજે તો

સંડાસમાં ‘સેલ્યુલર’પર વાતો પણ કરતા કરી દીઘા


‘લેક્સસ’ ને‘મરસીડીઝ’માં આમતેમ ફરો છો તમે

અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા?


કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી,

ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા?


હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો,

ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!


સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી હવે?

‘ઇલેકટ્રિક’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા ..


Posted By: http://web-sarita.blogspot.com/ Monday, 16 June 2014

Sunday, 18 May 2014

મંદિરોની આવકજાવકનો હીસાબ ઘણાં દુષણો ટાળી શકે –નગીનદાસ સંઘવી

Image result for tirupati balaji temple images pictures
રાવણની લંકા સોનાની અને કૃષ્ણની દ્વારકા પણ સોનાની. ભારતની આ પ્રાચીન પરમ્પરા આજે પણ અખંડ જળવાઈ રહી છે. રાજકાજમાં જળોની માફક ચોંટી પડેલાં રાવણ જેવા આગેવાનોનાં ઘરમાં સોનાના ઢગલા દેખાય છે અને દેવની પુજા સમા મંદિરોમાં પણ સોનાના ભંડાર છલકાય છે. પણ આ પરમ્પરા હવે થોડી બદલાઈ ગઈ છે અને મન્દીરોમાં જે સોનાના ભંડારો છે તેનો તાગ પામવો કઠણ થઈ પડ્યું છે. જગન્નાથપુરીમાં એક મઠના મહન્તે 70 ટન જેટલી ચાંદી ચોરી જવાનો પ્રયાસ કર્યો તે માટે પોલીસે તેની અટકાયત કરવી પડી. અને થીરુઅનન્તથપુરમના પદ્મનાભ સ્વામી મંદિરના ભંડારની તલાશી લેવાના સર્વોચ્ચ અદાલતના આદેશ અનુસાર ગણતરી કરવામાં આવી ત્યારે દાગીના અને રત્નોના ભંડારની કીમત વીસ અબજ રુપીયા સુધી પહોંચી અને મુખ્ય ભંડારનો દરવાજો ઉધાડવામાં આવે તો આખા દેશ પર ભયંકર આફત તુટી પડશે તેવી દૃઢ માન્યતાને કારણે આ દરવાજો તો હજુ ખોલવામાં આવ્યો જ નથી !
વરસોથી, દાયકાઓથી, સદીઓથી ભારતમાં અતીશ્રદ્ધાળુ ભક્તો પોતપોતાના આરાધ્ય દેવના મન્દીરમાં સોના–રુપાના દાગીનાઓ ચડાવતા રહે છે. શહેરી અને શ્રીમન્ત લોકો મોટી ભેટ ચડાવે છે. પણ તેમની સંખ્યા ઓછી છે. ગામડાની અતી ગરીબ ઘરની સ્ત્રીઓ પોતપોતાની માનતા પુરી કરવા માટે દેવ દ્વારે પોતાના હાર, બંગડી, એરીંગ અને ચુંક ચડાવતી આવી છે. આ ભંડાર કેટલો છે તે જાણવા માટે થોડા વરસ અગાઉ રીઝર્વ બૅન્કે ભારતનાં તમામ મોટાં મન્દીરોને પોતાના ભંડારોનો હીસાબ રજુ કરવાની નોટીસો કાઢી હતી. પણ શ્રદ્ધાળુઓ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઉગ્ર વીરોધને કારણે રીઝર્વ બૅન્કે પોતાની નોટીસો પાછી ખેંચી લેવી પડી.   આવા ભંડારોની વાત બાજુએ મુકીએ તો પણ; ભારતનાં નાનાં મોટાં તમામ મન્દીરોએ અઢળક કમાણી કરતી પ્રવૃત્ત્તી મોટા પાયા પર ઉપાડી છે. તેમાં ભક્તી કે પુજા કરતાં પણ કમાણીની ગણતરી વધારે હોય છે અને આ ગણતરી હમ્મેશાં સાચી ઠરે છે.
ભારતીય સમાજમાં મંદિરો કમાણી કરાવી આપતો સર્વશ્રેષ્ઠ ધંધો છે, તેમાં સમ્પ્રદાયો કે સ્વામીઓએ કશું મુડી–રોકાણ કરવું પડતું નથી; કારણ કે મંદિરો બાંધવાનું ભંડોળ બારોબાર (ફંડફાળા, ઉઘરાણાં, દાનથી) નીકળી જાય છે. મંદિરો બંધાયા પછી જે મબલખ કમાણી થાય છે તેમાં મુડી–રોકાણ કરનારને કશો હીસ્સો મળતો નથી અને આવો હીસ્સો મેળવવાની કશી અપેક્ષા પણ રાખવામાં આવતી નથી.
મુડી કોઈની અને કમાણી પોતાની એવો ધંધો ધર્મપુરુષોને સારો ફાવી ગયો છે. ગમે તેટલી કમાણીનો કશો હીસાબ રખાતો નથી. તેના પર કશો કર કે વેરો ચુકવાતો નથી અને આવેલાં નાણાં ક્યાં જાય છે, કોણ વાપરે છે અને શી રીતે વપરાય છે તેની સીધીસાદી પુછપરછ પણ કદી કરવામાં આવતી નથી. ભારતનાં મોટાભાગનાં મન્દીર આજે અધર્મનાં મોટામાં મોટાં કેન્દ્રો બની ગયાં છે. વગર મહેનતે મેળવાયેલી અસ્ક્યામતો હમ્મેશાં અનેક પ્રકારનાં દુષણો જન્માવે છે. નશાકારી પદાર્થો, વ્યભીચાર અને ગુનાખોરીમાં આજે આપણા લગભગ તમામ સમ્પ્રદાયો ગળાડુબ છે. આસારામ (બાપુ ?) તો દયાપાત્ર છે; કારણ કે તે પકડાયો છે અને પોતાની કરણીનું ફળ ભોગવે છે. પણ વગર પકડાયેલા ધાર્મીક આગેવાનોની મોટી જમાત હજુ તાગડધીન્ના કરે છે.
આમાં ધર્મનો કે ધર્મશ્રદ્ધાનો કશો દોષ નથી. સમાજમાં ચોમેર વ્યાપેલી અન્ધશ્રદ્ધા અને ભગવાન જોડે લાભ મેળવવા માટે સોદાબાજી કરવાની વૃત્ત્તી આ પાપ માટે જવાબદાર છે. ભગવાન દીકરો આપે, પરીક્ષામાં પાસ કરાવે, ધંધા–પાણીમાં બરકત આપે તો ભેટ ચડાવવી તે ઈશ્વર જોડે કરવામાં આવેલી સોદાબાજી છે અને મોટા ભાગે ચડાવવામાં આવેલી ભેટ શ્રદ્ધાનું નહીં; પણ આવી સોદાબાજીનું પરીણામ છે. ઈશ્વરની કૃપા તો ચારીત્ર્યથી કે ત્યાગથી જ મળે છે તે હકીકતને ખુણે– ખાંચરે ધકેલી દેવામાં આવી છે.
કારણ ગમે તે હોય; પણ મંદિરોમાં સદીઓથી નકામું પડી રહેલું આ દ્રવ્ય સમાજોપયોગી કાર્ય માટે વાપરવું તે આજના જમાનાની તાકીદ છે. આ નાણાં દેશના ગરીબોના પરસેવાની કમાણી છે અને તેમનાં કલ્યાણ માટે આ ભંડારો વપરાવા જોઈએ; પણ આ ભંડારો હાથવગા કરવા એ અશક્ય દેખાય છે. ઓછામાં ઓછું આ ભંડાર કેટલા છે અને કેવડા છે તેની જાણકારી એકઠી કરવી જોઈએ. જુના હોય કે નવા હોય; પણ દરેક મન્દીરે પોતાની વાર્ષીક આવકજાવકના અધીકૃત હીસાબો જનતાની જાણકારી માટે પ્રસીદ્ધ કરવાનું ફરજીયાત બનાવવું જોઈએ. આવા હીસાબ આપવાનો કે છાપવાનો ઈન્કાર કરનાર મંદિરોને પાણી, વીજળી, સફાઈ જેવી મ્યુનીસીપલ સેવા આપવાનું બંધ કરવામાં આવે તો પુજારીઓ, પંડાઓ, અને મહંતોએ નમવું પડશે. આમાં દેવ કે શ્રદ્ધાને આંગળી પણ અડવાની નથી અને મન્દીરની આવકમાં કશી દખલગીરી નથી. માત્ર હીસાબ આપવાનો છે. જુના ભંડારોની વાત પછીથી કરી શકાય; પણ ચાલુ કમાણીની જાણકારી જનતાને મળવી જોઈએ. અદના નાગરીકે પોતાની આવક સરકારને દેખાડવી પડે છે; તો પછી દેવાધી દેવે પોતાની આવક છુપાવી પડે તેવું કોઈ કારણ નથી.
ગુજરાતમીત્ર, દૈનીક, સુરતની તા. 22 ડીસેમ્બર, 2014ની રવીવારીય પુર્તીમાં, એમની સાપ્તાહીક કટાર ‘સોંસરી વાતમાંથી, લેખકના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી દાદીમાની પોટલી માંથી સાભાર…

Posted By: http://web-sarita.blogspot.com/ Sunday, 18 May 2014

Friday, 16 May 2014

બાળદીક્ષા એટલે બળાત્કાર ! – રોહિત શાહ


20140515_104254 (400x640)હેડિંગ વાંચીને જરાય ભડકશો નહિ. મારા અને તમારા વિચારો ડિફરન્ટ હોઇ શકે છે, નોટ ઓન્લી ડિફરન્ટ, અપોઝિટ પણ હોઇ શકે છે. ‘અપોઝિટ એટલું ખોટું’ એવું સમજીને આપણે સતત ખોટ ખાધી છે. સાચો અનેકાન્ત્વાદી તો અપોઝીટ વિચારમાંથીય સત્ય પામવાનો પુરુષાર્થ કરશે. સૌપ્રથમ ‘બળાત્કાર’ શબ્દના સંકુચિત અર્થમાંથી આપણે બહાર નીકળી જઇએ. બળાત્કાર માત્ર સેક્સ્યુઅલ દુર્ઘટના માટેનો જ પર્યાય નથી. બળાત્કારનો અર્થ શબ્દકોશમાં બતાવ્યા મુજબ કોઇકના પર બળજબરી કરવી કે કોઇકની પાસે તેની મરજી વિરુદ્ધ આપણા સ્વાર્થનું કોઇ કામ કરવવું એવો થાય છે.
હું જ્યારે પણ ક્યાંય પણ બાળદીક્ષા થતી હોવા વિશે સાંભળું છું, ત્યારે બાળકની મુગ્ધતા ઉપર બળાત્કાર થતો હોય એવું ફિલ કરું છું. બાળદીક્ષા આપનારા ગુરુઓ (?) ઉપર મને ઘૃણા જાગે છે અને બાળદીક્ષા અપાવનારાં પેરન્ટ્સ પ્રત્યે કરુણા જાગે છે. લખોટીઓ રમવાની કે ભણવાની ઉંમરે બાળક ને બાવો બનાવી દેવો એ બળાત્કાર નથી તો બીજું શું છે ? કેટલાક કહેવાતા ‘ગુરુઓ’ ઇરાદાપૂર્વક બાળકોને તથા તેમનાં પૅરન્ટ્સને અજ્ઞાન અને અંધશ્ર્રદ્ધાની લહાણી કરતા રહે છે. ‘સંસાર અસાર છે’, ‘સંસાર કાદવ છે’, ‘સંસાર જ પાપનું મૂળ છે’ – એવી પોપટરટ કરતા રહી ને સંસાર પ્રત્યે નફરત ફેલાવવાનો હૉલસેલ કારોબાર કરતા રહે છે. સંસાર જો અસાર જ હોય તો આટલા તીર્થંકરો, દેવો, સંતો કોણે આપ્યા? મહાવીર પણ સંસારમાંથી જ આવ્યા અને હેમચંદ્રાચાર્ય પણ સંસારે જ આપ્યા છે… સંસાર કાદવ હોય તો ભલે રહ્યો, કાદવ પાસે કમળ ખીલવવાનું સામર્થ્ય છે. જે લોકો કાદવના આ સામર્થ્યને ઓળખી નથી શક્યા, તેઓ સંસારને ધિક્કારતા રહે છે.
આપણે ત્યાં ઠેરઠેર બાળકના ઇનોસન્ટ માઇન્ડમાં એકનું એક જુઠાણું વારંવાર કહીને એની મુગ્ધતાને છેતરવાનું પાપ થતું રહે છે. પૅરન્ટ્સ ઇચ્છાએ કે અનિચ્છા એ પાપ પર પોતાની સંમતિની મહોર લગાવતાં હોય છે. બાળકને લેટેસ્ટ ટેક્નોલોજી દ્વારા ઇન્ટેલિજન્ટ પર્સનાલિટી બનાવવાને બદલે કોઇ અપાસરાના ખૂણામાં ગુરુના પગ દબાવવા, ગુરુનાં કપડાંના કાપ કાઢવા, ગુરુની ગોચરી વહોરવા કે ‘ગુરુદેવો ભવ’ નો મંત્રજાપ કરવા ગોઠવી દેવામાં આવે છે. એનાં આત્માનું કલ્યાણ કેટલું થયું, એની મોક્ષ તરફ ગતિ થઇ કે નહિ એનું તો ક્યાં કોઇ સર્ટિફિકેટ આપવામાં આવે છે ? એ તો બધું માત્ર માની લેવાનું અને ધન્ય ધન્ય થઇ ઊઠવાનું ! સત્યથી તદ્દન વેગળી વાતને પણ સત્ય માની લેવામાં આપણી તોલે કોઇ આવે તેમ નથી ! હું એવા અનેક મુનિઓ- પંન્યાસો સંપર્કમાં આવ્યો છું કે જેઓએ બાળદીક્ષા લીધી હતી અને અત્યારે યુવાન વયના છે. એ સૌ અત્યારે ધોબીના કૂતરા જેવી જિંદગી જીવી રહ્યા છે; નથી સંયમમાં સ્થિર થઇ શકતા, નથી સંસારમાં પાછા આવી શકતા! એક પંન્યાસજીએ પોતાનું નામ જાહેર નહિ કરવાની વિનંતી સાથે કહ્યું કે, ‘સંયમજીવન પવિત્ર છે કે નહિ એ વિશે મારે કશું જ કહેવું નથી, પણ સંસાર છોડ્યા પછી મને એટલું સમજાય ગયું છે કે સંયમજીવન કરતાં સંસારનું જીવન વધારે સુખમય અવશ્ય છે!’ એક વડીલ મુનિ કહે છે, ‘બાળદીક્ષા આપનાર અને અપાવનાર બંને પાપી છે, કારણ કે એમાં દીક્ષા લેનાર વ્યક્તિની પક્વ (મેચ્યોરિટી) સમજણની સંમતિ લેવામાં આવતી નથી પણ તેના ભોળપણ સાથે છેતરપિંડી જ કરવામાં આવે છે.’
એક યુવાન મુનિએ બળાપો કાઢ્યો કે, ‘દીક્ષા લિધા પછી પણ અમારે સંસારની વચ્ચે જ રહેવાનું હોય છે ને ! એટલે મન સંસાર પ્રત્યે આકર્ષાયા વગર રહેતું નથી. સંસાર છોડીને જંગલના એકાંતવાસમાં રહેવાનું હોય તો વાત જુદી છે. વળી અમારા ગુરુઓને હવે ભગવાનની પ્રતિષ્ઠાના નામે પોતાની પ્રતિષ્ઠા કરાવવામાં, વરઘોડા-સામૈયાં કઢાવવામાં વધારે રસ પડે છે. દીક્ષા પછીના અમારા અભ્યાસ અને સ્વાધ્યાય અંગે એમને ભાગ્યે જ ફુરસદ મળે છે. મોટા ભાગે દરેક ગુરુ પાસે પોતાના જાતજાતનાં પ્રોજેક્ટ્સ હોય છે. એ પ્રોજેક્ટ્સ પૂરાં કરવાની લાયમાં ગુરુઓ ઓવરબિઝી રહે છે. નવદીક્ષિતના સંયમ-ઘડતર માટે તેઓ પૂરતો સમય ફાળવી જ નથી શકતા અને એમને એટલી પરવાય હોતી નથી. છેવટે એમ થાય છે કે આના કરતાં તો સંસાર ભોગવ્યો હોત તો સારું હતું !’
ભગવાન મહાવીરે બાળદીક્ષા લીધી નહોતી. ચોવીસ તીર્થકરો પૈકીના કેટલા તીર્થકરોએ બાળદીક્ષા લીધી હતી? બાળદીક્ષા લઇ ને એક વ્યક્તિ હેમચંદ્રાચાર્ય પાકે એટલે દરેક વ્યક્તિ હેમચંદ્રાચાર્ય જ બનશે એમ માની ને હજારો-લાખો બાળકોને મૂંડી નાખવામાં શાણપણ નથી. બાળદીક્ષા સફળ થયાનાં જાહેર ઉદાહરણો કરતાં બાળદીક્ષા નિષ્ફળ ગયાનાં ખાનગી ઉદાહરણોની સંખ્યા વધારે છે. કેટલાક સાધુઓ યુવાનીમાં દીક્ષા છોડીને પાછા સંસારમાં આવી જાય છે. ઘણા પાછા નથી આવી શકતા એનો અફસોસ અનુભવે છે તો ઘણા સાધુઓ પછી પોતાના મન સાથે સમાધાન કરીને સાધુપણામાં જ રહીને ખાનગી ગોરખધંધા શરૂ કરી દે છે.
મારી દ્રષ્ટિએ તો જ્યાં સુધી વ્યક્તિ ગ્રેજ્યુએશન સુધીનો સ્ટડી ન કરે ત્યાં સુધી તેને દીક્ષા આપવી જ ન જોઇએ. જો વ્યક્તિ ગ્રેજ્યુએશન સુધીનું એજ્યુકેશન પામી હોય તો તેનું બૌદ્ધિક સ્તર નક્કર બન્યું હોય, કુદરતી આવેશોને ઓળખી શકે એટલી તેની શારીરિક પુખ્તતા પાંગરી ચૂકી હોય. પુખ્ત વ્યક્તિ જે નિર્ણય લેશે તે પોતાની સમજણથી અને મરજીથી જ લેશે ! કોઇના ઉધાર ગાઇડન્સથી પ્રેરાઇને એ કોઇ ઉતાવળિયો કે ખોટો નિર્ણય નહિ લે.
બાળવયે દીક્ષા લીધા પછી પુખ્તવયે વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે ડામાડોળ બને છે. એને સેક્સની સહજ વૃત્તિ જાગે છે અને એ કારણે જ વિવિધ ધર્મોના સાધુ-સમાજનાં સજાતીય-વિજાતીય સેક્સ સ્કેન્ડલોની ઘટનાઓ આપણને મીડિયામાં વારંવાર જોવા-વાંચવા મળે છે ! એવી ઘટનાઓ મીડિયા સુધી ન પહોંચે તે માટે યેનકેન પ્રકારેણ દબાવી દેવામાં આવે છે. મીડિયામાં પ્રગટ ન થયેલી ઘટનાઓની સંખ્યાય આપણે ધારીએ તેટલી ઓછી નથી ! લગ્ન કરવા માટે વ્યક્તિની પુખ્ત વય કમ્પલસરી છે. બાળલગ્ન ગેરકાનૂની છે. જો સંસાર માંડવા માટે પુખ્ત વય કમ્પલસરી હોય તો, સંસાર છોડવા માટે પુખ્ત વય કમ્પલસરી કેમ ન હોય ? સંસાર શું છે એ સમજ્યા વગર વ્યક્તિ સંસાર માંડી ના શકતી હોય તો સંસાર શું છે એ સમજ્યા વગર એને છોડીય કેમ શકે? એની જિંદગીનો મહત્વનો નિર્ણય એની પુખ્ત સમજણને જ કરવા દો ને ! તમે વડીલ ખરા, તમે એના હિતેચ્છુયે ખરા, પણ જો તમે તમારો જ નિર્ણય એના ઉપર લાદી દો તો એ બળાત્કાર જ ગણાય.
સાચા સાધુત્વની ઓળખ સહજ પ્રસન્નતા છે. આવી પ્રસન્નતા સમજણપૂર્વક સ્વીકારેલા સંયમમાંથી જ પ્રગટતી હોય છે. આપણે મિથ્યા અહોભાવને સહેજ બાજુએ રાખીને સ્ટડી કરીએ તો કેટલા સાધુઓના ચહેરા ઉપર સહજ સ્મિત અને સો ટચની પ્રસન્નતા જોવા મળે છે? મોટા ભાગનાં સ્મિત ગણતરીવાળાં હોય છે. મોટી રકમના ફંડફાળા આપનારા ભક્તો પૂરતાં અનામત હોય છે. પોતે ઉભાં કરેલાં ટ્રસ્ટોને સમૃધ્ધ કરવાના ઉધામા, પોતે સ્થાપેલાં તીર્થોના વિકાસ માટેની વ્યૂહરચનાઓ, પોતાનાં જ લખેલાં પુસ્તકોની ‘ઓપન બૂક એક્ઝામ’ દ્વારા પુસ્તકોનું વેચાણ કરવાની વેપારીવૃત્તિ, વરઘોડા-સામૈયાં-પંચાંગો વગેરે કારોબારોમાં પ્રસન્નતા તો સાવ તળિયે દટાઇ ગયેલી હોય છે. ધર્મની પ્રભાવના કરવા કરતાં પોતાનો વ્યક્તિગત પ્રભાવ પાડવાની મથામણ વિશેષ જોવા મળે છે. વાક્ચતુર સાધુઓ નાનાં બાળકોનાં પૅરન્ટ્સને મોટી રકમો આપીને દીક્ષા અપાવવા માટે લલચાવે છે. ગરીબ પૅરન્ટ્સ મજબૂરીથી કે મરજીથી સોદાબાજી કરી નાખે છે અને એનું પરિણામ આખરે એમનાં સંતાનોએ વેઠવું પડે છે.
બાળકનું મન કોરી સ્લેટ જેવું હોય છે, ભોળું અને મુગ્ધ હોય છે. એને પોતાના ભવિષ્યની કલ્પના નથી હોતી. આપણે જે બતાવીએ એ જ એ જુએ છે, આપણે સમજાવીએ એવું જ એ સમજે છે, કારણ કે એને કશો અનુભવ નથી હોતો. દીક્ષા લીધા પછી જ્યારે પુખ્તવયે એને સમજાય છે, ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. અધ્યાત્મની બાબતમાં આપણે પરંપરાથી એક ગેરસમજને બડા જતનથી ઉછેરી રહ્યા છીએ. સુખદ્રોહી થવું એ જ અધ્યાત્મ છે. કારણ વગરનાં કષ્ટ વેઠવાં અ જ ધર્મ છે, સુખ ભોગવવું એ પાપ છે – એવી ગેરસમજ આપણને ગળચટી લાગે છે. આવતા ભવમાં કલ્પનિક સુખો મેળવવા માટે વર્તમાનનાં વાસ્તવિક સુખોને ઠોકર મારવાના મૂર્ખામીભર્યા ઉપદેશો આપણે હોંશેહોંશે સાંભળ્યા કરીએ છીએ. સુખ એટલે શું, સંસાર એટલે શું, સંયમ એટલે શું વગેરે વિશે બાળકના દિમાગમાં પક્વ સમજણ પ્રગટે એટલી તો રાહ જુઓ !
બાળમજૂરી કરાવવી એ ગુનો છે. બાળલગ્ન કરાવવાં એ ગુનો છે. બાળકને પનિશમેન્ટ કરવી એ ગુનો છે. બાળકને શિક્ષણથી વંચિત રાખવું એ પણ ગુનો છે તો પછી બાળકને બાવો બનાવી દેવો એ અપરાધ નથી? બાળદીક્ષા બાબતે કાનૂની પ્રતિબંધ હોય કે ન હોય, દરેક પૅરન્ટ્સે અને સાચા ગુરુઓ એ આ અંગે ગંભીર ચિંતન કરીને ધર્મના હિતમાં બાળદીક્ષા અટકાવવી જ જોઇએ. હિન્દુ શાસ્ત્રોમાં માનવીના આયુષ્યને ચાર ખંડોમાં વહેંચવામાં આવ્યું છે….
(૧) બાલ્યાશ્રમ ; બાળાવસ્થા રમતગમત, શિક્ષણ તેમજ વિવિધ કૌશલ્યો કેળવવા માટે.
(૨) ગૃહસ્થાશ્રમ ; યુવાન-અવસ્થામાં લગ્ન કરીને સાંસારિક ધર્મો (કર્તવ્યો) નું અનુપાલન કરવું.
(૩) વાનપ્રસ્થાશ્રમ ; પ્રૌઢ વયે પોતાનાં સંતાનોને માર્ગદર્શન આપવું અને તેમનો ઉત્સાહ વધારવો.
(૪) સંન્યાસાશ્રમ ; છેલ્લે સંન્યસ્ત જીવન સ્વીકારીને સાંસારિક જવાબદારીઓની પળોજણથી છૂટીને કશાય વળગણ વગરનું મુક્ત જીવન જીવવું. માનવજીવનના આ ચાર તબક્કાઓ કોઇ અજ્ઞની, મૂર્ખ કે બુદ્ધિહીન વ્યક્તિએ નક્કી નથી કર્યા. અત્યંત અનુભવી, ચિંતનશીલ અને પ્રજ્ઞાવાન લોકોએ નક્કી કર્યા છે
અલબત્ત, માનવીના આયૂષ્ય વિશે કોઇ ગેરન્ટી નથી હોતી. તે કેટલું જીવશે તે નક્કી નથી હોતું. એટલે પ્રારંભથી જ ધર્મમય, સંસ્કારી જીવન જીવવું જરૂરી છે. બાલ્યકાળમાં અને યુવાવસ્થામાં પણ ધર્મના પાટા (ટ્રેક) ઉપર સંસારની ટ્રેન ચલાવવી જોઇએ. સંસાર પ્રત્યે દ્વેષ અને ઘૃણા કરવાની જરૂર નથી, સંન્યાસ પ્રત્યે મિથ્યા અહોભાવથી તણાઇ જવાની પણ જરૂર નથી. વૃક્ષ પરનું ફળ પાકે ત્યાં સુધી પ્રતીક્ષા કરવી જરૂરી હોય છે. કાચું ફળ ખાટું લાગશે. બાળક કાચું ફળ છે. તેની મુગ્ધ વય સત્યાસત્યનો વિવેક કરવા સમર્થ હોતી નથી. એટલું જ નહિ, એની પોતાની સ્વસ્થ રુચિ અને તટસ્થ નિર્ણયશક્તિ પાંગરી હોતી નથી. આવા તબક્કે એને આપણી પસંદગી કે રુચિના માળખા તરફ ઢસડી જવો એ બળાત્કાર જ છે.
બાળકને ધર્મના સંસ્કારો આપવા, માનવમૂલ્યોનો પાઠ ભણાવવો એ જુદી વાત છે અને તેને સંસાર પ્રત્યે ઘૃણા કરતો કરી દેવો એ જુદી વાત છે. બાળવયે દીક્ષા લૈ લીધા પછી પુખ્ત વયે પસ્તાવો થાય તોય પાછા વળવાનું ક્યારેક શક્ય નથી બનતું, એટલે છેવટે ખાનગીમાં આચાશિલિલતા પાંગરતી રહે છે. વળી એ કારણે સંયમજીવન અને ધર્મ બંને પ્રદૂષિત થાય છે.
સો વાતની એક વાત, બાળદીક્ષાની ફેવરમાં જેટલી દલીલો થઇ શકે છે એના કરતાં તેની અનફેવરમાં વધારે અને પ્રબળ દલીલો થઇ શકે છે. એ માટે અજ્ઞાન, અંધશ્રદ્ધા ત્યજીને સ્વસ્થ-તટસ્થ સમજ કેળવાય તો નો પ્રૉબ્લેમ.
[કુલ પાનઃ ૧૪૪. કિંમત રૂ. ૧૦૦. પ્રાપ્તિસ્થાન: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧ ૭૯ ૨૨૧૪૪૬૬૩. ઈ-મેઈલ. goorjar@yahoo.com ]
{રીડ ગુજરાતી માંથી સાભાર}

Posted By: http://web-sarita.blogspot.com/ Friday, 16 May 2014

માતૃત્વ - જય વસાવડા

Image result for Modern women pic
માતૃત્વનો સંબધ જીન્સ ( જનીન ) સાથે છે , એને જીન્સ ( વસ્ત્ર ) સાથે શું સંબંધ ? આવું વારંવાર કહી ચુક્યો છું, ને વારંવાર કહેતો રહીશ...કારણ કે, હજુ માતૃપ્રેમ આપણે સાડલા-ચાંદલા-રોટલાનાં કુંડાળામાં જ આપણે રાખ્યો છે. આપણને એવો ફાંકો છે કે માતાને પ્રેમ કરવાનું વરદાન ફક્ત આપણે ભારતીયો - એમાં ય પરંપરાગત પરિવારોને જ મળેલું છે. ટૂંકી ચડ્ડી કે બિકીની પહેરેલી આધુનિક નારીને તો જાણે મમ્મી ફીલિંગ હોય જ નહિ. એને માતા તરીકે આદરસન્માન આપવાનું જ ના હોય. માતાને આપણે ફક્ત પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ ના હોય એવી ત્યાગમૂર્તિ તરીકે જ જોયા કરીએ છીએ. જાણે મમ્મી પોતાની પર્સનલ લાઈફમાં ( જો આપણા સમાજમાં એવું કંઈ હોય તો ) સેક્સી હોય, રોમેન્ટિક હોય, સ્ટાઈલીશ હોય, ફનલવિંગ હોય - એ આપણા મા પર પરોપજીવી પુણ્યજીવી આત્માને સહન જ નથી થતું !
માનાં નામે હંમેશા ( ઓપરેટિવ વર્ડ છે : હંમેશા, કાયમ ) આંસુ જ સાર્યા કરવાનું આપણને બહુ ગમે છે. પણ મમ્મી વોટર પાર્કમાં બિન્દાસ ધુબાકા મારતી હોય કે કોમ્પ્યુટર પર ચેટ કરતી હોય કે નવી ફેશનનું સ્કર્ટ-ટોપ પહેરી ડાન્સ કરતી હોય કે બચ્ચાંની સાથે સાયન્સ ફિક્શન-એક્શન-બ્રેક અપ-ટીન એજ કોમેડીની ફિલ્મ્સ જોતી હોય કે બાળકો સંગાથે ધાર્મિક દર્શન સિવાય એડવેન્ચર માટે પહાડ ચડતી હોય કે ઇકોનોમિકસ -ફિલોસોફીની બૂક્સમાંથી કોઈ વિચાર સંતાનો સાથે શેર કરતી હોય એવો માહોલ આપણે બનાવતા નથી. એવું નથી કે માતૃત્વમાં દર્દ અને ઈમોશન્સ ના હોય, પણ એવું તો હરગીઝ નથી કે મધરહૂડમાં ફક્ત આ જ હોય... એટલે કદાચ આપણો માવડિયો સમાજ આ રીતે ઉછરીને આટલો ભીરુ અને વેવલો થતો જાય છે ! અને બાકીનું કામ પછાત ચોવટિયાઓ પૂરું કરે છે - જે એવું કહ્યા કરે છે કે - પાણીપૂરી ખાનારી માતાઓ ક્યાંથી શિવાજી પેદા કરે ? બા માં જે મીઠાશ છે એ મમ્મીમાં ક્યા છે....
ધૂળ ને રાખ. વાત જ રબ્બીશ છે. શિવાજીના હાલરડાં સાંભળ્યે પણ ક્યાં છેલ્લા સાઠ વરસમાં શિવાજી પેદા થયા ? અને ફક્ત શિવાજી જ પેદા કર્યા કરવા કોઈ ફરજીયાત પરાક્રમ છે ? સ્ટીવ જોબ્સ ક્યારે પેદા કરશું ? ફાસ્ટ ફૂડ ખાનારી કે મોડર્ન ફેશન કરનારી માતાઓ શું અમેરિકા, ફ્રાન્સ, જાપાન, સાઉથ કોરિયા, રશિયા, જર્મની વિગેરેમાં લડાયક સૈનિકો કે જાંબાઝ સ્પોર્ટ્સચેમ્પિયન્સને જન્મ નથી આપતી ? બા કહેવામાં વધે ને, મમ્મી કહેવામાં મા નો પ્રેમ ઘટી જાય એ માપવાના કોઈ મીટર છે ? રૂઢિચુસ્ત ગલ્ફના દેશોની માફક ભારત-ગુજરાતમાં ય માતાના ફક્ત ચીકણા વખાણ કરી; અમુક દબંગ પતિ કે પુત્રોએ તો એને ઘણી વાર રિયલ લાઈફમાં ઘરનું એક પેસિવ ફર્નિચર બનાવી દીધી છે. અને ઘણી સાસુઓને એવું જ લાગે છે કે પોતે જ સાચી હાડમાંસની માતા છે, એમની યુવાન પુત્રવધૂ તો પ્લાસ્ટિકની નકલી માતા છે.

માતૃત્વ બાળક માટેની ભાવનાની એવી ભરતી છે, જેમાં મા પોતાનું અસ્તિત્વ બાળકમાં ઓગાળી આપમેળે રાજી થાય - અને એને ઉંમર, પહેરવેશ, ખોરાક , દેશ, ભાષા કે કે કાળનાં કોઈ ભેદ નથી. એ સત્યનો સ્વીકાર કરી સ્ટેજ પર બેધડક કમર લચકાવતી કામણગારી પોપસિંગર શાકિરાનાં આ "મોમ-રોમ" (મમ્મી રોમાન્સ)ના સ્વીટ ફોટોઝ સાથે જગતભરની મમ્મીને સ્મરણ કરી સલામી આપીએ ને આપણો અભિગમ પરનો કાટ જરાક ખંખેરીએ...આફ્ટરઓલ, મધર્સ ડે એના માટે તો છે ! 

Posted By: http://web-sarita.blogspot.com/

Friday, 9 May 2014

મારે એની સાથે હવે કોઇ જ સંબંધ નથી (ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ)



બીજાને તારી સાથે જોઈને ઈર્ષ્યા નથી થાતી,
મને આનંદ છે કે એણે મારી ખોટ પૂરી છે.
 - બરકત વિરાણીબેફામ'
દરેક સંબંધની એક લાઇફલાઇન હોય છે. કોઈ સંબંધ લાંબો હોય છે તો કોઈ સંબંધ ટૂંકો હોય છે. બહુ ઓછા સંબંધ કાયમી હોય છે. સંબંધનું સર્જાવું જેટલું સ્વાભાવિક હોય છે, સંબંધનું તૂટવું પણ એટલું જ નેચરલ હોય છે. જાળવવા હોય તોપણ દરેક સંબંધ જળવાય જ એવું જરૂરી હોતું નથી.

નજીકનો સંબંધ તૂટે ત્યારે દર્દ થાય છે. સંબંધની સાર્થકતા એમાં છે કે તૂટેલા સંબંધને તમે કેવી રીતે જુઓ છો.
આપણે ભલે એવું કહીએ કે બધું ભૂલી જવાનું પણ દરેક વાત, દરેક ઘટના અને દરેક યાદ ભૂલી શકાતી નથી. કંઈક એવું બનતું રહે છે કે આપણે દાટી દીધેલી ઘટનાઓ જીવતી થઈને બહાર આવી જાય છે. બ્રેકઅપ વખતે એક પ્રેમિકાએ તેના પ્રેમીને કહ્યું કે "તું જાય છે એનો વાંધો નથી પણ થોડીક ટિપ્સ આપતો જા કે શું કરૂ તો તું યાદ ન આવે? આટલા પ્રેમથી જુદો ન પડ કે તને નફરત કરવાનું પણ કારણ ન મળે. હા, તને મારી સાથે ન ફાવ્યું કે પછી મને તારી સાથે ન જામ્યું પણ આટલું સાથે જીવ્યો તેનું શું?સપનાં તૂટતાં હોય છે પણ ખુલ્લી થઈ ગયેલી આંખો કહેતી હોય છે કે એ તો તંદ્રાવસ્થામાં જોવાયેલી ઘટનાઓ હતી. તારી સાથે તો ખુલ્લી આંખોએ કેટલો બધો સંબંધ જીવ્યો છે. તારી સાથે જે રોડ પરથી પસાર થઈ છું એ રોડ તો ત્યાં જ છે. જ્યારે ત્યાંથી નીકળીશ ત્યારે શું કરૂ તો તું યાદ ન આવે? બગીચો મને સવાલ કરે કે તું ક્યાં ગયો તો હું શું કહું? તેં આપેલી ગિફ્ટ તો કદાચ ફેંકી દઉં પણ તારા હાથના સ્પર્શને મારા અસ્તિત્વથી કેમ જુદો કરી દઉં? હા, આપણે એકબીજા પરના અધિકારથી મુક્ત થઈએ છીએ પણ એકબીજામાં જીવતી સંવેદનાઓથી કેવી રીતે મુક્ત થવું? આંખોની ભીનાશમાં કોઈ દૃશ્ય ઉભરી આવે તો એને કેમ ખંખેરવું?એ દોસ્ત, હું તને જરાયે યાદ નહીં કરૂ પણ કોઈ કારણોસર તું યાદ આવી જઈશ તો એ પળોને વાગોળીશ જે મેં તારી સાથે જીવી છે. તૂટેલા કે મરેલા સંબંધોને ખભે ટીંગાડી ફરવાની મારી ફિતરત નથી. મેં એ ઉતારી દીધા છે. હું આગળ ચાલું છું પણ જ્યાં મેં આપણા સંબંધોને ઉતાર્યા છે ત્યાં શણગારીને રાખ્યા છે. હું રડીશ નહીં પણ હસી શકીશ કે કેમ તેની કોઈ ખાતરી નથી. હા, એટલો ભરોસો છે કે તને વખોડીશ નહીં, તને શાપ આપીશ નહીં. તારા માટે તો પ્રાર્થના જ કરીશ કે તું જ્યાં હોય ત્યાં ખુશ રહે. મજામાં રહે. હસતો રહે અને જીવતો રહે."
સંબંધો કેવા હતા એ તો ઘણી વખત સંબંધો તૂટે પછી જ ખબર પડતી હોય છે. બે મિત્રો હતા. બંને વચ્ચે અણબનાવ થયો. એક મિત્રને ખબર પડી કે એ તો મારૂ બૂરૂ થાય એવા જ પ્રયત્નો કરે છે. તેણે કહ્યું કે "તેં જ તો મારૂ સારૂ કર્યું છે. હવે તું જ આવું કરે છે?દોસ્તી તૂટી એનો ગમ નથી પણ કડવાશ ખૂટી નથી એનું દુઃખ છે. હું તો તારૂ બૂરૂ ન કરી શકું. તારા વિશે ખરાબ ન વિચારી શકું. મેં તો દોસ્તી તૂટી એ સમયને જ કાપીને ફેંકી દીધો છે. એ સમય જ સાચવી રાખ્યો છે જે સમયે તારી સાથે મજા કરી હતી, તારી સાથે હસ્યો હતો. તું ડિસ્ટર્બ હોય ત્યારે તને ખુશ કરવાનાં પ્લાનિંગ કરતો હતો. હવે તું ખુશ ન રહે કે તું દુઃખી થાય એવું હું કઈ રીતે કરી શકું?"
દુશ્મનનો સામનો કરવાની તાકાત દરેકમાં હોય છે પણ દરેક માણસ દોસ્તમાંથી દુશ્મન થયેલી વ્યક્તિ સાથે નથી લડી શકતો,કારણ કે એમાં માત્ર નફરત નથી હોતી. નફરત તો માત્ર ઉપર છવાઈ ગઈ હોય છે. અંદર તો પ્રેમ અને લાગણી જ હોય છે. નફરતના આ પડને જો હટાવી ન દઈએ તો એ ઘટ્ટ ને ઘટ્ટ થતું જાય છે.
દરેક માણસને દરેક સાથે ફાવે એવું જરૂરી નથી. ઘણી વખત ઘણાં સમય પછી સમજાતું અને પરખાતું હોય છે કે આપણે જેને નજીકના માનતા હતા એ નજીક રાખવા જેવી વ્યક્તિ ન હતી. આવી વ્યક્તિથી દૂર પણ થઈ જવું પડતું હોય છે. આપણે કેવી રીતે દૂર જઈએ છીએ અને દૂર ગયા પછી કેવા રહીએ છીએ એના પરથી નક્કી થાય છે કે આપણામાં સંબંધને સમજવાની ત્રેવડ કેટલી છે.
સાત જનમનો સાથ સમજતા હોઈએ તેની સાથે ઘણી વખત સાત ડગલાં પણ ચાલી શકાતું નથી. રસ્તા જુદા પડતા હોય છે. વ્યક્તિ ખોટી પસંદ થઈ જતી હોય છે. પકડી રાખવા કરતાં છોડી દેવામાં ઘણી વખત વધુ સાર હોય છે, પણ પછી કેટલો ભાર હોય છે?
 ભાર વેંઢારવાનો કે ભાર હળવો કરી દેવો તેના પર પણ સુખ અને દુઃખ, ખુશી અને ગમ તથા રિયાલિટી અને ભ્રમનો આધાર હોય છે. એક વ્યક્તિએ કહ્યું કે એને મેં સારો સમજ્યો એ મારો ભ્રમ હતો. હવે તો ભ્રમ તૂટી ગયોને? જે ભ્રમ હોય એને પણ આપણે કેટલો ભૂલી શકતા હોઈએ છીએ?
આપણે ભૂલવું હોતું નથી. આપણે બદલો લેવો હોય છે. આપણે બતાવી દેવું હોય છે. આપણે હિસાબ ચૂકતે કરવો હોય છે. હું સારો છું ત્યાં સુધી સારો છું કે હું સારી છું ત્યાં સુધી સારી છું પણ મને ખરાબ થતાં પણ આવડે છે. ખરાબ થવું અઘરૂ હોતું નથી. સારા થવું જ અઘરૂ હોય છે. હવે મારે કોઈ દિવસ તારૂ મોઢું નથી જોવું એવું કહી દીધા પછી પણ આપણે એ મોઢું ભૂલી શકીએ છીએ?
ઘણી વખત માણસ નવો સંબંધ એટલે શરૂ કરી શકતો નથી, કારણ કે એ જૂનો સંબંધ ખતમ કરી શકતો નથી. સંબંધોનું પોસ્ટમોર્ટમ ન કરો, કારણ કે એમાંથી સવાલો જ નીકળશે, એમાંથી ફરિયાદો જ નીકળશે, એમાંથી આક્ષેપો જ નીકળશે. એવા સંબંધોને દફનાવી દો અને દફનાવી દીધા પછી પણ એના પર ફૂલો જ વાવો, કારણ કે કાંટા વાવશો તો એ કોઈક દિવસ તમને જ વાગશે.
કોઈ વ્યક્તિ ચાલી ગઈ પછી પણ આપણે એ જ ફિકર કરતાં રહીએ છીએ કે એનું શું થયું? મને તરછોડીને એ સુખી ન જ થવો જોઈએ. એ દુઃખી છે એ જાણીને ઘણી વખત આપણને સેડેસ્ટિક પ્લેઝર પણ મળતું હોય છે. એ પ્લેઝર રિયલ કે સાત્ત્વિક હોતું નથી. કોઈનો જ હિસાબ રાખતી વખતે આપણને એ સમજાતું જ નથી કે આપણે કેટલા ખોટમાં છીએ. એમાંય જો આપણાથી જુદી પડેલી વ્યક્તિ સુખી હોય તો આપણાથી ઘણી વાર સહન થતું નથી. જે વ્યક્તિને સુખી કરવા કે સુખી જોવા આપણે ઇચ્છતા હતા એ જ દુઃખી અને હેરાન થાય એવું આપણે ઇચ્છવા લાગીએ છીએ.
જે સંબંધો પૂરા થઈ ગયા હોય એને ભૂલી જાવ અને ભૂલી ન શકો તો પણ બૂરૂ ન ઇચ્છો કારણ કે એનો ભાર આપણે જ સહન કરવો પડતો હોય છે. જિંદગીમાં જુદા પડવું પડતું હોય છે. જુદાં પડીએ પછી જુદા થઈ જવાય તો જ જિંદગી સરળ રહે છે. કંઈ જ બતાવી દેવું નથી, કંઈ જ જોઈ લેવું નથી. જુદી પડેલી વ્યક્તિને જે કરવું હોય એ કરે, આપણે શું કરવું એ આપણે નક્કી કરવાનું હોય છે. વાંચી લીધેલા પુસ્તકને જેમ લાઇબ્રેરીમાં ગોઠવી દઈએ છીએ એ જ રીતે ખતમ થઈ ગયેલા સંબંધને દિલના એક ખૂણામાં ગોઠવી દેવાના હોય છે. એવી રીતે કે ક્યારેક નજરે પડે તો પણ એવી લાગણી થાય કે એક સરસ વાર્તા હતી અને એનું એક પાત્ર હું પણ છું. બૂરૂ ઇચ્છવાથી કોઈનું બૂરૂ થઈ જવાનું નથી પણ ભલું ઇચ્છવાથી કોઈનું ભલું થાય કે ન થાય આપણને તો ચોક્કસ હળવાશ લાગવાની જ છે.            
છેલ્લો સીન
કેટલાંય યુદ્ધ એવાં હોય છે, જેમાં હાર જ ખરો વિજય હોય છે.

- ગાંધીજી

Posted By: http://web-sarita.blogspot.com/ Friday, 9 May 2014

જીવાતા સંબંધ .. ... ...

છેલ્લા કેટલાય દિવસથી સંબંધ નામના તુફાનથી લડી રહી છુ. કેવી રીતે, કઇ રીતે એ કહેવુ અને જાણવુ અહીયા ગૌણ છે. પણ આમાથી જે કાઇ શીખવા મળ્યુ અને જે ખરેખર શીખવા જેવુ છે તે જરુર કહીશ. માણસ જન્મે છે ત્યારથી સંબંધ નામની “અજબ ગજબ સૃષ્ટિ” રચાય જાય છે. માતાના ગર્ભથી લઇને મોર્ડન જમાનામાં ઇન્ટરનેટ સુધીના સંબંધો સાથે આપણે જીવી રહ્યા છે. આ સંબંધ સુખદાયી છે કે દુ:ખદાયી? વિષાદગ્રસ્ત છે કે ઉલ્લાસપૂર્ણ? અને છેલ્લે “ક્ષણજીવી છે કે ચિરંજીવી??” આ પ્રશ્ન હંમેશા દરેકને સતાવતો હોય છે. બહારથી સુખદાયી દેખાતા સંબંધ દુ:ખદાયી પણ હોઇ શકે. ઉલ્લાસપૂર્ણ  દેખાતા સંબંધ વિષાદગ્રસ્ત હોય શકે….!! હોય છે.

relationship
માણસ જેટલી ઝડપથી, આતુરતાથી સંબંધ બાંધવા તૈયાર હોય છે એટલી જ આતુરતાથી સંબંધને નીભાવવા માટે કે વિકાસવવા માટે જાગ્રુત્ત હોતી નથી. આજે આ વાત વધારે સમજાય રહી છે. પ્રેમ, સમર્પણ , ત્યાગ અને મુખ્યત્વે સમજણ ન હોય ત્યાં સંબંધ ટકતો નથી. અને ટકે તો જીવાતો નથી. જ્યા આ બધાનુ મહત્વ સમજી શકાતુ હોય, જ્યા આ બધી જ બાબતોની સાવધાની રાખવામા આવતી હોય ત્યાં જ સાચા સંબંધ જોવા મળે છે. આવા સંબંધને હુ “જીવાતા સંબંધ” કહુ છુ.
આજના આ પ્રોફેશન જમાનામાં આવા “જીવાતા સંબંધ” બહુ ઓછા જોવા મળે છે. બહુ ઓછાના નસીબમાં આવા સાચા સંબંધ હોય છે. અમુક પાસે હોય છે ત્યારે તેની દ્ર્ષ્ટિ તેને સાથ નથી અપતી હોતી. જ્યા સ્નેહ હોય, સમર્પણ હોય, સમજણ હોય ત્યા જ “જીવાતા સંબંધ”ને સ્થામ મળતુ હોય છે. આજકાલ સંબંધો “વન-વે” થઇ ગયા છે. સ્વાર્થ અને અપેક્ષાઓનુ પ્રમાણ વધ્યુ છે, સંબંધમાં આ બે બાબતો હોય જ છે, હોવી જોઇએ પણ જ્યારે તે જરુર કરતા વધારે વધી જાય ત્યારે સંબંધોના આ સમુદ્રમા ઓટ આવે છે.
premarital counselor-relationship
આવુ કેમ થતું હોય છે ?? તે પ્રશ્ન મને હંમેશા મુંઝવ્યા કરે છે. જેના માટે ક્યારેય વિચાર્યુ પણ ન હોય તે માણસ અમુક પ્રકારના ખેલ ખેલીને જતો રહે છે. આવા સમયે મુરખ આપણે બન્યા કે સામે વાળો તેનો તાળો કાઢવો મુશ્કેલ બની જાય છે. બહુ વિચાર્યા પછી લાગી રહ્યુ છે કે સામે વાળા માટે સંબંધ “એક રમત” હોઇ શકે. કોઇ એક ચોક્કસ નિર્ણય પર આવવું ખુબ જ કઠીન છે. આ બધામાં જ્યા સુધી મારુ માનવું છે ત્યાં સુધી લાગે છે કે સૌથી મોટી ખામી જો કોઇનામાં હોય તો તે “પોતાના” માં છે. આપણે કાયમ સામેવાળાને આપણા જેવાં બનાવવા પ્રયત્ન કરીએ છીએ. પરંતુ આ શકય નથી જ …. એના બદલે આપણે સામે વાળાને અનુકૂળ થવુ જ પડે છે , જે છે એ સ્વીકારીને ચાલવામાં આવે તો જ સંબંધોને જીવી શકાય છે. લીમડો કડવો કેમ હોય છે તે પ્રશ્નમા પડયા વગર તેની કડવાશને સ્વીકારીને તેનાં ગુણને પારખવા જોઇએ. એક જ વ્યક્તિ એક રૂપે બરાબર ન હોઇ એમ બને પણ બીજા રૂપે તે તમારી ચઢિયાતી હોય એ વાત ન ભૂલવી જોઇએ. કોઇ વ્યક્તિ સગા કે સંબંધી તરીકે બરાબર ન હોય પણ મિત્ર તરીકે દિલોજાન હોય, પાડોશી તરીકે કજિયાખોર હોય પણ સમાજમાં સેવાભાવી હોય — કોઇ એક સ્વરુપે અયોગ્ય લાગતી વ્યક્તિ બીજા સ્વરુપે ઉમદા જ હોય છે. જરુર છે સાચી દ્ર્ષ્ટિ કેળવવાની. ગમે તેવા અભિપ્રાયો પકડીને રાખીને જીવવાને બદલે તટસ્થ બનીશુ તો સામેવાળા આપણને એટલા ખામીવાળા નહી લાગે.
જ્યા ફેરફાર શકય જ નથી ત્યા સ્વીકારીને જીવતા આવડી જશે ત્યારે આવા “જીવાતા સંબંધ”ને સ્થાન મળશે. ત્યારે જ …..
“મેરા મુજ મેં કુછ ભી નહીં,
જો કુછ હૈ, વો  તેરા હૈ ” ની ભાવના કેળવાશે. બાકી તો જે છે એ જ રહેવાનુ …. !

સાથોસાથ એક વાત યાદ રાખવા જેવી છે….
“જીવનમાં સમય સાથે લાગણીઓ
બદલતાં માણસોનો વીશ્વાસ ન રાખો.
સમય બદલાય પણ
લાગણીઓ ન બદલાય
તેવા માણસોની સંગત કરો….”
[ હું તો કેવળ નિમિત્ત માત્ર ! https://dipupatel.wordpress.com/ માંથી સાભાર ]

Posted By: http://web-sarita.blogspot.com/

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.